Rajkot,તા.૮
રાજકોટના તેલ બજારમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વાવણીમાં વિલંબ થવાના કારણે પુરવઠા પર અસર પડતા સિંગતેલ અને કપાસિયા તેલમાં ડબ્બે રૂ. ૧૦નો સિંગલ ડે વધારો થયો છે. આ વધારા સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. ૨૯૦૦ની સપાટી પાર કરી ગયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. ૨૭૯૫ સુધી પહોંચી ગયો છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવનારા દિવસોમાં પણ તેલના ભાવમાં હજુ વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જોકે, ગૃહિણીઓ અને સામાન્ય જનતાને નવરાત્રી પૂર્ણ થયા બાદ જ ખાદ્યતેલના ભાવમાં રાહત કે ઘટાડો જોવા મળી શકે છે.
આ નવા ભાવવધારા સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. ૨૯૦૦ની પાર પહોંચી ગયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. ૨૭૯૫ પર પહોંચી ગયો છે. તહેવારો ટાણે જ તેલના ભાવ આસમાને પહોંચતા મધ્યમ અને ગરીબ વર્ગ માટે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
વેપારીઓ અને બજારના તજજ્ઞોના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસા દરમિયાન વાવણી મોડી થવાના કારણે બજારમાં નવા માલની આવક અટકી છે. પૂરતા પ્રમાણમાં કાચો માલ (સીંગદાણા અને કપાસ) ઉપલબ્ધ ન હોવાથી પ્રોસેસિંગ મિલો પર અસર પડી છે, જેના કારણે સ્થાનિક બજારમાં પુરવઠો ઘટતા ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
વેપારી વર્ગનું માનવું છે કે આગામી દિવસોમાં સાતમ-આઠમ અને તહેવારોની મોસમ નજીક આવી રહી હોવાથી માંગમાં વધારો થશે. આ પરિસ્થિતિમાં જ્યાં સુધી બજારમાં નવા પાકની પૂરતી આવક શરૂ નહીં થાય, ત્યાં સુધી ભાવમાં હજુ પણ તબક્કાવાર વધારો જોવા મળી શકે છે.
ખાદ્યતેલના ઊંચા ભાવથી હાલ તુરંત મુક્તિ મળવાની શક્યતા ઓછી છે. બજારના સૂત્રોના જણાવ્યા મુજબ નવરાત્રી બાદ જ્યારે બજારમાં નવા પાકની વિપુલ પ્રમાણમાં આવક શરૂ થશે, ત્યારે જ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. ત્યાં સુધી ગ્રાહકોએ મોંઘા તેલથી જ ચલાવવું પડશે.

