New Delhi,તા.09
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. દિલ્હીમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આવી સ્થિતિમાં રાજકીય વર્તૂળોમાં રાજકીય નિવેદનો પણ ખૂબ થઈ રહ્યા છે અને રાજકીય પાર્ટીઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. આ વચ્ચે હવે I.N.D.I.A. ગઠબંધનમાં પણ ફૂટફાટને લઈને અનેક વાતો થઈ રહી છે. તાજેતરમાં TMC અને સમાજવાદી પાર્ટીએ દિલ્હી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના સપોર્ટમાં નિવેદન આપ્યું હતું. I.N.D.I.A. ગઠબંધન ભંગાણના મુદ્દા પર કોંગ્રેસ અને ભાજપના નેતાઓના નિવેદન સામે આવ્યા છે.
કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિત બરાબરના બગડ્યાં
કોંગ્રેસના નેતા અને નવી દિલ્હી વિધાનસભા બેઠકના ઉમેદવાર સંદીપ દીક્ષિતે કહ્યું કે, ‘I.N.D.I.A. ગઠબંધન રચના લોકસભા ચૂંટણી માટે કરવામાં આવી હતી, તેનું વિધાનસભા ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી. જો કાલે હું કહું કે, હું ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં એક પક્ષને સમર્થન આપી રહ્યો છું, તો મારી જેટલી અસર ઓસ્ટ્રેલિયામાં પડશે એટલી જ દિલ્હીમાં એસપી અને ટીએમસીની પડશે.’ તેમણે આગળ કહ્યું કે, ‘ટીએમસી અને એસપી સમજી રહ્યા હશે કે અમારા એલાનથી દિલ્હી હચમચી ઉઠી પરંતુ ‘ખયાલી પુલાવ’ તો મોટા-મોટા નેતાઓ પણ બનાવી શકે છે.’
દરેક પાર્ટી સ્વતંત્ર
કોંગ્રેસના નેતા તારિક અનવરે કહ્યું કે, ‘દરેક પાર્ટી સ્વતંત્ર છે, દિલ્હી ચૂંટણીમાં કોને સમર્થન આપવું તે તેમનો પોતાનો નિર્ણય છે. આ અંગે કોઈ પણ ટિપ્પણી કરવી યોગ્ય નથી. નિર્ણય લેવા માટે દરેક પક્ષની પોતાની શરતો હોય છે.’
કેજરીવાલ મેસેજ આપવા માગે છે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ‘કેજરીવાલ ચૂંટણી મેદાનમાં પોતાના સમીકરણો ખુદ બનાવે છે. તેઓ દિલ્હીના લોકોને મેસેજ આપવા માગે છે કે ભાજપ અને કોંગ્રેસની મિલીભગત છે પરંતુ લોકો જાણે છે કે ભાજપ અને કોંગ્રેસ એક ન થઈ શકે.’
દિલ્હીની જનતા સમજદાર છે
ભાજપ નેતા પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, ‘ચોર-ચોર મોસેરે ભાઈ હોતે હે’. ‘ટીએમસી અને સમાજવાદી પાર્ટી જે કામ બંગાળ અને યુપીમાં કરી રહી છે એ જ કામ કેજરીવાલ દિલ્હીમાં કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે, શું દિલ્હીની જનતા આ સમર્થનને સ્વીકારશે’. તેમણે આગળ દાવો કર્યો કે, દિલ્હીની જનતા સમજદાર છે અને તેમને બધુ સમજાય છે. તેથી જ દિલ્હીની જનતાએ આ વખતે ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે.

