Pakistan તા.6
પાકિસ્તાન સરકારમાં ટોચના સ્તરે ફેરફાર અને પીએમ શાહબાજ શરીફના રાજીનામાની અટકળોને પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીરના નજીકના ગણાતા અને ગૃહમંત્રી મોહસીન નકવીએ ફગાવી દીધી છે.
નકવીએ સરકારના ભવિષ્યને લઈને સવાલો પર સ્પષ્ટતા કરી હતી કે, શાહબાજ વડાપ્રધાન તરીકે તેમના પાંચ વર્ષનો બંધારણીય કાર્યકાળ પૂરો કરશે. ઉલ્લેખનીય છે કે ઉપરોકત અટકળો ખુદ તેમના અને શાહબાજ સરકારના સહયોગી બિલાવલ ભુટ્ટોના હાલના નિવેદનોથી શરૂ થઈ ગઈ છે. જોકે તેઓ ઈસ્લામાબાદમાં કોઈ મોટા ફેરફારની વાત નકારી રહ્યા છે.
પાકિસ્તાની સેનાના નજીકના મનાતા મોહસીન નકવીએ બુધવારે પત્રકારોને કહ્યું હતું કે સરકારનો જવાનો કોઈ સવાલ જ નથી, વડાપ્રધાન શાહબાજ પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. મને લાગે છે કે તેને લઈને જે વાતચીત થઈ રહી છે તેને હકીકત સાથે કંઈ સંબંધ નથી.
આટલું જ નહીં નકવીએ વડાપ્રધાન શરીફના વખાણ કરતા કહ્યું છે કે તેઓ રોજ 14થી 16 કલાક કામ કરે છે. ઉલ્લેખનીય છે કે, નકવીએ ગત સપ્તાહે પોતાના એક નિવેદનમાં પાકિસ્તાનની ગવર્નેન્સ સ્ટ્રકચરની ટીકા કરતા કહ્યું હતું કે આપણે જે સિસ્ટમમાં રહીએ છીએ તે ફેલ થઈ ચૂકી છે તેમ માને કે ન માને.
નકવી બાદ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનું ચેરમેન બિલાવલ ભુટ્ટો જરદારીએ પણ એક ભાષણમાં કહ્યું હતું કે શાહબાજ સરકારની ઉલ્ટી ગણતરી શરૂ થઈ ચૂકી છે ઉલ્લેખનીય છે કે, શરીફની સરકાર પીપીપીના સમર્થનથી ચાલી રહી છે.

