Rajkot,તા.૮
થેલેસેમિયા પીડિત બાળકોને સમયસર બ્લડ ન મળતું હોવાની સાથે ડેસ્પરાલ ઈન્જેક્શન અને કેલ્ફર દવા ઉપલબ્ધ ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પરિવારજનોનો દાવો છે કે જરૂરી સારવાર માટેની વસ્તુઓના અભાવે બાળકો અને તેમના પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જાગૃત નાગરિક કાના કુબાવત ચાર્લી ચેપ્લિનના વેશમાં પોસ્ટર સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા. તેમનો હેતુ થેલેસેમિયા પીડિત બાળકોની સમસ્યાઓને અનોખી રીતે રજૂ કરીને સરકાર અને તંત્રનું ધ્યાન દોરવાનો હતો. તેમણે બાળકોને જરૂરી દવા, ઈન્જેક્શન અને એલઆર બેગનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી.
વિરોધ કરનારાઓએ સિવિલ હોસ્પિટલમાં બ્લડ ચડાવવા માટે ઉપયોગમાં લેવાતા એલઆર મશીનને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે મશીન યોગ્ય રીતે કામ ન કરતું હોવાથી બ્લડ ચડાવ્યા બાદ કેટલાક બાળકોને અસ્વસ્થતા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
પરિવારજનો અને વિરોધ કરનારાઓના જણાવ્યા મુજબ ડેસ્પરાલ ઈન્જેક્શન લાંબા સમયથી ઉપલબ્ધ નથી, જ્યારે કેલ્ફર દવા પણ મળતી ન હોવાની ફરિયાદ છે. થેલેસેમિયા પીડિત બાળકો માટે નિયમિત સારવાર જરૂરી હોવાથી દવાઓની અછતને લઈને તંત્ર સમક્ષ તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. વિરોધ દરમિયાન ‘થેલેસેમિયા બાળકોને દવા આપો’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ચાર્લી ચેપ્લિનના વેશમાં આવેલા જાગૃત નાગરિક સહિત કેટલાક વિરોધ કરનારાઓએ રસ્તા પર સૂઈને વિરોધ કર્યો હતો. પોલીસે દરમિયાનગીરી કરીને તેમની અટકાયત કરી હતી.
થેલેસેમિયા દર્દીઓના પરિવારજનો અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં યોજાતા બ્લડ ડોનેશન કેમ્પ અંગે પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે. તેમના જણાવ્યા મુજબ કેમ્પમાં મોટી સંખ્યામાં બ્લડ બોટલો એકત્રિત થવા છતાં થેલેસેમિયા પીડિત બાળકોને પૂરતું બ્લડ મળતું નથી. આ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર જરૂરી દવા, ઈન્જેક્શન, બ્લડ અને ન્ઇ બેગનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી માંગ ઉઠી છે.

