લોકરમાં મુકેલા 1287 ગ્રામ સોનુ, ત્રણ કિલો ચાંદીની ચોરી થતાં એ ડિવિઝન પોલીસમાં ગુનો
Rajkot,તા,10
રાજકોટ જિલ્લા બેંકના લોકરમાંથી રૂ. 54.17 લાખની કિંમતના 1287 ગ્રામ સોનાના ઘરેણાં, ત્રણ કિલો ચાંદી ભેદી રીતે ગુમ થઇ જતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ચાવી વડે લોકર ખોલી ચોરીને અંજામ અપાયાની પ્રબળ શક્યતા સેવાઈ હતી. મામલામાં યુવા બિલ્ડર જય તળાવિયાના લોકરમાં થયેલી ચોરી મામલે એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે. જયારે ક્રાઇમ બ્રાન્ચે બેંકના લોકર વિભાગના મેનેજર કોટકને સકંજામાં લઇ પૂછપરછ કરતા વટાણા વેરાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
મામલામાં બિલ્ડર જયભાઈ ભરતભાઈ તળાવીયા એ એ-ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રેસકોર્ષ પ્લાઝામા ઓફીસ નં.- ૨૦૧ ખાતે ઓફીસ ધરાવી મારા પિતા ભરતભાઇ હીરાભાઈ તળાવીયા સાથે કન્સ્ટ્રકશનનું કામ કાજ કરૂ છુ. રાજકોટ શહેરના ચૌધરી હાઇસ્કૂલ ચોક પાસે આવેલ રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ.બેંક લી. માં આશરે પાંચેક વર્ષથી બેંક લોકર ધરાવું છુ.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, લોકર ખોલાવેલ ત્યાર બાદથી અમે આ લોકરમા અમારા ઘરના સભ્યોના સોનાના દાગીના તેમજ ચાંદીના દાગીના તેમજ ચાંદીના વાસણો વિગેરે વસ્તુઓ રાખતા હતા રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ.બેંક લી. ખાતે લોકર ઓપરેટ કરવા માટે ગયેલ હતો તે વખતે બેંકના જવાબદાર કર્મચારી દ્રારા લોકર ઓપરેટીંગ રજીસ્ટરમા સૌપ્રથમ અમારૂ લોકર નંબર તેમજ અમારી સહી લઇ બેંકના જવાબદાર કર્મચારી સાથે હુ લોકર રૂમમાં લોકર ઓપરેટ કરવા માટે ગયેલ હતો. મને બેંક મારફતે લોકર ઓપરેટ કરવા માટે જે ચાવી આપવામાં આવેલ હતી તે ચાવી તેમજ બેંકના જવાબદાર કર્મચારી પાસે રહેલ અન્ય ચાવીથી લોકર ખોલવામા આવેલ હતુ અને બેંકનો કર્મચારી લોકર રૂમમાથી જતો રહેલ હતો. બાદમા મે સોનાના દાગીના અંદર મુકેલ હતા સોનાના દાગીના વજન ૧૨૮૭.૮૬૫ ગ્રામના જેની કુલ કિંમત રૂ.૫૧,૪૭,૨૧૦ ની થાય તથા ચાંદીના અલગ અલગ દાગીના જેમા પાયલ તથા કંદોરો વિગેરે તેમજ ચાંદીના અલગ અલગ વાસણો જેમા થાળી,વાટકા, ગ્લાસ, નાળીયેર વિગેરે જેનો અંદાજીત વજન આશરે ૩ કિલો ચાંદી જેની અંદાજીત કિંમત રૂ. ૨,૭૦,૦૦૦ ની ગણાય એમ સોના ચાંદીના દાગીનાઓ તેમજ ચાંદીના વાસણો અમારા રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ.બેંક લી.ના બેંક લોકરમાં રાખેલ હતા અને મારી પાસે રહેલ ચાવીથી લોકર બંધ કરેલ હતુ અને હું ત્યાથી જતો રહેલ હતો. અમારે પ્રસંગમા જવાનુ હોવાથી સોનાના દાગીનાની જરૂર પડતા તા.૦૬/૦૫/૨૦૨૫ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાની આસપાસ હુ સોનાના દાગીના બેંકના લોકરમા લેવા માટે આવેલ હતો. તે વખતે લોકર ખોલીને જોતા લોકરમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ ચાંદીના વાસણો કુલ કિંમત રૂ. ૫૪,૧૭,૨૧૦ જોવામા આવેલ નહી. જેથી મે તુરત જ ત્યા હાજર બેકના કર્મચારીને જાણ કરેલ હતી. જેથી હાજર કર્મચારી મારી સાથે આવેલ અને તેણે પણ મારા લોકરમા જોયુ તો લોકરનું ખાનુ ખાલી હતું. હું તથા બેંકનો કર્મચારી બન્ને બ્રાન્ચ મેનેજર પાસે ગયેલ હતા અને બ્રાન્ચ મેનેજરને બધી વાત કરેલ હતી. બાદમાં મે તુરત જ મારા પિતા ભરતભાઈ હીરાભાઈ તળાવીયાને ફોનથી જાણ કરેલ હતી અને બાદમા બેંક મેનેજર તેમજ સી.ઈ.ઓ.ને મળેલ હતા.
મામલામાં એ ડિવિઝન પોલીસે યુવા બિલ્ડરની ફરિયાદ પરથી બેંક લોકરમાંથી રૂ. 54,17,210 ના સોના-ચાંદીમાં ઘરેણાં અને વાસણોની ચોરી અંગે ગુનો નોંધ્યો હતો. બીજી બાજુ મસમોટી ચોરી અંગે સ્થાનિક પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે દરમિયાન લોકર વિભાગનો મેનેજર કોટકે જ સમગ્ર ચોરીને અંજામ આપ્યાનો ખુલાસો થયો હતો. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે મેનેજર કોટકને સકંજામાં લઇ પૂછપરછ કરતા તેણે જ ચોરી કર્યાની કબૂલાત આપી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.