(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૦
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે આવેલ પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.જેમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લો પડેલો શૌચાલયનો કુવામાં બે નિર્દોષ ભેંસો માટે જીવલેણ સાબિત થયો. સદનસીબે સ્થાનિક લોકોની સતર્કતા અને ક્રેઈનની મદદથી ભારે જહેમત બાદ બંને ભેંસોને સલામત રીતે બહાર કાઢવામાં આવી.
આ બનાવમાં મળતી વિગત મુજબ નાના લીલીયા ગામે આવેલ પાણી પુરવઠા વિભાગના સાંકડા કુવામાં એકી સાથે બે ભેંસ પડી જતા તેમાં ફસાઈ ગઈ હતી અને બહાર નીકળવાનો કોઈ રસ્તો ના હતો. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને કલાકોની મહેનત બાદ રેસ્ક્યૂ ઓપરેશન સફળ રહ્યું.સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કુવો છેલ્લા ઘણા સમયથી ખુલ્લો પડ્યો છે. પાણી પુરવઠા વિભાગે પોતાની જવાબદારી સમજી આ ખુલ્લા કુવાને વહેલી તકે સુરક્ષિત રીતે ઢાંકી દેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં કોઈ પશુ કે વ્યક્તિ આવી દુર્ઘટનાનો ભોગ ન બને.
નાના લીલીયા તાલુકા પંચાયતના સદસ્ય રણજીતભાઈ ખુમાણે પાણી પુરવઠા વિભાગને લેખિત પત્ર પાઠવી તાત્કાલિક કુવો ઢાંકવાની માંગ કરી છે. અહીં ગામના પશુઓ ચરવા માટે આવતા હોવાથી અકસ્માતની શક્યતા સતત યથાવત છે.

