Mumbai,તા.24
મહેન્દ્ર સિંહ ધોની IPL 2026માં ક્યારે મેદાનમાં પરત ફરશે, તેને લઈને ચાહકોની આતુરતા સતત વધી રહી છે. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ધોની રમશે તેવી આશા હતી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે જ્યારે પ્લેઈંગ-11ની જાહેરાત કરી ત્યારે તેમાં ધોનીનું નામ નહોતું. આ બાબતે સ્પષ્ટતા કરતા બેટિંગ કોચ માઈકલ હસીએ જણાવ્યું કે, ધોની હાલમાં 100% ફિટ નથી. તે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે પરંતુ તેને વિકેટો વચ્ચે દોડવામાં મુશ્કેલી પડી રહી છે. 44 વર્ષીય ધોની અત્યારે ‘કાફ મસલ'(Calf Muscle)ની ઈજાનો સામનો કરી રહ્યો છે, જે તેને સીઝન શરૂ થયા પહેલા પ્રેક્ટિસ દરમિયાન થઈ હતી.રિપોર્ટ્સ મુજબ, ધોની હવે આગામી બે મેચોમાં વાપસી કરી શકે છે. તે 26 એપ્રિલના રોજ ગુજરાત ટાઇટન્સ સામે અથવા 2 મેના રોજ ફરીથી મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં મેદાન પર જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ધોની આઈપીએલ ઇતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાંના એક છે, જેણે પોતાની આગેવાનીમાં ચેન્નાઈને 5 વખત ખિતાબ જીતાડ્યો છે. અત્યાર સુધીમાં રમાયેલી 278 મેચોમાં તેના નામે 5439 રન નોંધાયેલા છે. ધોનીની વાપસી માત્ર ચેન્નાઈ માટે જ નહીં પરંતુ સમગ્ર ટૂર્નામેન્ટ અને તેના લાખો ચાહકો માટે પણ ખૂબ જ મહત્ત્વની સાબિત થશે.

