(નયના દવે દ્વારા)
Jamnagar તા.૮
જામનગર શહેરના સીટી એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ૧૧૨ જનરક્ષક ટીમના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. શુક્રવારે પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ૧૧૨ જનરક્ષક ટીમના પોલીસ કોન્સ્ટેબલ નીલેશભાઈ ગોવિંદભાઈ અધેરા અને ડ્રાઇવર અજયસિંહ સોઢા મારામારીની ફરિયાદના અનુસંધાને કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં બંને આરોપીઓ મુસ્તુફા મોહમદ વજુગરા અને હાજીભાઈ મોહમદ વજુગરાએ પોલીસ સાથે જીભાજોડી કરી, સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને ઝાપટ મારી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હોવાનો આક્ષેપ છે.
આ બનાવ અંગે સીટી એ-ડિવિઝન પોલીસ મથકે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.આ ગુનાની તપાસ દરમિયાન સીટી એ-ડિવિઝનના પીઆઈ. વિપુલસિંહ ડોડિયા, પીએસઆઈ વસંત ગામેતી તથા તેમની ટીમે બંને આરોપીઓને ત્વરિત ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આરોપીઓને બનાવના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ત્યારબાદ બંનેને દરબારગઢ પોલીસ ચોકી લાવવામાં આવ્યા હતા.પોલીસ કાર્યવાહી દરમિયાન બંને આરોપીઓએ ભવિષ્યમાં આવી પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં કરવાની કબૂલાત વ્યક્ત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

