Gandhinagar, તા.31
રાજ્યભરમાં તમાકુ કે નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ તેમજ વેચાણ પર તા. 13 સપ્ટેમ્બર 2026થી વધુ એક વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. આ સંદર્ભે ગુજરાતમાં વર્ષ 2012થી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તેમ કમિશનર ઓફ ફૂડ સેફ્ટીની યાદીમાં જાણ કરવામાં આવી છે.
ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને ‘હેમર’ના સંશોધનો મુજબ ગુટખા તેમજ પાન મસાલાનું સેવન કેન્સરકારક છે, જેનાથી મોઢાના કેન્સરનું જોખમ અત્યંત વધી જાય છે.
આ ઉપરાંત, `ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે’ (GATS) ના અહેવાલ મુજબ દેશમાં 35% પુખ્ત વયના લોકો તમાકુનું સેવન કરે છે, જેમાં 21% લોકો ધુમાડા વગરની (સ્મોકલેસ) તમાકુનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.
આ પ્રતિબંધ કોઈપણ નામે ઓળખાતા તમાકુ કે નિકોટીનયુક્ત ગુટખા અને પાન મસાલા પર લાગુ પડશે. આ ઉપરાંત, અલગ-અલગ વેચાતા એવા ઘટકો કે જેના મિશ્રણથી અંતિમ ઉત્પાદન તરીકે ગુટખા કે પાન મસાલા તૈયાર થતા હોય, તેના પર પણ પ્રતિબંધ રહેશે. આ આદેશનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર વર્ષ 2012થી આ પ્રતિબંધનો સતત અમલ કરી રહી છે. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને વિવિધ બિન-સરકારી સંસ્થાઓ (NGOs) ની રજૂઆતોને ધ્યાને રાખીને, આ પ્રતિબંધ તા. 13 સપ્ટેમ્બર 2026થી 12 સપ્ટેમ્બર 2027 સુધીના વધુ એક વર્ષના સમયગાળા માટે લંબાવવામાં આવ્યો છે.

