લાકડામાંથી બાળકોને સૂવાના ઘોડિયા, સુવાના ખાટલાઓ, ખાટ, ઢીંચણીયા જેવી કાઠિયાવાડી વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર
લોકો પોતાના ઘરમાં પરંપરાગત શોભા માટે તેમજ એન્ટિક પીસ તરીકે રાખવાનું પસંદ કરે છે.
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૦ઃ
જૂનવાણી દેશી રજવાડી લાકડાની જીવંત કળા છેલ્લી ૭ પેઢીથી જીવંત રાખીને રજવાડી કોતરણી અને ડિઝાઇનની અદ્ભુત પરંપરા જાળવી રખાઈ છે. રજવાડા સમયમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઘર વપરાશમાં શોભા વધારતી એન્ટિક પીસ તરીકે ઉપયોગમાં લેવાતી એન્ટિક પીસોની વસ્તુઓ આજથી ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના જમાનામાં જોવા મળતી તેવી હાથ બનાવટની વસ્તુઓ સાવરકુંડલામાં આજે પણ બની રહી છે.
આજના આધુનિક ડિઝિટલ યુગમાં પણ સાત સાત પેઢીથી લાકડાનું કામ પર કોતર કામ કરીને પરંપરાગત હસ્તકલા જીવંત રખાઈ છે અમરેલી જિલ્લાના સાવર કુંડલા ગામે રહેતા હરેશભાઈ ખત્રીના પરિવારમાં સાતમી પેઢીથી લાકડાનું રજવાડી કામ કરવામાં આવે છે. પેઢી દર પેઢી આ કળા શીખવવામાં આવી છે. અને આજે પણ પરંપરાગત ડિઝાઇન તથા કોતરણીને જાળવીને વિવિધ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે.
રાજા રજવાડાના સમયગાળામાં તથા જૂના દરબારગઢમાં જોવા મળતી વસ્તુઓની ડિઝાઇનને ધ્યાનમાં રાખીને લાકડામાંથી આકર્ષક વસ્તુઓ બનાવવામાં આવે છે. લાકડામાંથી બાળકોને સૂવાના ઘોડિયા, સુવાના ખાટલાઓ, ખાટ, ઢીંચણીયા જેવી કાઠિયાવાડી વસ્તુઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. જે આજથી ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂની રજવાડી શૈલીમાં બનતી એન્ટિક વસ્તુઓ આજે પણ સાવરકુંડલામાં બને છે. મુખ્યત્વે સાગ અને સીસમ જેવા મજબૂત લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.
લાકડાને કાપીને માત્ર આકાર આપવાનો જ નહીં, પરંતુ તેના પર બારીક કોતરણી, નકશીકામ અને પરંપરાગત ડિઝાઇન કરવામાં આવે છે. કુશળ કારીગરોની મહેનત બાદ તૈયાર થતી આ વસ્તુઓમાં જૂના જમાનાની કળા અને રાજાશાહી ઠાઠ જોવા મળે છે. લાકડામાંથી ખાટલા, ઘોડિયા, બાજોટ, બેસવા માટેની ખાટલી, સુવાના ખાટલા, ખાટ અને ઢીચણિયા સહિતની વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે.
ખાસ આકર્ષણનું કેન્દ્ર કાઠીયાવાડી ઝૂલો છે. સમગ્ર ગુજરાતમાં અંદાજે ૫૦ જેટલા આવા કાઠીયાવાડી ઝૂલા જોવા મળે છે અને તેમની પાસે બનાવવામાં આવેલા અનેક ઝૂલા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ પરંપરાગત કળાનું વેચાણ માત્ર સાવરકુંડલા કે અમરેલી પૂરતું સીમિત નથી. ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત ગુજરાત બહારના રાજ્યોમાં પણ આ રજવાડી લાકડાની વસ્તુઓનું વેચાણ થાય છે. લોકો તેને પોતાના ઘરમાં પરંપરાગત શોભા માટે તેમજ એન્ટિક પીસ તરીકે રાખવાનું પસંદ કરે છે.
આજના આધુનિક યુગમાં પરંપરાગત હસ્તકલા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ખત્રી પરિવાર સાત પેઢીથી લાકડામાં રજવાડી કોતરણી અને ડિઝાઇનની પરંપરા જાળવી રાખી છે. રજવાડાના સમય અને દરબારગઢમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓની પ્રતિકૃતિ જેવી સુંદર વસ્તુઓ આજે પણ અહીં હાથથી તૈયાર કરવામાં આવે છે. આ વસ્તુઓને લોકો પોતાના ઘરની શોભા વધારવા માટે એન્ટિક પીસ તરીકે પણ ઉપયોગમાં લે છે.
હરેશભાઈના જણાવ્યા મુજબ, હાલના સમયમાં આવી રજવાડી વસ્તુઓ બનાવવાનું કામ ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે. નવી પેઢી આધુનિક ટેકનોલોજી અને અન્ય વ્યવસાય તરફ આગળ વધી રહી હોવાથી પરંપરાગત હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોની સંખ્યા પણ ઘટી રહી છે. જેના કારણે સદીઓ જૂની કળા લુપ્ત થવાની સ્થિતિમાં છે. તેમના મતે, આપણા વડવાઓ અને પૂર્વજો જે વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. તેમાં માત્ર સુંદરતા જ નહીં, પરંતુ ઉપયોગિતા અને મજબૂતી પણ હતી.
આવી પરંપરાગત વસ્તુઓને નવી પેઢી સુધી પહોંચાડવી જરૂરી છે. આ કામની ખાસિયત એ છે કે આજના સમયમાં પણ ૨૦૦થી ૩૦૦ વર્ષ જૂની રજવાડી શૈલીની વસ્તુઓની ડિઝાઇનને આધારે નવી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે.
લાકડાની પસંદગીથી લઈને કોતરણી અને અંતિમ ડિઝાઇન સુધી દરેક તબક્કે કારીગરોની કુશળતા જરૂરી બને છે. આ રીતે સાવરકુંડલાના ખત્રી પરિવાર દ્વારા સાત પેઢીથી ચાલી આવતી લાકડાની રજવાડી કળા આજે પણ જીવંત છે. આધુનિકતાના યુગમાં જ્યારે આવી પરંપરાગત કળાઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ રહી છે.
ત્યારે આ પરિવાર પોતાની મહેનત અને કારીગરીથી જૂના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યો છે. દર મહિને અંદાજે એક લાખ રૂપિયાથી વધુનું વેચાણ થતું હોવાનું હરેશભાઈ જણાવે છે, જે આ પરંપરાગત કળા પ્રત્યે લોકોનો આજેય રહેલો રસ દર્શાવે છે.

