Bhavnagar,તા.૧૨
ભાવનગરની સમરસ છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓએ ભોજન અને હોસ્ટેલની વિવિધ વ્યવસ્થાઓ સામે ગંભીર આક્ષેપો સાથે વિરોધ નોંધાવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ૧૧ ઓગસ્ટના રોજ વિદ્યાર્થિનીઓએ ભોજનની ગુણવત્તા, પીવાના પાણી, સ્વચ્છતા અને સુરક્ષા સહિતના મુદ્દાઓને લઈને રજૂઆત કરી હતી. વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા લાંબા સમયથી નબળી છે અને ભોજનમાં અવારનવાર વાંધાજનક વસ્તુઓ જોવા મળે છે.
વિદ્યાર્થિનીઓના જણાવ્યા મુજબ છેલ્લા ૪થી ૫ મહિનાથી ભોજનમાં કીડા-મકોડા, સિગારેટ અને પ્લાસ્ટિક જેવી વસ્તુઓ મળી આવતી હોવાના બનાવો સામે આવ્યા છે. નાસ્તા અને ભોજન માટે ઉપયોગમાં લેવાતી પ્લેટ તથા ગ્લાસ પણ યોગ્ય રીતે સાફ કરવામાં આવતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ક્યારેક ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરવા છતાં તેમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી.
હોસ્ટેલમાં પીવાના પાણીની ગુણવત્તા અંગે પણ વિદ્યાર્થિનીઓએ ચિંતા વ્યક્ત કરી છે. પાણીમાં લીલ જામતી હોવાના આક્ષેપ સાથે તેના કારણે વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્ય પર અસર થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.
એક વિદ્યાર્થિનીએ પોતાની સાથીની તબિયત ખરાબ થયા બાદ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હોવાનો દાવો કર્યો હતો અને તબીબી તપાસમાં ટાઈફોઈડ હોવાનું જાણવા મળ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે આ દાવાની તબીબી પુષ્ટિ સંબંધિત સત્તાવાર રિપોર્ટના આધારે થવાની બાકી છે.
માત્ર ભોજન અને પાણી જ નહીં, પરંતુ હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ વિદ્યાર્થિનીઓએ સવાલો ઉઠાવ્યા છે. હોસ્ટેલની બહાર અસામાજિક તત્વો દ્વારા વિદ્યાર્થિનીઓને પરેશાન કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત મેડિકલ ઇમરજન્સી અથવા પરિવારજનોની તબિયત ખરાબ હોય ત્યારે પણ પૂરતી રજા આપવામાં આવતી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદ કરનાર વિદ્યાર્થિનીઓને એડમિશન રદ કરવાની અથવા વાલીઓને બોલાવવાની ધમકી આપવામાં આવતી હોવાના પણ આક્ષેપો થયા છે.
વિદ્યાર્થિનીઓના વિરોધ બાદ મોડી રાત્રે એસડીએમ, મામલતદાર સહિતના અધિકારીઓ સમરસ હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા. અધિકારીઓએ કિચનની મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને વિદ્યાર્થિનીઓની ફરિયાદો પણ સાંભળી હતી.
અનુસૂચિત જાતિ લોકલ મેનેજમેન્ટના અધ્યક્ષ તથા નાયબ નિયામક એમ.એન. ગામિત પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થિનીઓની રજૂઆતો સાંભળી અને ભોજન તથા અન્ય વ્યવસ્થાઓ અંગેની ફરિયાદોનું યોગ્ય મૂલ્યાંકન કરીને ઝડપથી નિકાલ કરવાની ખાતરી આપી હતી.
એસડીએમ અક્ષર વ્યાસે જણાવ્યું હતું કે કલેક્ટરની સૂચનાથી અધિકારીઓની ટીમ વિદ્યાર્થિનીઓના પ્રશ્નો સાંભળવા પહોંચી હતી. તંત્રના સ્તરે ઉકેલી શકાય તેવા પ્રશ્નો અંગે વિદ્યાર્થિનીઓને આશ્વાસન આપવામાં આવ્યું છે.જ્યારે નીતિગત અને અન્ય મોટા મુદ્દાઓ અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું. હવે વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની તંત્ર દ્વારા થતી તપાસમાં હકીકત શું બહાર આવે છે અને હોસ્ટેલની ભોજન, પાણી, સ્વચ્છતા તથા સુરક્ષા વ્યવસ્થામાં કેટલો સુધારો થાય છે તેના પર નજર રહેશે.

