હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. દરેક યુગને તપાસીએ તો એમાંથી ભૂલ તારવી શકાય, અને યુગ ગમે તે હોય ભૂલ થાય જ, માનવીને ભૂલ કરાવતાં ઘણાં પરિબળો છે, પણ એમાં કાળ સૌથી મોટું પરિબળ છે, પછી તે સંજોગ રુપે હોય કે પછી ભૂત ભવિષ્ય અને વર્તમાન એ રીતે હોય. સંજોગ પર આપણું જોર ચાલતું નથી, પરંતુ કાળમાં આપણે વર્તમાનને કંટ્રોલ કરી શકીએ છીએ, એટલે કે જે વીતી ગયું એને પકડી રાખવાનો કોઈ અર્થ નથી! અને જે વિતશે એને વિશે પણ અત્યારથી એટલી ચિંતા કરવાથી કંઈ થવાનું નથી! પણ જે કાળ રુપે વર્તમાન સમયમાં જાગૃત રહીને, અથવા એને ઈશ્વરની કૃપા માની માણી લઈએ તો જીંદગીમાં કંઈક ખુશી હાંસલ કરી શકીશું. આજે ગુરુવાર એટલે પ્રાર્થનાનો ક્રમ અને નરસિંહની આવી જ એક રચના.
**નરસિંહ મહેતા**
*સખી આજની ઘડી તે રળિયામણી,
હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી
શ્રીકૃષ્ણ જ્યારે ગોકુળ છોડી મથુરા ચાલ્યાં ગયાં, ત્યારની ગોપીઓની વિરહ દશાને આલેખતી આ રચનામાં નરસિંહ ગોપી ભાવ મનમાં ધરીને કહે છે, કે હે સખી આજે કૃષ્ણ કામણગારો આવશે મારા વ્હાલાની વધામણી મળી, કે એવી આત્મ સ્ફૂરણા મને થઈ! એટલે પોતાની માટે આજની ઘડી રળિયામણી થઈ!
સ્થૂળ રૂપે નરસિંહ ગોકુળની ગોપી બની ત્યાં વિહાર કરે છે,પણ સુક્ષ્મ ભાવે, સખી એટલે કે પોતાનાં મનને સંબોધીને કહે છે, કે ભૂત ભવિષ્યની ગલીઓનુ ભ્રમણ છોડીને વર્તમાનને સાધી લઈશું તો આત્મા રુપે કૃષ્ણ એટલે કે વ્હાલાજી આવ્યાનો અહેસાસ થશે.
*જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
હે મારાં વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે…. આજની ઘડી.
પોતાનો વ્હાલીડો આવવાનો છે, એટલે ગોપી એનાં સ્વાગતની તૈયારીમાં દ્વાર પર તોરણ બાંધ્યું અને એને વધાવવા મોતીની વ્યવસ્થા કરી લીધી.
આંખની પાંપણ રૂપે જે દ્વાર છે, ત્યાંથી જ દર્શન થશે! એટલે એ દ્વાર પર આશાનું તોરણ બાંધ્યું, અને વધાવવા માટે મોતીડાં એટલે કે વિરહનાં આંસુ આવી ગયાં.
*જી રે લીલુડાં વાંસ વઢાવિયા,
હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે જી રે…. આજની ઘડી.
ગોપી કહે છે કે મારો વ્હાલો આવે તો એને બેસાડવા મેં લીલાછમ વાંસ વઢાવીને મંડપ બંધાવી રાખ્યો છે.
લીલું અને સુકું એ બે શબ્દ આપણે ત્યાં, સુખ અને દુઃખ માટે પ્રયોજવામાં આવે છે. લીલુડા વાંસ એટલે નરસિંહ ખુદને બોધ કરતાં કહેવા માંગે છે કે, સુખની પાછળની તારી દોડને વાઢી નાખ! એટલે કે તારી સુખની ચાહ જ હરિ દર્શન માટે બાધક છે.
*જી રે પૂરો સોહાગણ સાથિયો,
હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રે…. આજની ઘડી.
ગોપી કહે છે કે પોતાનું સૌભાગ્ય અમર છે માટે મારા વ્હાલાને પણ મારી યાદ સતાવે છે, એટલે એ મલપતો મલપતો પધારે છે! એટલે ઘર આંગણને સાથિયાથી સજાવ્યું. સુહાગણ એટલે કે સૌભાગ્યવતી અને સાથિયા ને એક શુભ ચિન્હ તરીકે આપણે મુલવીએ છીએ, આ ઉપરાંત નાગર બોલીમાં સાથિયા એટલે રંગોળી! જીવનનાં રંગોને રંગોળી જેમ જોવામાં નહિ આવે તો આવનારો સમય આવશે તો જરૂર,પણ હાથી જેમ મલપતો મલપતો એટલે કે પ્રસન્નતા પૂર્વક નહીં આવે.
*જી રે જમુનાના નીર મંગાવિયે,
હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે જી રે… આજની ઘડી.
જમુનાનાં નીર મેં મંગાવી રાખ્યું એનાથી મેં મારા વ્હાલાજીનાં પગ ધોયાં.
આત્મા રૂપી કૃષ્ણથી દૂર રાખનારું હજી એક પરિબળ છે, અને એ છે કર્મ! જમુનાનાં નીર સહેજ શ્યામ હોય છે, અને એટલે કર્મ ને જમુના ના નીર સાથે સરખાવતાં કહ્યું કે આપણાં ખરાબ કર્મને એનાં ચરણે મુકી નિશ્ચિંત થઈ જઈને કૃષ્ણ દર્શન કરીએ
*જી રે સહુ સખીઓ મળીને વધાવિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.
પોતાની જેવી જ મનોદશા અન્ય ગોપીઓની પણ છે, એટલે કહે છે કે બધી જ સખીઓ ભેગાં થઈને પ્રિયજનને વધાવીએ અને આરતી ઉતારીએ.
નરસિંહને લાગે છે કે ખાલી મનની શરણાગતિથી કામ ચાલશે નહીં, ત્યારે એણે સહું સખીઓ એટલે કે બધી જ ઈન્દ્રિયોને હરિ દર્શન માટે એક થવા કહ્યું.
*જી રે તન-મન-ધન, ઓવારિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.
ગોપીએ પ્રેમની પુનિત અવસ્થામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું, અને એની આરતી ઉતારી.
નરસિંહ કહે છે કે, પોતાનાં સમગ્ર શરીરની પૂર્ણ શરણાગતિ વગર હરિ દર્શન કે હરિની આરતી શક્ય નથી.
*જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો,
હે મે’તા નરસિંહનો સ્વામી દીઠડો જી રે….આજની ઘડી.
ગોપી ભક્તિનાં રસનું આચમન કરીને કહે છે કે ભક્તિ રસ અતિ મીઠો છે, અને આ રસ થકી જ મને નરસિંહનાં સ્વામીનાં દર્શન થયાં.
ભક્તિ રસનો મહિમા ગાતાં નરસિંહ કહે છે, સંસારનાં બધાં રસનું મેં આચમન કર્યું, પણ ભક્તિ રસ જેવો એકેય રસ મીઠો નથી! અને આ ભક્તિનાં રસ થકી જ નરસિંહનાં સ્વામીને દીઠાં, અને આ બધું જ આજની ઘડી એટલે કે વર્તમાન સમયને સાધવાથી જ મળ્યું.
સાવ સીધાસાદા શબ્દોમાં નરસિંહ કેટલી મોટી વાત કહી ગયાં, નરસિંહનાં સમય પહેલાં જ ભગવાન શ્રીકૃષ્ણ અને એનાં જન્મની લીલાઓ ભૂતકાળ બની ગઈ હતી, પણ ભક્તિ થકી નરસિંહ એ યુગમાં પરિભ્રમણ કરી આવ્યાં, અને ગોપી બની શ્રીકૃષ્ણનો એ જ રૂપે સાક્ષાત્કાર પણ કર્યો. નરસિંહની રચનામાં ઘણી લાક્ષણિકતાઓ હોય છે, પણ એક એક પંક્તિમાં જે ઉપમા આપવામાં આવે છે, એ અદભૂત છે. આ રચનામાં સમયની સાપેક્ષતાનો સહજ સ્વીકાર કરીએ તો જ આજની ઘડી રળિયામણી લાગે, એટલે કે વર્તમાન માણી શકાય! અને પછી આ સાપેક્ષતાનો સહજ સ્વીકાર કરવા નીસરણી જેમ એક એક પગથિયું બતાવ્યું છે! દુઃખ તો આવશે એને આંસુ મોતી જેવા કિંમતી છે, માટે રોદણાં રડી વેડફવા નહીં, હરિનાં સ્વાગત માટે બચાવી રાખવાં. સુખની કામનાં માટે નિરંતર દોડાદોડ કરતી વૃત્તિઓને છેદવી પડે તો જ જીંદગી માણી શકાય. સુખ દુઃખનાં સંભારણાંની રંગોળીનાં રંગ જેમ મુલવણી કરવી, એટલે કે અમુક રંગ હોય તો જ રંગોળી દીપી ઉઠે. માનવીથી ઘણું બધું થઈ શકે, પણ એક સારું કાર્ય કર્યાનાં અહમ થી મુક્ત રહી શકાતું નથી. એટલે નરસિંહ કહે છે કે, કર્તા તો હરિ જ છે, તું હું પણું છોડીશું તો જ કર્મ જમુના જેવા નિર્મળ બનશે, અને ઠાકોરજીનાં ચરણ પખાળી શકીશું. ઈચ્છા જ્યારે તીવ્ર બને, અને શરીરનું એક એક અંગ જ્યારે એને પુરું કરવા માટે સક્રિય બને, ત્યારે જ એ કાર્ય સંપન્ન થાય, એમ હરિ દર્શનની માત્ર લાલસા કરવાથી પરિણામ સુધી પહોંચી શકાતું નથી! સમગ્ર ઈન્દ્રિયો એની માટે સંકલ્પિત હોવી જોઈએ, અને છતાં પરિણામ મળતું ન્હોય, તો પૂર્ણ શરણાગતિ જ એક ઉપાય છે. આપણે જાણીએ છીએ કે આંખી ગીતાનાં અઢાર અધ્યાય સમજાવવાં છતાં, શું કરવું એ વિશે અર્જુન અસમંજસ છે, ત્યારે કહે છે કે, “મામેકમ શરણં મમ”એટલે કે આપણાથી આ નિસરણી ચડી શકાય એમ નથી, ત્યારે શરણાગતિ જ શ્રેષ્ઠ છે, અને એજ રીતે નરસિંહને ભક્તિ રસ મીઠો લાગે છે, અને હરિ દર્શન થાય છે. આપણે સૌ રચનાના મર્મને પકડી વર્તમાન સમયને સાધીને, આત્મા રુપે પરમાત્માનાં દર્શન કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થનાં ઈશ્વર ચરણે રાખી, હું મારાં શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

