મંદિરની દાનપેટીમાં અજાણ્યા દાતા દ્વારા સુવર્ણ ભેટ
Ambaji, તા.૪
યાત્રાધામ અંબાજીમાં બારેય મહિના ભક્તોનો ભારે ધસારો જોવા મળતો હોય છે. ભક્તોના ઘોડાપૂર સાથે અહીં દાનની પણ સરવાણી જોવા મળતી હોય છે. અંબાજી મંદિરમાં લાખો રુપિયાના સોનાનું દાન પણ ભક્તો દ્વારા કરવામાં આવતુ હોય છે. જો કે પહેલી વાર અજાણ્યા દાતા દ્વારા લાખો રુપિયાનું સોનું દાન પેટીમાં મુકવામાં આવ્યુ હોય તેની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી ધામમાં શ્રદ્ધાળુએ ‘સુવર્ણ’ ભેટ અર્પણ કરી છે. મંદિરનો ભંડાર ખુલતા અંદરથી સોનાની ૧૦ લગડી મળી આવી છે. એક ભક્તે ૧૦૦ ગ્રામ વજનની ૧૦ લગડી મંદિરમાં ભેટ ચઢાવી હોવાની ઘટના સામે આવી છે. સોનાની ૧૦ લગડી ચુંદડીમાં બાંધેલી હાલતમાં મળી આવી છે. કુલ એક કિલો વજનની લગડીની કિંમત ૭૦ થી ૭૫ લાખ રુપિયા હોવાની માહિતી છે.
અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી હાલમાં ચાલુ જ છે. મંદિરને સોને મઢવા શ્રદ્ધાળુઓ દ્વારા સતત સુવર્ણનું દાન કરવામાં આવતુ હોય છે, ત્યારે ફરી એકવાર સોનાના દાનનો આ પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે.