લગ્ન સમયે શહેરમાં રહેવાનું કહીને પતિ ગામડે જ રાખતો હોવાથી મહિલા ૧૦ વર્ષથી પિયરમાં રહી કંટાળી ગળાફાંસો ખાધો
Rajkot, તા.૧૩
શહેરના નવાગામ રંગીલા સોસાયટીમાં લગ્ન સમયે શહેરમાં રાખવાનો વાયદો કર્યા બાદ પતિ ગામડે જ રહેતો હોવાથી અને પત્નીને તેડવા ન આવતો હોવાના કારણે સર્જાયેલા ઘરકંકાસથી કંટાળીને પરિણીતાએ ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે જેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, ચોટીલા તાલુકાના સાલખડા ગામે રહેતા કૈલાશબેન વિપુલભાઈ ચાવડા (ઉં.વ. ૩૨)ના લગ્ન ૧૨ વર્ષ પહેલાં થયા હતા.
લગ્ન સમયે વિપુલભાઈએ કીધું હતું કે તેઓ શહેરમાં રહેશે, પરંતુ લગ્ન બાદ પતિ ગામડે જ રહેતો હતો. આ બાબતે બંને વચ્ચે વિખવાદ થતાં કૈલાશબેન છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટના નવાગામ ખાતે આવેલી રંગીલા સોસાયટીમાં પોતાના પિતાના ઘરે રહેતી હતી.પરિવારના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી પિયરમાં રહેતી કૈલાશબેનને પતિ પરત તેડવા આવતો ન હોવાથી તે સતત માનસિક તણાવ અને ઘરકંકાસથી કંટાળી ગઈ હતી. આજે સવારે આશરે ૯૩૦ વાગ્યે તેના પિતા કોઈ કામે બહાર ગયા હતા, ત્યારે કૈલાશબેને રૂમમાં એકલતાનો લાભ લઈ પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
અચાનક તેના પિતા ઘરે આવી પહોંચ્યા હતા. રૂમમાં દીકરીને લટકતી હાલતમાં જોતાં જ પિતાએ બૂમાબૂમ કરી મૂકી હતી અને સમયસૂચકતા વાપરી તેને તાત્કાલિક નીચે ઉતારી લીધી હતી. કૈલાશબેનને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો હતો. હાલ આ મામલે સ્થાનિક પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

