Amreli,તા.૧૮
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં દીકરીની હત્યા કરી પિતાએ પણ જીવન ટૂંકાવ્યું હોવાનો કિસ્સો સામે આવતા સમગ્ર અમરેલી જિલ્લા પંથકમાં હાહાકાર મચ્યો છે. મળતી વિગતો અનુસાર, સમાજ માટે લાલબત્તી સમા આ ચકચારી કિસ્સો અમરેલી સાવરકુંડલાના હાડીડા ગામેથી સામે આવ્યો છે, જ્યાં પોલીસને તપાસમાં મળેલી સુસાઈડ નોટમાં ઉલ્લેખ મુજબ, પિતાએ આર્થિક સંકડામણમાં આવી પોતાની ૫ વર્ષની વ્હાલસોયી પુત્રીને મોઢે ડુમો આપી મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહની અંતિમ વિધિ કરી હોય તે રીતે સજાવી ફ્રિજમાં મૂકી પિતાએ પોતે ઘરમાં જ ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું છે, જેના આધારે પોલીસે પિતાએ માસૂમ પુત્રીની હત્યા કરી હોવાની એફઆઇઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નાનકડા એવા હાડીડા ગામમાં કિશોરભાઈ ધાણકે ગઈકાલે ૧૬મી સપ્ટેમ્બરને બુધવારે મોડી સાંજના સમયે આ ખૌફનાક ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આપેલી માહિતી અનુસાર, હાડીડા ગામના સરપંચ દ્વારા ત્યાંના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા.બનાવસ્થળે પહોંચતા જ પોલીસે ઘરમાં જઈ તપાસ કરી તો, ઘરનાં રૂમમાં સફેદ કપડામાં અને મોઢે પણ સફેદ રૂમાલ બાંધેલી હાલતમાં પંખે લટકતો કિશોરભાઈ ધાણકનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ તપાસ કરતા તેમની પાંચ વર્ષની દીકરી હિમાંશીનો મૃતદેહ પણ તેમના ઘરમાં ફ્રિજમાં મળી આવ્યો હતો.
ફ્રિજમાં દીકરી હિમાંશીનો મૃતદેહ નવવધૂ જેમ શણગારેલો હતો, જેને ધ્યાને લઈને પોલીસે ઘરમાં વધુ તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન ઘરમાંથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં ઉલ્લેખ હતો કે, કિશોર ધાણકએ બાંધકામની સાઈડમાં પૈસાનું રોકાણ કર્યું હતું, જેના કારણે આર્થિક સંકડામણ સર્જાતા તેમને પોતાની માસૂમ પુત્રી હિમાંશીની હત્યા કરી નાખી હતી. પિતાએ પુત્રીના મોઢા પર હાથ રાખી શ્વાસ રૂંધાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ બાળકીના મૃતદેહને ફ્રીજમાં મૂકી પિતાએ જાતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે.
સમગ્ર મામલે ડીવાયએસપી નયના ગોરડીયાએ આપેલી માહિતી અનુસાર, સુસાઈડ નોટમાં લખેલું હતું કે કિશોરભાઈ ધાણકે બાંધકામ સાઈડ રાખવાના ધંધા સાથે સંકળાયેલા હતા, તે બાબતે તેમના મિત્રો દ્વારા જે કંઈ લેણીદેણી હતી એમાં અવારનવાર એમને પૈસાની જરૂર હતી, જેથી તેઓએ તેમની પાસે રૂપિયા માંગ્યા, પરંતુ તે લોકો દ્વારા પૈસા આપવામાં ન આવતા કિશોરભાઈને આર્થિક તંગી ઉદ્ભવી હતી, જેના લીધે તેઓ પ્રથમ પોતાની ૫ વર્ષની દીકરી હિમાંશીને પોતાના હાથ વડે મોઢા ઉપર ડૂમો દઈ અને તેનું મોત નીપજાવી કાઢ્યું છે, ત્યાર બાદ એમણે પોતે પોતાના જ મેળે ત્યાં ઘરની અંદર પંખા ઉપર લટકીને ગળેફાંસો ખાધો છે.હાલ આ સમગ્ર ઘટના મામલે મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે અને આખી તપાસ એપીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં એફએસએલની હાજરીમાં જે પંચનામું કરવામાં આવ્યું છે તેની અંદર ત્યાંથી હસ્તગત થયેલી સુસાઇડ નોટને કબજે લેવામાં આવી છે અને ખૂબ જ ઝીણવટપૂર્વક એક ઝડતી પંચનામું કરવામાં આવ્યું છે અને આજે દુઃખદ ઘટના બની છે, તેની અંદર ખરેખર હકીકત શું કારણ છે તે જાણવા માટે આખી એક ટીમ બનાવીને મહુવા તથા સિહોર પણ મોકલવામાં આવી છે. આમ પિતા અને પુત્રી બંનેના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે આ ઘટનાને પગલે મૃતક માસૂમ બાળકી હિમાંશીની માતા તથા કિશોરભાઈની પત્નીએ પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

