વિનોદભાઇ માછી ‘નિરંકારી’
હવે ભગવાન કર્મયોગને શ્રેષ્ઠ કહેવાનું કારણ બતાવતાં શ્લોક (૫/૩)માં કહે છે કે
જ્ઞેયઃ સ નિત્યસંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ
નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખં બંધાત્પ્રમુચ્યતે
(મહાબાહો-હે મહાબાહો ! યઃ-જે મનુષ્ય, ન-નથી, દ્વેષ્ટિ-કોઈનોય દ્વેષ કરે છે અને, ન-નથી તો કોઈનીય, કાંક્ષતિ-આકાંક્ષા કરે છે, સઃ-તે કર્મયોગી, નિત્યસંન્યાસી-સદા સંન્યાસી જ, જ્ઞેયઃ-સમજવા યોગ્ય છે, હિ-કેમ કે, નિર્દ્વંદ્વઃ-રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય, સુખમ્-સુખપૂર્વક, બંધાત્-સંસારના બંધનમાંથી, પ્રમુચ્યતે-મુક્ત થઈ જાય છે.)
હે મહાબાહો ! જે મનુષ્ય ન તો કોઈનોય દ્વેષ કરે છે અને ન તો કોઈનીય આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે કેમ કે રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.
‘મહાબાહો’ સંબોધનના બે અર્થ થાય છે:જેની ભુજાઓ મોટી અને બળવાન હોય એટલે કે જે શૂરવીર હોય અને જેના મિત્ર તથા ભાઈ મહાન પુરૂષ હોય.અર્જુનના મિત્ર હતા પ્રાણીમાત્રના સુહૃદ ભગવાન શ્રીકૃષ્ણ અને ભાઈ હતા અજાતશત્રુ ધર્મરાજ યુધિષ્ઠિર તેથી આ સંબોધન આપીને ભગવાન અર્જુનને માનો કે એવું કહી રહ્યા છે કે કર્મયોગ અનુસાર સૌની સેવા કરવાનું બળ તમારામાં છે માટે તમે સરળતાથી કર્મયોગનું પાલન કરી શકો છો.
‘યો ન દ્વેષ્ટિ’ કર્મયોગી તે છે જે કોઈ પણ પ્રાણી,પદાર્થ,પરિસ્થિતિ,સિદ્ધાંત વગેરે પ્રત્યે દ્વેષ કરતો નથી.કર્મયોગીનું કામ સૌની સેવા કરવાનું અને સૌને સુખ પહોંચાડવાનું છે.જો તેનો કોઈની પણ સાથે રતિભર પણ દ્વેષ હશે તો તેના દ્વારા કર્મયોગનું આચરણ પૂર્ણરૂપે થઈ શકશે નહીં,તેથી જેમના પ્રત્યે થોડો પણ દ્વેષ હોય, તેમની સેવા કર્મયોગીએ સૌથી પહેલાં કરવી જોઈએ.સૌથી પહેલાં ‘ન દ્વેષ્ટિ’ પદ આપવાનો અર્થ એ છે કે જે કોઈને પણ ખરાબ માને છે અને કોઈનું પણ ખરાબ ઈચ્છે છે,તે કર્મયોગના તત્વને સમજી જ શકતો નથી.
‘ન કાંક્ષતિ’ કર્મયોગમાં કામનાનો ત્યાગ મુખ્ય છે.કર્મયોગી કોઈ પણ પ્રાણી,પદાર્થ,પરિસ્થિતિ વગેરે ની કામના-ઈચ્છા કરતો નથી.કામના-ત્યાગ અને પરહિત (બીજાના કલ્યાણ) વચ્ચે પરસ્પર ગાઢ સંબંધ છે. નિષ્કામ બનવા માટે બીજાનું હિત કરવું આવશ્યક છે,બીજાનું હિત કરવાથી કામનાના ત્યાગનું બળ મળે છે. કર્મયોગમાં કર્તા નિષ્કામ હોય છે,કર્મ નહીં કારણ કે જડ હોવાને કારણે કર્મ સ્વયં નિષ્કામ કે સકામ થઈ શકતા નથી.કર્મો કર્તાના અધીન હોય છે તેથી કર્મોની અભિવ્યક્તિ કર્તાથી જ થાય છે.નિષ્કામ કર્તા દ્વારા જ નિષ્કામ-કર્મ થાય છે જેને કર્મયોગ કહેવાય છે,તેથી પછી ‘કર્મયોગ‘ કહો કે ‘નિષ્કામ-કર્મ‘-બંનેનો અર્થ એક જ થાય છે.સકામ કર્મયોગ હોતો જ નથી.નિષ્કામ હોવાથી કર્તા કર્મફળથી અસંગ-અલિપ્ત રહે છે પરંતુ જ્યારે કર્તામાં સકામભાવ-ફળની ઈચ્છા આવી જાય છે ત્યારે તે કર્મફળથી બંધાઈ જાય છે.(૫/૧૨) સકામભાવ ત્યારે જ નષ્ટ થાય છે જ્યારે કર્તા કોઈ પણ કર્મ પોતાના માટે કરતો નથી પરંતુ સંપૂર્ણ કર્મ બીજાના હિત માટે જ કરે છે,એટલા માટે કર્તાનો ભાવ નિત્ય-નિરંતર નિષ્કામ રહેવો જોઈએ.કર્તામાં જેટલો નિષ્કામભાવ હશે એટલું જ કર્મયોગનું સાચું આચરણ થશે.કર્તાના સર્વથા નિષ્કામ થવા પર કર્મયોગ સિદ્ધ થઈ જાય છે.
‘જ્ઞેયઃ સ નિત્યસંન્યાસી’ અર્જુને યુદ્ધ ન કરીને ભિક્ષા માગીને જીવન-નિર્વાહ કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી કે ગુરૂજનોને માર્યા વિના સંન્યાસ લેવો જ શ્રેષ્ઠ છે.ભગવાન એ જ વાતનો ઉત્તર આપતાં માનો એવું કહી રહ્યા છે કે હે અર્જુન ! એ સંન્યાસ તો ગુરૂજનોના મરી જવાના ભયથી કરવામાં આવતો બહારનો સંન્યાસ છે પરંતુ કર્મયોગીનો સંન્યાસ રાગ-દ્વેષના ત્યાગથી થનારો નિત્ય સંન્યાસ એટલે કે અંદરનો અને સાચો સંન્યાસ છે,આગળ ૬/૧માં પણ ભગવાને કેવળ અગ્નિનો ત્યાગ કરવાવાળા એટલે કે સંન્યાસ-આશ્રમ માત્ર ગ્રહણ કરવાવાળા પુરૂષને સંન્યાસી ન કહીને અંદરથી સંસારના આશ્રયનો ત્યાગ કરવાવાળા કર્મયોગી ને જ સંન્યાસી કહ્યા છે.આ પ્રકારે ભગવાનના મત મુજબ કર્મયોગી જ વાસ્તવિક સંન્યાસી છે.
કર્મ કરતા હોવા છતાં પણ કર્મો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખવો એ જ સંન્યાસ છે.કર્મો સાથે કોઈપણ પ્રકારનો સંબંધ ન રાખવાવાળાને કર્મોનું ફળ ક્યારેય પણ કોઈ પણ અવસ્થામાં થોડું પણ મળતું નથી એટલા માટે શાસ્ત્ર-વિહિત તમામ કર્મો કરતા હોવા છતાં પણ કર્મયોગી સદા સંન્યાસી જ છે. કર્મયોગનું અનુષ્ઠાન કર્યા વિના સાંખ્યયોગનું પાલન કરવું કઠિન છે એટલા માટે સાંખ્યયોગનો સાધક પહેલા કર્મયોગી હોય છે પછી સંન્યાસી-સાંખ્યયોગી થાય છે પરંતુ કર્મયોગના સાધક માટે સાંખ્યયોગનું અનુષ્ઠાન કરવું આવશ્યક નથી એટલા માટે કર્મયોગી શરૂઆતથી જ સંન્યાસી છે.
જેનામાં રાગ-દ્વેષનો અભાવ થઈ ગયો છે તેને સંન્યાસ-આશ્રમમાં જવાની આવશ્યકતા નથી.કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે પોતાના નથી અને પોતાના માટે પણ નથી-એવો નિશ્ચય થયા પછી રાગ-દ્વેષ મટીને આવો જ યથાર્થ અનુભવ થઈ જાય છે,પછી વ્યવહારમાં સંસાર સાથે સંબંધ દેખાવા છતાં પણ અંદરથી રાગ-દ્વેષ ન રહેવાથી સંબંધ હોતો જ નથી, આ જ ‘નિત્ય-સંન્યાસ’ છે. લૌકિક કે પારલૌકિક પ્રત્યેક કાર્ય કરતી વખતે કર્મયોગીનો સંસારથી સર્વથા સંન્યાસ રહે છે એટલા માટે તે નિત્ય-સંન્યાસી જ સમજવા યોગ્ય છે.સંસાર સાથે સંબંધ-વિચ્છેદ એટલે કે અલિપ્તતા જ સંન્યાસ છે અને કર્મયોગીમાં રાગ-દ્વેષ ન રહેવાથી સંસાર સાથે લિપ્તતા રહેતી જ નથી તેથી કર્મયોગી નિત્ય-સંન્યાસી છે.
‘નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખં બંધાત્પ્રમુચ્યતે’ સાધનાના પ્રારંભમાં સાધકના અંતઃકરણમાં દ્વંદ્વ-દ્વૈત રહે છે.સેવા, સુમિરન, સત્સંગ, સ્વાધ્યાય, વિચાર વગેરે કરવાથી તે પરમાત્માપ્રાપ્તિને પોતાનું ધ્યેય તો માની લે છે પણ તેના પોતાના કહેવાતા મન, ઇન્દ્રિયો વગેરેની રૂચિ સ્વાભાવિક રીતે જ ભોગ ભોગવવામાં તથા સંગ્રહ કરવામાં હોય છે એટલા માટે સાધક ક્યારેક પરમાત્મા-તત્વને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો ક્યારેક ભોગ અને સંગ્રહને, તેને જેવો સંગ મળે છે તેના આધારે જ તેના ભાવાત્મક વિચારોમાં પરિવર્તન થતું રહે છે. આવું હોવા છતાં પણ તે ભોગોને શાંતિથી ભોગવી શકતો નથી કારણ કે સત્સંગ વગેરેના સંસ્કાર તેના અંતઃકરણમાં વૈરાગ્ય-ભોગો પ્રત્યે અરૂચિ ઉત્પન્ન કરતા રહે છે.આ પ્રકારે સાધકના અંતઃકરણમાં ‘ભોગ ભોગવું કે સાધના કરું?’ એ દ્વંદ્વ ચાલ્યા કરે છે.આ દ્વંદ્વ પર જ અહંભાવ-અહંકાર ટકેલો છે.આપણને સાંસારિક ભોગ અને સંગ્રહમાં પડવું જ નથી પરંતુ એકમાત્ર પરમાત્મા-તત્વને જ પ્રાપ્ત કરવું છે-એવો દ્રઢ નિશ્ચય થવા પર દ્વંદ્વ રહેતો નથી અને અહંભાવ પરમાત્મા-તત્વમાં લીન થઈ જાય છે.
વાસ્તવમાં સંસારનું મહત્વ અંતઃકરણમાં અંકિત થઈ જવાથી જ દ્વંદ્વ રહે છે.ભોગ ભોગવતા રહેવાથી, બીજાઓ પાસેથી સુખ ઈચ્છતા રહેવાથી સંસારના પ્રાણી-પદાર્થોનું મહત્વ અંતઃકરણમાં અંકિત થઈ જાય છે. તેમનામાંથી સુખ લેવાથી એ મહત્વ વધતું જાય છે, જેનાથી તેમને પ્રાપ્ત કરવાની રૂચિ પ્રબળ થઈ જાય છે, એ રૂચિ એક પરમાત્માપ્રાપ્તિના ઉદ્દેશ્યને સ્થાયી અને દ્રઢ થવા દેતી નથી,આનાથી સાધકમાં દ્વંદ્વ બનેલો રહે છે.ઉદ્દેશ્યની દ્રઢતા માટે સાધકે એ પક્કો વિચાર કરવો જોઈએ કે ગમે તેટલું સુખ-આરામ કે ભોગ કેમ ન મળી જાય,મારે એ લેવાં જ નથી પરંતુ પરહિત-બીજાના કલ્યાણ માટે તેનો ત્યાગ કરવો છે.આ વિચાર જેટલો દ્રઢ થશે એટલો જ સાધક નિર્દ્વંદ્વ થશે.
નિર્દ્વંદ્વ થવાની મુખ્ય વાત આ જ શ્લોકમાં ‘ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ’ પદોથી કહેવામાં આવી છે, જેનો ભાવાર્થ છે: રાગ-દ્વેષથી રહિત થવું. રાગ-દ્વેષને મટાડવા માટે એ વિચાર કરવો જોઈએ કે આપણી અનિચ્છા હોવા છતાં પણ અનુકૂળતા અને પ્રતિકૂળતા આવે જ છે એટલે કે આપણે ઈચ્છીએ ત્યારે જ અનુકૂળતા આવે એવું નથી અને આપણે ન ઈચ્છીએ તો પ્રતિકૂળતા ન આવે-એવું પણ નથી.અનુકૂળતા-પ્રતિકૂળતા તો પ્રારબ્ધના ફળસ્વરૂપે આવતી-જતી રહે છે તો પછી તેના આવવાની કે જવાની ઈચ્છા શા માટે કરવી? અનુકૂળતા પ્રત્યે રાગ અને પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ આપણી પોતાની ભૂલથી થાય છે.આ પ્રકારે વિચાર કરવાથી ભૂલ મટીને રાગ-દ્વેષ સર્વથા સમાપ્ત થઈ જાય છે.
બીજી વાત એ છે કે આપણી પોતાની સત્તા સ્વતંત્ર છે, કોઈ પદાર્થ, વ્યક્તિ કે ક્રિયાના અધીન નથી કારણ કે સુષુપ્તિ-અવસ્થા-ઘોર નિદ્રામાં જ્યારે આપણે સંસારને ભૂલી જઈએ છીએ ત્યારે પણ આપણી સત્તા તો બનેલી જ રહે છે.જાગ્રત અને સ્વપ્ન-અવસ્થામાં પણ આપણે પ્રાણી કે પદાર્થ વિના રહી શકીએ છીએ તો પછી આપણી સ્વતંત્ર સત્તા હોવા છતાં પણ તેમનામાં રાગ-દ્વેષ કરીને આપણે તેમના અધીન શા માટે બનીએ? આ પ્રકારે વિચાર કરવાથી પણ રાગ-દ્વેષ મટી જાય છે.
સંસારનો રાગ ઉત્પન્ન અને નષ્ટ થવાવાળો છે.આ રાગ ક્યારેય સ્થાયી નથી રહેતો પરંતુ આપણે નવા-નવા પ્રાણીઓ અને પદાર્થોમાં રાગ કરીને તેને જાળવી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ પરમાત્માની અભિલાષા ઉત્પન્ન અને નષ્ટ થવાવાળી નથી કારણ કે પરમાત્માનો જ અંશ હોવાના નાતે જીવનો પરમાત્મા સાથે અખંડ સંબંધ છે.પરમાત્માની અભિલાષા ક્યારેય ઘટતી-વધતી પણ નથી,કેવળ સંસારમાં રાગ વધારે હોવા પર તે ઘટતી અને રાગ ઓછો હોવા પર તે વધતી દેખાય છે એટલા માટે ‘હું સદા જીવતો રહું, હું બધું જ જાણી લઉં, હું સદા સુખી રહું‘-આ રૂપે સત્-ચિત્-આનંદસ્વરૂપ પરમાત્માની અભિલાષા જીવમાત્રમાં નિરંતર રહે છે,જ્યારે સંસારનો રાગ મટી જાય છે અને એકમાત્ર પરમાત્માની અભિલાષા રહી જાય છે ત્યારે દ્વંદ્વ રહેતો નથી.
કર્મયોગ-જ્ઞાનયોગ અને ભક્તિયોગ-ત્રણેય યોગ-માર્ગોમાં નિર્દ્વંદ્વ થવું ખૂબ આવશ્યક છે.જ્યાં સુધી દ્વંદ્વ છે ત્યાં સુધી મુક્તિ થતી નથી.(૭/૨૭) પરમાત્માતત્વની પ્રાપ્તિમાં રાગ-દ્વેષ આ બે શત્રુ છે.(૩/૩૪) નિર્દ્વંદ્વ થવાથી આ બંને મટી જાય છે અને એ મટવાથી સુખપૂર્વક પરમાત્માતત્વની પ્રાપ્તિ થઈ જાય છે.સંસારમાં ગૂંચવાવાના બે જ કારણો છે: રાગ અને દ્વેષ. જેટલા પણ સાધનો છે એ બધા રાગ-દ્વેષને મટાડવા માટે જ છે. રાગ-દ્વેષ મટી જવાથી નિત્યપ્રાપ્ત પરમાત્માતત્વની અનુભૂતિ સ્વતઃસિદ્ધ છે.આમાં પરિશ્રમ છે જ નહીં કારણ કે પરમાત્મા-તત્વની અનુભૂતિ અસત્ દ્વારા નથી થતી પરંતુ અસતના ત્યાગથી થાય છે.અસતની સત્તા રાગ-દ્વેષ પર જ ટકેલી છે.અસત્ સંસાર તો સ્વયં જ નષ્ટ થઈ રહ્યો છે પણ પોતાનામાં રાગ-દ્વેષને પકડી રાખવાથી સંસાર સ્થિર દેખાય છે,તેથી જે સંસાર નિરંતર નષ્ટ થઈ રહ્યો છે,તેમાં રાગ-દ્વેષ ન રહેવાથી મુક્તિ નહીં થાય તો શું થશે? એટલા માટે નિર્દ્વંદ્વ એટલે કે રાગ-દ્વેષથી રહિત પુરૂષ સુખપૂર્વક સંસાર-બંધનમાંથી મુક્ત થઈ જાય છે.
બહારના સુખ-દુઃખ, સુખદાયી-દુઃખદાયી પરિસ્થિતિમાં સમ અને અંદરના સુખ-દુઃખથી રહિત થવું એ જ ‘નિર્દ્વંદ્વ‘ એટલે કે દ્વંદ્વરહિત થવું છે.તાદાત્મ્યમાં ચેતન-અંશની મુખ્યતાથી ‘જિજ્ઞાસા‘ રહે છે અને જડ-અંશની મુખ્યતાથી ‘કામના‘ રહે છે.મનુષ્યમાં ભૂખ તો અવિનાશી-તત્વની રહે છે પણ રુચિ નાશવંતની રહે છે, કારણ કે અવિનાશીની ભૂખને તે નાશવંત દ્વારા મટાડવા ઈચ્છે છે. ભૂખ અને રૂચિનો આ દ્વંદ્વ મનુષ્યના સંસાર-બંધનને દ્રઢ કરે છે.જ્યારે મનુષ્યનો સંસારમાં રાગ-દ્વેષ નથી રહેતો ત્યારે તેની જિજ્ઞાસા પૂર્ણ થઈ જાય છે અને કામના મટી જાય છે એટલે કે તે નિર્દ્વંદ્વ થઈ જાય છે.
જ્યાં સુધી મનમાં રાગ અને દ્વેષ છે ત્યાં સુધી મુક્તિ શક્ય નથી.કર્મયોગી જ્યારે પોતાના તમામ કર્મો નિષ્કામ ભાવે બીજાના હિત માટે અર્પણ કરે છે ત્યારે તે બાહ્ય રીતે સંસારી દેખાવા છતાં અંદરથી નિત્ય સંન્યાસી જ છે.
વિનોદભાઇ માછી ‘નિરંકારી’

