Ayodhya,તા.18
શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી અયોધ્યામાં માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ આર્થિક ક્ષેત્રે પણ નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. ભારતીય વ્યવસ્થાપન સંસ્થા, લખનૌ (IIM લખનૌ) દ્વારા તૈયાર કરાયેલા `અયોધ્યાનો આર્થિક પુનર્જાગરણ’ વિષયક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે મંદિર નિર્માણ પછી શહેરમાં પર્યટન, રોજગારી અને રોકાણ ક્ષેત્રે ઐતિહાસિક વૃદ્ધિ નોંધાઈ છે.
અભ્યાસ અનુસાર, મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યામાં દર વર્ષે આશરે 1.7 લાખ જેટલા યાત્રાળુઓ આવતા હતા. પરંતુ જાન્યુઆરી 2024માં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ છ મહિનામાં જ 11 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અયોધ્યાની મુલાકાત લીધી હતી.
અંદાજ છે કે, આવનારા વર્ષોમાં દર વર્ષે 5 થી 6 કરોડ યાત્રાળુઓ અયોધ્યા પહોંચશે. રાજ્ય સરકારના મૂલ્યાંકન મુજબ, વધેલા પર્યટનના કારણે હજારો કરોડ રૂપિયાની આવક સર્જાઈ રહી છે.
યાત્રાળુઓની વધતી સંખ્યાને કારણે હોટેલ, લોજ, હોમસ્ટે અને અન્ય સેવા ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં રોકાણ થયું છે. અહેવાલ મુજબ, હજારો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) સ્થાપિત થયા છે.
આગામી વર્ષોમાં લાખથી વધુ સીધી અને પરોક્ષ રોજગારીના અવસર ઊભા થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. શહેરમાં માર્ગ, રેલ અને હવાઈ જોડાણમાં સુધારા સાથે આધુનિક સુવિધાઓના વિકાસે વેપાર પ્રવૃત્તિઓને વધુ વેગ આપ્યો છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ સાથે રાજ્ય સરકારે 20,000 થી 25,000 કરોડની ટેક્સ આવક થઈ છે.
અયોધ્યાના નાના વેપારીઓ અને દુકાનદારોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ જ્યાં દૈનિક આવક મર્યાદિત હતી, ત્યાં હવે વધેલા પર્યટનથી આવકમાં ઘણો વધારો નોંધાયો છે. મંદિર આસપાસના વિસ્તારોમાં જમીન અને મિલ્કતના ભાવમાં પણ અનેક ગણો ઉછાળો જોવા મળ્યો છે.
અભ્યાસમાં નોંધાયું છે કે ધાર્મિક પર્યટન આધારિત આ વિકાસ મોડેલ અન્ય ધાર્મિક નગરો માટે પણ માર્ગદર્શક બની શકે છે. જે દુકાનદારોની રોજની આવક 400-500 હતી તે વધુને હવે સીધી 2500-3000 પ્રતિ દિવસ સુધી પહોંચી છે.
આઇઆઇએમ લખનૌના અભ્યાસ મુજબ, રામ મંદિરના નિર્માણ પછી અયોધ્યા ધાર્મિક મહત્વ સાથે સાથે આર્થિક શક્તિ તરીકે પણ ઉભરી રહ્યું છે. પર્યટન, રોકાણ અને રોજગારીના નવા અવસરો સાથે શહેર `આર્થિક પુનર્જાગરણ’ તરફ આગળ વધી રહ્યું છે.

