Ayodhya,તા,22
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા દાનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં હવે સિંધી સમાજ પણ જોડાયો છે.
સિંધી સમાજે વર્ષ 2021માં રામ મંદિર નિર્માણ માટે અર્પણ કરેલી 200 કિલો ચાંદીની ઈંટો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વ સિંધી સેવા સંગમના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજુ મનવાનીનો આરોપ છે કે તેમણે દાનમાં આપેલી આટલી મોટી માત્રામાં ચાંદીની આજ દિન સુધી કોઈ સત્તાવાર રસીદ કે માહિતી ટ્રસ્ટ તરફથી આપવામાં આવી નથી.
ડો. રાજુ મનવાનીના જણાવ્યા અનુસાર, વિશ્વભરના સિંધી સમાજના સહયોગથી 26 જાન્યુઆરી, 2021ના રોજ 200 ચાંદીની ઈંટો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને સોંપવામાં આવી હતી.
આ ઈંટો પર સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝુલેલાલની તસવીર પણ અંકિત હતી. કારસેવક પુરમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 12 દેશોમાંથી સિંધી સમાજના પ્રતિનિધિઓ ખાસ અયોધ્યા પહોંચ્યા હતા. ડો. મનવાનીએ આ કાર્યક્રમની તસવીરો પણ શેર કરી છે.
સિંધી સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે જ્યારે તેમણે આ ઈંટો દાનમાં આપી ત્યારે ટ્રસ્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે ચાંદીની શુદ્ધતાની તપાસ કર્યા બાદ તેની સત્તાવાર રસીદ આપવામાં આવશે. જો કે, ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી કોઈ રસીદ મળી નથી.
તાજેતરમાં રામ મંદિરમાં દાનને લઈને મીડિયામાં ચાલી રહેલા સમાચારો બાદ સિંધી સમાજની ચિંતા વધી ગઈ છે. આ ગંભીર મુદ્દે સિંધી સમાજનું એક પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળીને રજૂઆત કરવાનું છે.

