એક વર્ષ પૂર્વે પિતાએ ગળેફાંસો જીવન ટુંકાવ્યું ,શ્રમિક પરિવારમાં અરેરાટી
Rajkot તા.૯ઃ
રાજકોટના સરધારમાં ગામે સ્વામિનારાયણ મંદિર પાસે રહેતી ૧૫ વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો તેમજ એક વર્ષ પૂર્વે ઘરમાં તેના પિતાએ ગળેફાંસો ખાધો હતો ત્યાંજ પુત્રીએ પગલું ભરી લેતા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાનું તારણ જાણવા મળ્યું છે.આ અંગે મળતી માહિતી મુજબ સરધારમાં સ્વામિનારાયણ મંદિર પાસે સૂકી સાજડીયારી રોડ પર રહેતી તન્વી મહેન્દ્રભાઈ મકવાણા ઉંમર વર્ષ ૧૬ વર્ષીય સગીરાએ ગઈકાલે બપોરે ઘરે એકલી હતી ત્યારે છતના હૂંકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
નાનો ભાઈ સ્કૂલેથી આવતા બહેને લટકતી જોઈ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. બનાવની જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા એએસઆઈ સાગરભાઈ પ્રધાન સહિતના સ્ટાફ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતેદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો.મૃતક સગીરા બે ભાઈ અને બે બહેનમાં બીજા નંબરે હતી, માતા અને બહેન કામે ગયા હતા અને બંને નાના ભાઈ સ્કૂલે ગયા બાદ પાછળથી પગલું ભરી લીધું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં તેણીએ આંતરડાની જૂની બીમારી હોય જેની દવા પણ ચાલુ હતી તેનાથી કંટાળી પગલું ભરી લીધાનું જણાઈ રહ્યું છે. તેમજ સગીરાએ જ્યાં આપઘાત કર્યો ત્યાં જ એક વર્ષ પૂર્વે તેના પિતાએ પણ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી જેના વિયોગમાં પણ પગલું ભરી લીધાની શક્યતા જણાઈ રહી છે. પુત્રીના મોતથી પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

