New Delhi ,તા.28
કાશીની દેવદિવાળી વિશ્વપ્રસિદ્ધ હોય છે. આ વર્ષે દેવદિવાળીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. પાંચમી નવેમ્બરે સાંજે વારાણસીના તમામ 84 ઘાટ, સરોવરના કિનારા, મઠ અને મંદિરો દીવડાથી ઝગમગી ઊઠશે. વારાણસીના અર્થચંદ્રાકાર 84 ઘાટોને 25 લાખ દીવડાથી સજાવવામાં આવશે. એની સાથે જ 3ડી પ્રોજેક્શન મેપિંગ અને લેસર શોની અદ્ભુત ઝલક શિવની નગરીમાં અવિસ્મરણીય અનુભવ કરાવશે.
દેવદિવાળી નિમિત્તે વારાણસીમાં લગભગ 10 લાખ શ્રદ્ધાળુઓ અને પર્યટકો આવવાની સંભાવના છે. પર્યટન વિભાગ દ્વારા ત્રણથી પાંચ નવેમ્બર દરમ્યાન કાશીના ચેત સિંહ ઘાટ અને ગંગા દ્વાર પર અત્યાધુનિક ભવ્ય લેસર શો બતાવવામાં આવશે. એમાં ગંગા, કાશી અને દેવદિવાળીની પાવનકથાનો 25 મિનિટનો ટૂંકો શો દેખાડવામાં આવશે.
એમાં 17 મિનિટ પ્રોજેક્શન મેપિંગ હશે અને 8 મિનિટનો લેસર શો હશે. પર્યટન સૂચના અધિકારી નિતીનકુમાર દ્વિવેદીએ કહ્યું હતું કે ‘દેવદિવાળી નિમિત્તે ગંગાના ઘાટોની સાફસફાઈ અને સૌંદર્યકરણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
પહેલીથી 4 નવેમ્બર દરમ્યાન ગંગાના વિવિધ ઘાટો પર સ્થાનિક કલાકારો દ્વારા સંગીત, નૃત્ય અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ થશે જેમાં કાશીની પરંપરા અને કળાની ઝલક જોવા મળશે.’

