New Delhi,તા.06
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના સોનાના રિઝર્વ વેલ્યૂમાં 2 અબજ ડૉલરથી વધુનો ઘટાડો નોંધાયો છે. RBI દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર, 29મી મે, 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સોનાના રિઝર્વ વેલ્યૂમાં 2.19 અબજ ડૉલરનો ઘટાડો દર્શાવવામાં આવ્યો છે. ગોલ્ડ રિઝર્વના વેલ્યૂમાં થયેલા આ મોટા ઘટાડાને પગલે બજારમાં એવી અટકળો શરૂ થઈ હતી કે મધ્યસ્થ બેન્કે સોનું વેચ્યું હશે, પરંતુ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આ તમામ અટકળોને નકારી કાઢી છે.
રિઝર્વ બેન્કે વિગતવાર સ્પષ્ટતા કરી છે કે સોનાના ભંડારના મૂલ્યમાં આ ઘટાડો સોનાના વેચાણને કારણે નહીં, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતોમાં થતા ફેરફાર (વેલ્યુએશન લોસ)ના કારણે થયો છે. સોનાના ભંડારનો હિસાબ યુએસ ડૉલરમાં રાખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારના ભાવોના આધારે તેનું સાપ્તાહિક ધોરણે પુનઃમૂલ્યાંકન થાય છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં આવતી વધઘટ અને ચલણની હિલચાલને લીધે રિપોર્ટમાં મૂલ્ય ઓછું દેખાઈ શકે છે, ભલે બેન્ક પાસે રહેલા સોનાના વાસ્તવિક જથ્થામાં કોઈ ફેરફાર ન થયો હોય.
અગાઉ ‘બ્લૂમબર્ગ ઇકોનોમિક્સ’ના એક વિશ્લેષણમાં દાવો કરવામાં આવ્યો હતો કે 22મી મેના રોજ પૂરા થયેલા બે અઠવાડિયાના ગાળામાં ભારતે રૂપિયાને ટેકો આપવા અથવા વિદેશી હૂંડિયામણ મજબૂત કરવા આશરે 12 અબજ ડૉલરનું સોનું વેચ્યું હોઈ શકે છે. RBIએ આ વિશ્લેષણને ખોટું ગણાવી ફગાવી દીધું છે અને ઉમેર્યું છે કે ‘ભંડારના મૂલ્યની વધઘટને વાસ્તવિક જથ્થાના ઘટાડા સાથે સરખાવવી જોઈએ નહીં. હાલના સોનાનો ભંડાર 880.52 ટનના સ્તરે યથાવત્ છે.’
અહેવાલો અનુસાર, શુક્રવારે (પાંચમી જૂન) નાણાકીય નીતિની જાહેરાત બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ‘RBIએ સોનું વેચ્યું હોવાના અહેવાલો આધારહીન છે. સેન્ટ્રલ બેન્કનું ગોલ્ડ રિઝર્વ યથાવત્ છે, એટલું જ નહીં, તેમાં થોડો વધારો પણ થયો છે.’સોનાના મૂલ્યમાં ઘટાડો થયો હોવા છતાં, દેશની એકંદર રિઝર્વ સ્થિતિ મજબૂત રહી છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન ભારતની ફોરેન કરન્સી એસેટ્સ (FCA) (જે વિદેશી હૂંડિયામણનો સૌથી મોટો હિસ્સો છે) તે 3.12 અબજ ડૉલર વધીને 546.15 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. આ વધારાએ દેશની આર્થિક સ્થિતિને વધુ સ્થિરતા પ્રદાન કરી છે.

