Vadodara, તા.3
વડોદરામાં અંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતિષ પટેલે વિજયવાવટો ફરકાવ્યો હતો. 30 હજાર જેટલા મતોની સરસાઇ સાથે જીત મેળવી હતી. ભાજપે આ બેઠક જાળવી રાખી હતી.
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ગત સપ્તાહમાં યોજાયા બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઇ હતી. પારદર્શક-શાંતિપૂર્ણ વાતાવરણમાં મત ગણતરી થાય તે માટે ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. બંને મુખ્ય પક્ષોના કાર્યકરો કાઉન્ટીંગ સેન્ટર પર ઉમટ્યા હતા.
ભાજપના ઉમેદવાર સતિષ પટેલે મત ગણતરીના પ્રથમ રાઉન્ડથી જ લીડ મેળવી લીધી હતી અને તે સતત વધતી રહી હતી. 19 રાઉન્ડની મત ગણતરી બાદ સતિષ પટેલ 30 હજાર જેટલા મતથી સરસાઇથી વિજેતા જાહેર થયા હતા.
કોંગ્રેસ તરફથી ભીખાભાઇ રબારી મેદાનમાં હતા. ચૂંટણી પરિણામો બાદ તેઓએ ભાજપ પર આકરા પ્રહાર કરતા એમ કહ્યું કે ભાજપે સરકારી મશીનરોનો દુરુપયોગ કર્યો હતો અને આચારસંહિતાનું પણ સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
ભાજપના ઉમેદવાર સતિષ પટેલની જીત સાથે જ કાર્યકરોએ જશ્ન મનાવ્યો હતો અને વંદેમાતરમ-ભારત માતા કી જયના નાદ સાથે ભવ્ય ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ મંત્રી સ્વ. યોગેશ પટેલના નિધનથી ખાલી પડેલી આ બેઠક પર પેટાચૂંટણી થઇ હતી.
30 જુલાઇએ મતદાન યોજાયું હતું. મતદાન માત્ર 37.05 ટકા જેવું નિરસ હતું છતાં ઓછા મતદાનથી પરિણામમાં અસર થશે કે કેમ તે વિશે રાજકીય અટકળો વ્યક્ત થતી હતી. છેવટે ાજે પરિણામમાં ભાજપના ઉમેદવાર જ વિજેતા નિવડ્યા હતાં.

