Amreli,તા.૧૯
સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં પિતા અને પાંચ વર્ષની પુત્રીના મોતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આર્થિક સંકટથી પરેશાન ૪૦ વર્ષીય કિશોરભાઈ ધાણકે પોતાની પાંચ વર્ષની પુત્રી હિમાંશીના મોત બાદ પોતાનું જીવન પણ ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ દરમિયાન સુસાઈડ નોટ તથા મોબાઈલ ફોન કબજે કર્યા હતા.
કિશોરભાઈ ધાણક હાડીડા ગામમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા અને બાંધકામ સાઈટ પર સુપરવાઈઝર તરીકે કામ કરતા હતા. બનાવના દિવસે તેઓ બાકી નાણાંની ઉઘરાણી માટે મહુવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. સાંજના સમયે પત્ની મંજુબેન અને પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે મકાન અંદરથી બંધ હતું. ત્યારબાદ ગામના સરપંચ અને ગ્રામજનોની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. અંદર કિશોરભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા.
ઘરમાં પાંચ વર્ષની પુત્રી હિમાંશી ઉર્ફે દીકુ જોવા ન મળતાં પરિવારજનો અને ગ્રામજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં બંને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસને ઘટનાસ્થળેથી કિશોરભાઈ દ્વારા લખાયેલી ત્રણ સુસાઈડ નોટ મળી આવી હોવાનું સામે આવ્યું છે. તેમાં તેમણે નાણાકીય મુશ્કેલી અને બાકી નાણાં ન મળવાના કારણે ભારે તણાવમાં હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. ચિઠ્ઠીમાં તેમણે પત્ની પાસે માફી માગી હોવાનું પણ સામે આવ્યું છે. તેમણે પત્નીને પોતાની દીકરીની સંભાળ રાખવા અને તેમને માફ કરી દેવા વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકની પત્ની મંજુબેનના જણાવ્યા મુજબ, કિશોરભાઈ મહુવામાં મહમદભાઈ નામના વ્યક્તિની સાઈટ પર કામ કરતા હતા. તેમના જણાવ્યા પ્રમાણે ત્રણ વર્ષના કામના આશરે ૭ લાખ મળ્યા બાદ તે રકમ સાઈટમાં રોકવામાં આવી હતી. ત્યારબાદ વધુ નાણાંની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંજુબેનના જણાવ્યા મુજબ મહુવા ખાતે કરેલા કામના આશરે ૭.૨૫ લાખ બાકી નીકળતા હતા અને આ રકમ સમયસર ન મળતાં કિશોરભાઈ માનસિક તણાવમાં હતા. જોકે, આ દાવાઓ અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.પાડોશી પ્રદીપભાઈ નરોત્તમભાઈ દેવગાણિયાના જણાવ્યા મુજબ, મંજુબેન સાંજના સમયે તેમના ઘરે આવી હતી અને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ તેઓ સ્થળ પર પહોંચ્યા અને સરપંચ નજુભાઈને જાણ કરી હતી. સરપંચ અને ગ્રામજનોની મદદથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં બંને મૃતદેહને બહાર કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
સાવરકુંડલા રૂરલ પોલીસે આ મામલે મૃતકની પત્નીની ફરિયાદના આધારે બીએનએસની કલમ ૧૦૩(૧) હેઠળ ગુનો નોંધ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે કિશોરભાઈ અને તેમની પત્નીના મોબાઈલ ફોન કબજે કર્યા છે. તપાસ દરમિયાન કિશોરભાઈના મોબાઈલ ફોનમાંથી ડેટા ડિલીટ થયેલો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. હવે કોલ ડિટેઈલ્સ અને અન્ય ઉપલબ્ધ માહિતીના આધારે પોલીસ સમગ્ર ઘટનાના સંજોગોની તપાસ કરી રહી છે. પિતા અને પાંચ વર્ષની પુત્રીના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે. નાણાકીય મુશ્કેલી, બાકી નાણાં અને પરિવારની પરિસ્થિતિ સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.

