New Delhi તા, 31
સરકારે વર્ષ 2025માં એક નવો રમતગમત કાયદો નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ બનાવ્યો છે. પરંતુ આ નવા કાયદાને માનવા અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા નિર્ણયથી દેશનાં અલગ-અલગ રાજ્યનાં ક્રિકેટ એસોસિએશનો વચ્ચે ભારે મૂંઝવણ અને ક્નફ્યુઝન ઊભું થયું છે. આ આખો વિવાદ ઓડિશા ક્રિકેટ એસોસિએશન (OCA)ની ચૂંટણીને લઈને ઓડિશા હાઈકોર્ટમાં ચાલી રહેલાં કેસ દરમિયાન સામે આવ્યો છે.
BCCIના લીગલ વિભાગે કોર્ટમાં સોગંદનામું (અફિડેવિટ) રજૂ કર્યું છે, જેના પર બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાની મંજૂરી છે. તેમાં બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ઓડિશા ક્રિકેટ એસોસિએશને તેની ચૂંટણીઓ BCCIના જૂના બંધારણ મુજબ જ યોજવી પડશે. આ બંધારણ વર્ષ 2019માં લોઢા સમિતિની ભલામણોના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું.
બોર્ડે કોર્ટમાં એવો દાવો કર્યો છે કે, નવો કાયદો બની ગયો હોવા છતાં, સરકારે ક્રિકેટને હજુ સુધી આ કાયદા હેઠળ ખાસ રમત (ડેઝિગ્નેટેડ સ્પોર્ટ) તરીકે જાહેર નથી કરી. તેથી આ નવો કાયદો BCCI કે તેના રાજ્ય એસોસિએશનોને સીધો લાગું પડતો નથી. બોર્ડનાં આ વલણથી ક્રિકેટનાં સંચાલનમાં સ્થિરતા રહેશે કે નહીં તેને લઈને સવાલો ઊભા થયા છે.
બીજી તરફ, રમતગમત મંત્રાલયે ગયા વર્ષે ડિસેમ્બરમાં એક નોટિસ બહાર પાડીને રમત સંસ્થાઓને ડિસેમ્બર 2026 સુધી નવી ચૂંટણીઓ મુલતવી રાખવાની છૂટ આપી હતી. આથી ઘણાં રાજ્ય એસોસિએશનો એવું માનતા હતા કે તેઓ 2026ના અંત સુધી ચૂંટણી રોકી શકે છે.
આ મામલે સૌથી મોટો વિવાદ હોદ્દેદારો માટેના ‘કૂલિંગ-ઓફ પિરિયડ’ એટલે કે નિયમ મુજબ અમુક સમય માટે પદ છોડીને વિરામ લેવા અંગે છે. નવા કાયદામાં આવા કોઈ વિરામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી અને કન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટના નિયમો પણ હળવા કરાયાં છે.
BCCIએ કોર્ટમાં રજૂઆત કરી છે કે ઓડિશા ક્રિકેટ એસોસિએશનમાં પણ કોઈ વ્યક્તિ સતત બે વારથી વધુ સમય માટે હોદ્દા પર રહી શકતી નથી. તેથી કોઈ વ્યક્તિ સતત ત્રીજી વાર પદ પર સત્તા ભોગવે નહીં અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થાય તે માટે સમયસર ચૂંટણી યોજવી ખૂબ જ જરૂરી છે.
જોકે, ઓગસ્ટ 2025માં સંસદમાં ચર્ચા દરમિયાન આંધ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને સાંસદ કેસિનેની શિવનાથે આ નવા બિલનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે BCCI આ નિયમો પાળે જ છે.
પણ હવે BCCIના આ અચાનક બદલાયેલા વલણથી રાજ્યના બોર્ડ મૂંઝવણમાં છે કે તેમણે સરકારના નવા કાયદાનું પાલન કરવું કે પછી BCCIના પોતાના નિયમો માનવા. આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બરના રોજ થશે.

