Rajkot, તા.09
“વિશ્વ થેલેસેમિયા દિવસ” તેમજ “નર્સિંગ ડે” અનુસંધાને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ બ્લડ બેન્કના લાભાર્થે પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આયોજિત આ કેમ્પમાં ૫૦ જેટલી બોટલ રક્તનું દાન મળ્યું છે. જેનો મહત્તમ લાભ સિવિલ હોસ્પિટલ ખાતેથી સારવાર લેતા થેલેસેમિયાના દર્દીઓને આપવામાં આવશે.
ટ્રેઈન્ડ નર્સિંગ એસોસિએશન ઓફ ઈંડિયાના શ્રી પુનિતા જીવરાજાનીએ નર્સિંગ ડે’ અનુસંધાને કાર્યક્રમોની વિગત આપતાં જણાવ્યું છે કે, બ્લડ ડોનેશન કેમ્પ બાદ તા. ૯ મે ના રોજ સ્ટાફ તેમજ સિવિલ ખાતે દર્દીઓના સંબંધીઓ માટે “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત આયુષ્માન કાર્ડ, આર..ટી.ઓ. અને પોલીસ વિભાગના સહયોગથી “ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ” રાખવામાં આવેલ છે. તા. ૧૦ મેના રોજ “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અંતર્ગત ડીસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર દ્વારા ડિસેબિલિટી અને અર્લી ઇન્ટરવેન્શન જાગૃતિ કાર્યક્રમ તેમજ આગામી તા. ૧૨ મે ના “નર્સિંગ ડે ના રોજ નર્સિંગ સંમેલન યોજવામાં આવશે. જેમાં નિવૃત્તિ નર્સિંગ સ્ટાફ મિલન અને નર્સિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નર્સનું સન્માન કરવામાં આવશે.
આજે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ અધિક્ષક ડો. મોનાલી માકડીયા, પી.ડી.યુ. કોલેજના ડીન ડો. ભારતીબેન પટેલ, બ્લડ બેન્કના હેડ ડો. ગૌરવી ધ્રુવ, વહીવટી અધિકારી ડો. મહેન્દ્ર ચાવડા, સિવિલ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ પ્રકાશ પ્રજાપતિએ કરાવ્યો હતો. આ તકે સિવિલ હોસ્પિટલ તેમજ નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.