Himmatnagarતા.૨૦
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં સગીરાની છેડતીના આક્ષેપ બાદ બે પક્ષ વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો હતો. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા બાદ ફરિયાદી પરિવારના ઘરે પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટનાને લઈને ગાંભોઈ પોલીસે છ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, ગાંભોઈના થોરીવાસ વિસ્તારમાં રહેતી હંસાબેન ઈશ્વરભાઈ થોરીનો દીકરો અને સગીર દીકરી બજારમાંથી ઘરે પરત ફરી રહ્યાં હતાં. આ દરમિયાન રસ્તામાં એક યુવક સાથે બોલાચાલી થઈ હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, બંને ભાઈ-બહેન સુરેશભાઈ મનહરભાઈ પરમારની દુકાન પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે સુરેશે હંસાબેનના દીકરાને સંબોધીને ‘તું મારો સાળો છે, તારે મને જીજાજી કહેવાનું’ તેમ કહ્યું હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન યુવતીએ આ વાતનો વિરોધ કર્યો હતો. ફરિયાદ મુજબ, યુવતીએ પોતે થોરી સમાજની અને સામેની વ્યક્તિ દરબાર સમાજની હોવાનું કહીને તેના ભાઈ સાથે આ પ્રકારની વાત કેમ કરવામાં આવી રહી છે તે અંગે સવાલ કર્યો હતો.
ફરિયાદ અનુસાર, આ વાતથી ઉશ્કેરાયેલા સુરેશભાઈએ યુવતીને અપશબ્દો કહ્યા હતા અને તેના ડાબા ગાલ પર થપ્પડ મારી હતી. ત્યારબાદ ભાઈ-બહેન પોતાના ઘરે જવા નીકળ્યા હતા. જોકે, હાઈસ્કૂલ નજીક રસ્તા પર ફરી સુરેશભાઈ બાઈક લઈને આવ્યા હતા અને સગીરા સાથે બોલાચાલી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા પ્રમાણે, ત્યારબાદ સુરેશભાઈ હંસાબેનના ઘરે પહોંચ્યા હતા. ત્યાં હંસાબેન સાથે પણ બોલાચાલી થઈ હતી અને મારામારી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના બાદ હંસાબેન સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ગાંભોઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
ફરિયાદી પરિવાર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો તે દરમિયાન સુરેશભાઈ મનહરભાઈ પરમાર સહિત કેટલાક લોકોનું ટોળું હંસાબેનના ઘરે પહોંચ્યું હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, ટોળાએ ઘર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
સમગ્ર ઘટનાને લઈને હંસાબેનની ફરિયાદના આધારે ગાંભોઈ પોલીસે સુરેશભાઈ મનહરભાઈ પરમાર સહિત કુલ છ લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો, પથ્થરમારાની ઘટના તેમજ સમગ્ર વિવાદ પાછળના કારણો અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત સામે આવશે. હાલમાં પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

