Chandigarh, તા.૧૬
શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે અધ્યક્ષ પદેથી રાજીનામું ધરી દીધું છે. પાર્ટીની વર્કિંગ કમિટીને રાજીનામું આપ્યું છે. બાદલે પોતાના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવા અને સમગ્ર કાર્યકાળ દરમિયાન દિલથી સમર્થન અને સહયોગ આપવા માટે તમામ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છે.
શિરોમણી અકાલી દળના નેતા દલજીત સિંહ ચીમાએ કહ્યું કે, શિઅદ અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે નવા અધ્યક્ષની ચૂંટણી યોજવા માટે આજે પાર્ટીની કાર્યસમિતિને પોતાનું રાજીનામું સોંપી દીધું. તેમણે પોતાના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવા અને સમગ્ર કાર્યકાળ દરમિયાન દિલથી સમર્થન અને સહયોગ આપવા માટે તમામ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો. જણાવી દઈએ કે, વર્ષ ૨૦૦૮માં સુખબીર સિંહ બાદલને શિરોમણી અકાળી દળની કમાન સોંપવામાં આવી હતી. બાદલે ૧૬ વર્ષ અને બે મહિના સુધી શિઅદનું અધ્યક્ષ પદ સંભાળ્યું. સુખબીર સિંહ બાદલ પહેલા તેમના પિતા પ્રકાશ સિંહ બાદલ પાસે પાર્ટીની કમાન હતી.
સુખબીર સિંહ બાદલે પાર્ટી અધ્યક્ષ પદથી રાજીનામું એવા સમયે આપ્યું છે જ્યારે ૨૦ નવેમ્બરે પંજાબની ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. તેમના રાજીનામાં બાદ હવે જોવાનું રહેશે કે શિરોમણી અકાળી દળના નવા ચીફ કોને બનાવવામાં આવે છે.

