Mumbai, તા.૧૦
ભોજપુરી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી આમ્રપાલી દુબેએ ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત રિયાલિટી શો ‘Bigg Boss 20’ના ઘરમાં એન્ટ્રી કરી લીધી છે. આમ્રપાલી દુબેએ લગભગ ૧૫ વર્ષ પછી નાના પડદા પર વાપસી કરી છે. તેમણે આ વખતે એવું પ્લેટફોર્મ પસંદ કર્યું છે, જ્યાં સ્પર્ધકોની પર્સનલ લાઈફથી લઈને દરેક બાબત પર દર્શકોની નજર રહે છે.
ટેલી ટોક ઈન્ડિયા સાથે વાત કરતા અભિનેત્રીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે શોમાં પોતાની વાત આગવી રીતે રજૂ કરશે અને ખોટાને ખોટું કહેવામાં પાછળ નહીં હટે.આમ્રપાલી દુબે ભોજપુરી ફિલ્મોમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂકી છે. હવે બિગ બોસ ૨૦ દ્વારા તે ફરી એકવાર ટેલિવિઝનની દુનિયામાં કદમ મૂકવા જઈ રહી છે. શોમાં એન્ટ્રી અંગે વાત કરતા અભિનેત્રીએ જણાવ્યું કે તે પોતાના સ્વભાવને સારી રીતે જાણે છે અને પરિસ્થિતિ ગમે તેવી હોય, તે પોતાની વાત રજૂ કરવામાં અચકાશે નહીં. આમ્રપાલીએ કહ્યું, “હું મારા સ્વભાવને ઓળખું છું. જે ખોટું છે તેને ખોટું અને જે સાચું છે તેને સાચું જ કહીશ.”
તેનું કહેવું છે કે બિગ બોસના ઘરમાં તે દર્શકોને પોતાની સાચી અને અનફિલ્ટર્ડ પર્સનાલિટી બતાવવા માંગે છે.બિગ બોસ જેવા નેશનલ પ્લેટફોર્મ પર ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરવા અંગે આમ્રપાલી દુબેએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેનું માનવું છે કે પ્રાદેશિક સિનેમાને લઈને લોકોના મનમાં ઘણા સવાલો હોય છે. જોકે, તેને ભોજપુરી સિનેમા સાથે જોડાયેલા સવાલોના જવાબ આપવામાં કોઈ વાંધો નથી. પરંતુ જો વાત તેની માતૃભાષા કે ભોજપુરી સિનેમાના અપમાન સુધી પહોંચશે તો આમ્રપાલિ તેને બિલકુલ સ્વીકારશે નહીં.અભિનેત્રીએ કહ્યું, “મારી ઈન્ડસ્ટ્રીને લઈને એક માનસિકતા બનેલી છે. જ્યાં યોગ્ય સવાલો હશે ત્યાં જવાબ આપવામાં આવશે. પરંતુ જ્યાં વાત ચરિત્ર પર આક્ષેપ કરવા સુધી પહોંચશે,
ત્યાં તેને બરદાસ્ત કરવામાં નહીં આવે. આ મારી માતૃભાષા છે અને જો કોઈ મર્યાદા પાર કરશે તો હું તેને સહન નહીં કરું.”ઉલ્લેખનીય છે કે સલમાન ખાનના આ શોમાં કનિકા માન, માહી વિજ, આમ્રપાલી દુબે, આસિફ ખાન, અરીશ્ફા ખાન, સ્કાઉટ ઓપી, કાઝી તૌકીર, યંગ ડીએસએ અને એમસી મેરી કોમ સ્પર્ધક તરીકે જોવા મળી રહ્યા છે.

