સાસુ સાથે ઝઘડામાં પરિણીતાએ અંતિમ પગલું ભર્યું, પરિવારમાં અરેરાટી
Rajkot,તા.15
શહેરના કુવાડવા રોડ પર આવેલી ખોડલધામ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મેંગો માર્કેટ પાસે રહેતી ૨૫ વર્ષીય પરિણીતા એ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ખોડલધામ સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા નિકિતાબેન વાઇફ ઓફ અજયભાઈ પ્રજાપતિ (ઉં ૨૫) ગઈકાલે રાત્રે આશરે આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા, ત્યારે તેમણે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવને પગલે તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મૃતક નિકિતાબેનના પતિ અજયભાઈ પ્રજાપતિ મૂળ આણંદના વતની છે અને રાજકોટમાં સંત કબીર રોડ વિસ્તારમાં ઇમિટેશનનો વ્યવસાય કરે છે. ઘટના પાછળ સાસુ અને વહુ વચ્ચે કોઈ બાબતે થયેલો ઝઘડો જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા નિકિતાબેને અંતિમ પગલું ભરી લીધું હોવાનું અનુમાન છે. બનાવની જાણ થતા જ નિકિતાબેનના માવતર પક્ષના લોકો રાજકોટ દોડી આવ્યા હતા. માવતર પક્ષના સભ્યો મૃતદેહને અંતિમ વિધિ માટે તેમના વતન આણંદ ખાતે લઈ ગયા છે. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

