ઇવેન્ટ મેનેજમેન્ટ અને જમણવારના રૂ. ૮.૬૮ લાખ નહીં ચૂકવ્યાનો આક્ષેપ; ધમકી આપ્યા સાથે છેલ્લા ૪૮ કલાકમાં ચોથી પોલીસ ફરિયાદ નોંધાતા ચર્ચા
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩૦
Jamnagarના જાણીતા નવરાત્રી સંચાલક અને યુટ્યુબર સંજયભાઈ ચેતરીયા સામે છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાત સહિતના આક્ષેપો સાથે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા ૪૮ કલાક દરમિયાન તેમની સામે નોંધાયેલી આ ચોથી પોલીસ ફરિયાદ હોવાનું સામે આવતાં શહેરમાં ભારે ચર્ચા જાગી છે.પંચ ’બી’ ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રાજકોટ હાલ નિવાસી અને મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દુધીયા ગામના હિતેશભાઈ વેજાણંદભાઈ કંડોરીયાએ જણાવ્યું છે કે જુલાઈ-૨૦૨૩થી જૂન-૨૦૨૬ દરમિયાન જામનગરમાં યોજાતા ’આધ્યાશક્તિ નવરાત્રી’ના ઇવેન્ટ મેનેજમેન્ટ તેમજ જમણવારની વ્યવસ્થા માટે કરાયેલા કામ પેટે ચૂકવવાના રૂ. ૮,૬૮,૦૦૦ આરોપીએ ચૂકવ્યા નહોતા.
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે નાણાંની માંગણી કરતાં સંજયભાઈ ચેતરીયાએ ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો તેમજ ગેરશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ફરિયાદના આધારે પંચ ’બી’ ડિવિઝન પોલીસે સંજયભાઈ ચેતરીયા સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૨), ૩૫૧(૩) અને ૩૫૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪૮ કલાક દરમિયાન સંજયભાઈ ચેતરીયા સામે વિવિધ વ્યક્તિઓ દ્વારા અલગ-અલગ આક્ષેપો સાથે ચાર પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.

