વિનોદભાઇ માછી નિરંકારી
આ બોધકથા ભગવાન જગન્નાથની નિઃસ્વાર્થ ભક્તિ-સેવા અને સમર્પણનો સંદેશ આપતી એક પ્રેરણાદાયી ભક્તિકથા છે.એક ઘનઘોર જંગલના કિનારે આવેલા નાના ગામમાં શ્રવણ નામનો એક નિર્ધન ભિક્ષુક રહેતો હતો, તેની પાસે ન ધન હતું,ન પરિવારનો સહારો કે ન કોઈ મોટો આશ્રય,તેની સૌથી મોટી સંપત્તિ હતી ભગવાન જગન્નાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, તે દરરોજ ગામે-ગામ જઈને ભિક્ષા માગતો અને જે કંઈ મળતું તેનો અડધો ભાગ પહેલાં ભગવાન જગન્નાથને અર્પણ કરતો પછી જ પોતે ભોજન ગ્રહણ કરતો.લોકો તેની ગરીબી પર દયા કરતા પણ કોઈ જાણતું નહોતું કે તેનું હૃદય સંસારના સૌથી મોટા ધન એટલે કે નિઃસ્વાર્થ ભક્તિથી ભરેલું હતું.
દરરોજ સવારે શ્રવણ પોતાની નાની ઝોળી લઈને નીકળી પડતો,તે દરેક ઘરના દ્વારે હાથ જોડીને કહેતો “માતા ! પ્રેમથી જે આપશો તે મારા પ્રભુનો પ્રસાદ હશે.” ગામની માતાઓ ક્યારેક એક રોટલી આપતી,ક્યારેક મુઠ્ઠીભર ચોખા તો ક્યારેક થોડું શાક.શ્રવણ દરેક દાનને ભગવાનનો આશીર્વાદ માની સ્વીકારતો,તેના ચહેરા પર ક્યારેય ફરિયાદ નહોતી,પાછા ફરતી વખતે તે સતત એક જ જપ કરતો “જય જગન્નાથ..જય જગન્નાથ..” એક દિવસ ભિક્ષા માગતાં માગતાં તે ઘનઘોર જંગલમાં પહોંચી ગયો.અચાનક આકાશમાં કાળાં વાદળો છવાઈ ગયાં,તેજ પવન ફૂંકાવા લાગ્યો અને જોતજોતામાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો,વીજળીના કડાકાથી આખું જંગલ ધ્રૂજી ઊઠ્યું,ચારેય તરફ અંધારું છવાઈ ગયું,શ્રવણે બંને હાથ જોડીને કહ્યું કે “હે પ્રભુ ! આજે પણ તમારૂં નામ લઈને આ જંગલમાંથી સુરક્ષિત નીકળી જાઉં,હવે તમારો જ આશરો છે,મને માર્ગ બતાવો.”
વરસાદથી બચવા માટે તે આશ્રય શોધવા લાગ્યો ત્યારે જ તેને જંગલની વચ્ચે એક અત્યંત પ્રાચીન અને જર્જરિત મંદિર દેખાયું,મંદિરની દીવાલો તૂટેલી હતી,છત પરથી પાણી ટપકતું હતું અને અંદર ભગવાન જગન્નાથની કાષ્ઠ પ્રતિમા ધૂળ અને જાળાઓથી ઢંકાયેલી હતી.આ દ્રશ્ય જોઈ શ્રવણની આંખો ભરાઈ આવી,તેણે ધ્રૂજતા અવાજે કહ્યું કે “પ્રભુ ! તમારી આવી દશા? કોઈએ તમારી સેવા પણ ન કરી?” તેણે તરત જ પોતાની ભીની ધોતીથી ભગવાનની મૂર્તિ સાફ કરવા માંડી,તૂટેલી છત પરથી પડતાં વરસાદનાં ટીંપાં ભગવાન પર ન પડે એટલા માટે તે પોતે જ ભગવાનની ઉપર ઊભો રહી ગયો,તેના પોતાના શરીર પર વરસાદ વરસતો રહ્યો પણ તેણે ભગવાનને ભીંજાવા ન દીધા,તેની પાસે જે થોડી ભિક્ષા હતી તે પણ તેણે પ્રભુના ચરણોમાં રાખી દીધી,તેણે મલકાઈને કહ્યું કે “મારા પ્રભુ ! પહેલાં તમારો અધિકાર છે પછી મારો.કૃપા કરીને આ સ્વીકારો.”
એ દિવસે શ્રવણ પોતે ભૂખ્યો રહ્યો પણ તેણે ભગવાનને પ્રેમથી ભોગ ધરાવ્યો.રાત ઘેરી થતી ગઈ, ટાઢો પવન ફૂંકાતો રહ્યો અને તેનું શરીર ધ્રૂજવા લાગ્યું છતાં તે ભગવાનના ચરણોમાંથી ખસ્યો નહીં,તે વારંવાર કહેતો રહ્યો કે “હે જગન્નાથ ! મારૂં શરીર નબળું પડી શકે છે પણ મારી ભક્તિ ક્યારેય નબળી નહીં પડે,જ્યાં સુધી વરસાદ નહીં રોકાય,હું તમારાં ચરણ છોડીને ક્યાંય નહીં જાઉં.” એ જ સમયે વૈકુંઠધામમાં ભગવાન જગન્નાથ પોતાની ભક્તવત્સલ દ્રષ્ટિથી આ બધું જોઈ રહ્યા હતા.માતા લક્ષ્મીએ ભાવુક થઈને કહ્યું કે “પ્રભુ ! આ ભક્ત પોતે ભૂખ્યો છે છતાં તમને ભોગ અર્પણ કરી રહ્યો છે,તેની આ નિઃસ્વાર્થ સેવા જોઈને મારૂં હૃદય ભરાઈ આવ્યું છે.” ભગવાન મલકાયા અને બોલ્યા કે “લક્ષ્મીજી ! આ જ સાચી ભક્તિ છે,જેણે પોતાના સુખ પહેલાં મારૂં સુખ રાખ્યું,હવે સમય આવી ગયો છે કે હું સ્વયં મારા ભક્ત પાસે જાઉં.”
બીજી જ ક્ષણે મંદિર દિવ્ય પ્રકાશથી ઝગમગી ઊઠ્યું.વરસાદનાં ટીંપાં જાણે થંભી ગયાં.ભગવાન જગન્નાથ સ્વયં દિવ્ય સ્વરૂપે શ્રવણની સામે પ્રગટ થયા.શ્રવણે જેવી આંખો ખોલી કે તે પ્રભુનું તેજ જોઈને સ્તબ્ધ થઈ ગયો,તે તરત જ તેમનાં ચરણોમાં ઢળી પડ્યો,તેની આંખોમાંથી આનંદનાં અશ્રુ વહેવા લાગ્યાં, ધ્રૂજતા સ્વરે તેણે કહ્યું કે “પ્રભુ ! આજે મારૂં જીવન સફળ થઈ ગયું.”
ભગવાને પ્રેમથી તેને ઊઠાડ્યો અને બોલ્યા કે “વત્સ શ્રવણ ! તારી નિઃસ્વાર્થ ભક્તિથી હું અત્યંત પ્રસન્ન થયો છું,તેં ક્યારેય મારી પાસે ધન ન માગ્યું,ક્યારેય સુખ ન માગ્યું,ફક્ત મારો પ્રેમ માગ્યો,બોલ ! તારે શું જોઈએ છે?” શ્રવણે મસ્તક નમાવીને ઉત્તર આપ્યો કે “પ્રભુ ! તમારૂં નામ જ મારા જીવનનું સૌથી મોટું ધન છે,મને ફક્ત તમારી ભક્તિ જોઈએ છે.”
ભગવાન મલકાયા,તેમણે પોતાના કરકમળોથી એક દિવ્ય પાત્ર શ્રવણ સામે પ્રગટ કર્યું જેમાં સુવર્ણમુદ્રાઓ,રત્નો અને મૂલ્યવાન ધાતુઓ ભરેલી હતી,ભગવાન બોલ્યા કે “આ ધન તારા લોભ માટે નથી, પણ સેવા માટે છે.આનાથી ભૂખ્યાઓને ભોજન કરાવજે,મંદિરોનો જીર્ણોદ્ધાર કરજે અને મારા ભક્તોની સહાય કરજે.” શ્રવણે હાથ જોડીને કહ્યું કે “પ્રભુ ! હું આના યોગ્ય નથી.” ભગવાને જવાબ આપ્યો કે “યોગ્ય એ જ હોય છે જે સ્વયંને અયોગ્ય માને છે,આ જ કારણે તું આ કૃપાનો અધિકારી બન્યો છે,આજથી તારા જીવનના તમામ દુઃખોનો અંત આવ્યો.”
ભગવાન અંતર્ધ્યાન થયા પછી વરસાદ પણ રોકાઈ ગયો,શ્રવણ એ દિવ્ય ધન લઈને ગામ પાછો ફર્યો,ગામલોકોએ જ્યારે તેની કથા સાંભળી ત્યારે સૌ આશ્ચર્યચકિત થઈ ગયા,કોઈકે કહ્યું કે “આ તો ચમત્કાર છે.” શ્રવણ મલકાઈને બોલ્યો કે “આ ચમત્કાર નથી,સાચી ભક્તિનું ફળ છે.” તેણે સૌથી પહેલાં એ જર્જરિત મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો,ગામના લોકો પણ સેવામાં આગળ આવ્યા,કોઈ પથ્થર લાવ્યા,કોઈ લાકડું લાવ્યા તો કોઈએ શ્રમદાન કર્યું,શ્રવણ સૌને પ્રેરણા આપતાં કહેતો કે “આ મંદિર ફક્ત પથ્થરોથી નહીં, ભક્તિથી બનશે.” કેટલાક જ મહિનાઓમાં એ મંદિર ફરીથી દિવ્ય ધામ બની ગયું.દરરોજ ત્યાં આરતી થવા લાગી,ભજન ગુંજવા લાગ્યા અને દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવવા લાગ્યા.શ્રવણે ભગવાનની આજ્ઞા મુજબ વિશાળ ભંડારાનું આયોજન કર્યું,ગરીબ,અમીર,સાધુ,યાત્રી,વૃદ્ધ,બાળકો-સૌ એકસાથે બેસીને પ્રસાદ ગ્રહણ કરવા લાગ્યા,શ્રવણ પોતાના હાથે સૌને ભોજન પીરસતો અને કહેતો કે “પ્રેમથી ગ્રહણ કરો,આ બધું પ્રભુનું છે.”
એક દિવસ તેના મનમાં વિચાર આવ્યો કે ભગવાન જગન્નાથની એક સુંદર સુવર્ણ પ્રતિમા બનાવવામાં આવે,તે એક કુશળ સોની પાસે ગયો અને બોલ્યો કે “ભાઈ ! મને ભગવાન જગન્નાથની સૌથી સુંદર મૂર્તિ બનાવી આપો.” થોડા દિવસો પછી જ્યારે પ્રતિમા તૈયાર થઈ ત્યારે શ્રવણ તેને મોટા આદર સાથે મંદિરે લાવ્યો,ઉદઘાટન સમયે તેણે આંખો બંધ કરીને કહ્યું કે “પ્રભુ ! આપે જે કાર્ય મને સોંપ્યું હતું તે આપની કૃપાથી પૂરૂં થયું.”
ધીમે ધીમે તેની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાવા લાગી,લોકો તેને સંત માનવા લાગ્યા પણ શ્રવણનું જીવન ન બદલાયું,તે આજે પણ ઝોળી લઈને ગામે-ગામ જતો અને કહેતો કે “આપો માઈ એક રોટલી..! જેટલું મને ગામલોકો પાસેથી મળ્યું છે તેનો અડધો હિસ્સો મારા પ્રભુનો છે.” લોકો હેરાન થઈને પૂછતા કે “હવે તો તમારી પાસે ઘણું ધન છે છતાં ભિક્ષા કેમ માગો છો?” શ્રવણ મલકાઈને જવાબ આપતો કે “જે પ્રેમે મને ભગવાન સુધી પહોંચાડ્યો તેને હું કેવી રીતે છોડી દઉં? આ ભિક્ષા નથી મારા પ્રભુના પ્રેમનો પ્રસાદ છે.”
વૈકુંઠમાં માતા લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું કે “પ્રભુ ! શ્રવણના મનમાં આજે પણ કોઈ અહંકાર નથી આવ્યો.” ભગવાન મલકાયા અને બોલ્યા કે “આ જ મારો સાચો ભક્ત છે.જેણે ધન પામીને પણ વિનમ્રતા ન છોડી એ જ વાસ્તવમાં સૌથી ધનવાન છે.” એક દિવસ ભગવાન ફરીથી સાધારણ ભક્તના રૂપમાં મંદિરે આવ્યા.શ્રવણે ઓળખ્યા વગર જ તેમને પ્રસાદ પીરસ્યો.ભગવાન પ્રેમથી બોલ્યા કે “ભક્ત ! આજે તમારા પોતાના હાથે મને જમાડો.” શ્રવણે મોટા સ્નેહથી તેમને ભોજન કરાવ્યું,ભોજન પૂરૂં થતાં જ ભગવાને પોતાનું દિવ્ય-સ્વરૂપ પ્રગટ કર્યું,આખું મંદિર અલૌકિક પ્રકાશથી ભરાઈ ગયું.ભગવાને કહ્યું કે “શ્રવણ ! તારી ભક્તિ યુગો-યુગો સુધી લોકોને શીખવશે કે સાચું ધન સોનું નથી,સેવા છે.સૌથી મોટો વૈભવ મહેલ નથી,સમર્પણ છે અને સૌથી મોટી પૂજા એ છે જેમાં પોતાના હિસ્સા પહેલાં પ્રભુનો હિસ્સો કાઢવામાં આવે.”
શ્રવણ ભગવાનના ચરણોમાં નતમસ્તક થઈ ગયો,તેની આંખોમાંથી વહેતાં અશ્રુ તેના જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ બની ચૂક્યાં હતાં,એ દિવસથી તેની કથા આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ,લોકો ધનની ઈચ્છા લઈને નહીં,સાચી ભક્તિ શીખવા તેના મંદિરે આવવા લાગ્યા અને કહેવા લાગ્યું કે જ્યાં નિષ્કામ સેવા,સાચું સમર્પણ અને ભગવાન પ્રત્યે અતૂટ પ્રેમ હોય છે ત્યાં સ્વયં ભગવાન જગન્નાથ પોતાના ભક્તનો હાથ ઝાલવા ચોક્કસ આવે છે.
આ બોધકથાનો મુખ્ય સંદેશ છે કે..ભગવાન ભક્ત પાસેથી મૂલ્યવાન વસ્તુઓ કે ધન નહીં પરંતુ તેનો નિર્મળ ભાવ અને અહંકારરહિત પ્રેમ સ્વીકારે છે,પોતાના સુખ કરતાં સેવા અને પ્રભુભક્તિને પ્રાધાન્ય આપવું એ જ સાચું સમર્પણ છે, સમૃદ્ધિ મળ્યા પછી તેનો ઉપયોગ લોભમાં નહીં પરંતુ પરોપકાર,દીન-દુઃખીઓની સેવા અને ધાર્મિક કાર્યોમાં કરવો જોઈએ, મોટું સ્થાન કે વૈભવ મળ્યા પછી પણ વિનમ્રતા જાળવી રાખવી એ જ મનુષ્યનું સૌથી મોટું ઘરેણું છે.

