New Delhi તા, 21
કેન્દ્ર સરકારે ભારતીય નિકાસકારો માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લેતા વેપાર નિયમોમાં મોટી રાહત આપી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ વિદેશી વેપાર નીતિ (FTP) 2023 માં સુધારો કરીને સ્પષ્ટ કર્યું છે કે, હવે જો નિકાસકારો વિદેશી ચલણને બદલે ભારતીય રૂપિયા (INR) માં ચુકવણી પ્રાપ્ત કરશે, તો પણ તેમને સરકાર તરફથી મળતા તમામ પ્રોત્સાહનો અને નિકાસ લાભો પહેલાની જેમ જ મળવાપાત્ર રહેશે. આ ફેરફારથી ડોલર પરની નિર્ભરતા ઘટશે અને ભારતીય ચલણનો વૈશ્વિક સ્તરે ઉપયોગ વધશે.
અત્યાર સુધી નિકાસકારોને વિદેશી ચલણમાં કમાણી કરવા પર જ સરકારી નીતિ હેઠળ લાભ મળતા હતા, જેના કારણે રૂપિયામાં વેપાર કરવાનું જોખમ કોઈ લેતું નહોતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ 2022 માં જ ‘વોસ્ટ્રો એકાઉન્ટ’ (SRVA) દ્વારા રૂપિયામાં વેપાર કરવાની મંજૂરી આપી દીધી હતી, પરંતુ નિયમોની સ્પષ્ટતાના અભાવે નિકાસકારો મૂંઝવણમાં હતા. હવે નિયમ બદલાતા નિકાસકારો કોઈપણ ડર વગર વિદેશી ગ્રાહકો સાથે રૂપિયામાં ડીલ અને બિલિંગ કરી શકશે.
આ નિર્ણયથી ખાસ કરીને એવા દેશો સાથે વેપાર કરવો આસાન બનશે જ્યાં ડોલરની અછત છે અથવા જ્યાં આંતરરાષ્ટ્રીય બેંકિંગ નિયંત્રણો લાગું છે. આ ઉપરાંત ચલણ બદલવાનો (કરન્સી ક્નવર્ઝન) ખર્ચ પણ ઘટશે.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે, માત્ર નિયમ બદલવાથી રાતોરાત મોટો ફેરફાર નહીં થાય; આ માટે અન્ય દેશો સાથે ખાસ બેંકિંગ વ્યવસ્થાઓ અને સરળ પ્રક્રિયાઓ ગોઠવવી પડશે, તો જ વૈશ્વિક વેપારમાં રૂપિયો વધુ મજબૂત બની શકશે.

