Junagadh,તા.૧૨
જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખેંચાતા વંથલી પંથકના ખેડૂતોની મુશ્કેલી વધી છે. ચોમાસાની શરૂઆતમાં સારા ઉત્પાદનની આશાએ મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો હવે પાક નિષ્ફળ જતાં ભારે નુકસાનીનો સામનો કરી રહ્યા છે. મગફળીના પાકમાં પીળીયો, સુકારો અને અન્ય રોગોના ઉપદ્રવથી ઊભો મોલ સુકાઈ જતાં કેટલાક ખેડૂતો ખેતરમાં રાપ ફેરવી પાક કાઢી રહ્યા છે, જ્યારે કેટલાક ખેડૂતો પાકને સળગાવવા સુધી મજબૂર બન્યા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, મોંઘા બિયારણ, ખાતર અને દવાઓ પાછળ વીઘાદીઠ હજારો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ પાકને બચાવી શકાયો નથી. વારંવાર દવાનો છંટકાવ કરવા છતાં રોગચાળો કાબૂમાં ન આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે.
વંથલી પંથકમાં ચોમાસાની શરૂઆતમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂતોને દિવાળી આસપાસ મગફળી ઘરમાં આવવાની આશા હતી. જોકે વરસાદ લાંબો સમય ખેંચાઈ જતાં જમીનમાં ભેજની અછત સર્જાઈ અને પાક પર તેની સીધી અસર પડી.ખેડૂતોનું કહેવું છે કે કૂવા અને બોરમાં પણ પૂરતું પાણી ન હોવાથી પાકને જરૂરી પિયત આપી શકાય તેમ નથી. પરિણામે મગફળી પીળી પડીને ધીમે ધીમે સુકાવા લાગી છે.
લુસાડા ગામ પંથકના ખેડૂત પીડી ડાંગરે જણાવ્યું કે મગફળીના પાકમાં હિરીયા નામના રોગના આક્રમણથી અનેક ખેડૂતોનો પાક બગડી ગયો છે. કેટલાક ખેડૂતોને ઊભો પાક કાઢીને હવે અન્ય પાકનું વાવેતર કરવાની ફરજ પડી છે. તેમના જણાવ્યા મુજબ, ખેડૂતોને વીઘાદીઠ આશરે ૩૦ હજાર ઉત્પાદનની અપેક્ષા હતી, પરંતુ હાલ નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
મગફળીના પાક પાછળ વીઘાદીઠ આશરે ૧૦થી ૧૫ હજાર સુધીનો ખર્ચ થઈ ચૂક્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. પીડી ડાંગરે વધુમાં જણાવ્યું કે હવે મગફળીનું વાવેતર કરવાનો સમય નીકળી ગયો હોવાથી ખેડૂતો મગ, તલ, તુવેર અને અડદ જેવા વિકલ્પ પાકો તરફ વળી રહ્યા છે. વરસાદની અછતને કારણે શિયાળુ પાક માટે પણ પાણીની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.લુસાડા ગામના અન્ય ખેડૂત શૈલેષભાઈ ડાંગરે જણાવ્યું કે તેમણે આશરે ૫૦ વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ખેંચાતા અને રોગના ઉપદ્રવને કારણે પાક સંપૂર્ણપણે બગડી ગયો છે. તેમના જણાવ્યા મુજબ, આસપાસના અનેક ગામોમાં પણ મગફળી પીળી પડીને સુકાઈ રહી છે.
માત્ર બિયારણ પાછળ જ વીઘાદીઠ આશરે ૨,૫૦૦થી ૨,૭૦૦નો ખર્ચ થયો હતો. એગ્રો નિષ્ણાતોની સલાહ મુજબ વિવિધ દવાઓનો છંટકાવ કરવા છતાં પાકમાં સુધારો ન થતાં ખેડૂતો નિરાશ થયા છે.તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે કેટલાક ખેડૂતોને બિયારણની ગુણવત્તા અંગે પણ મુશ્કેલી પડી છે. વરસાદની અછત, ખરાબ હવામાન અને રોગના ઉપદ્રવના સંયુક્ત કારણે સમગ્ર પંથકના ખેડૂતો નુકસાનીમાં ધકેલાયા હોવાનો તેમનો દાવો છે. વંથલી પંથકના ખેડૂતો હાલ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. પાક માટે કરવામાં આવેલો ખર્ચ પણ પરત મળવાની સ્થિતિ નથી અને આગામી સિઝન માટે પણ પાણી તથા નાણાંની ચિંતા ઊભી થઈ છે.ખેડૂતોની માગ છે કે સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત ગામોમાં સર્વે કરવામાં આવે. પાક નુકસાનનું યોગ્ય આકલન કરી ખેડૂતોને નિયમ મુજબ વળતર અને સહાય આપવામાં આવે.વરસાદની અછત અને પાકમાં ફેલાયેલા રોગચાળાની સ્થિતિ વચ્ચે હવે સરકારી તંત્ર દ્વારા કેટલો ઝડપી સર્વે કરવામાં આવે છે અને અસરગ્રસ્ત ખેડૂતોને કેટલી સહાય મળે છે તે મહત્વનું બન્યું છે.

