માનસ સુંદરકાંડની કથાનો પ્રારંભ કેટલાક પ્રશ્નોથી થયો, એક નાનાં બાળકે પ્રશ્ન કર્યો કે, બાપુ આપ રોજ વ્યાસપીઠ પર આવી, પોથી ખોલીને કેટલાંક શ્લોકો વાંચી પછી એને બંધ કરી દો છો, એવું શું કામ? પૂજ્ય બાપુએ કહ્યું કે સદગ્રંથનું દર્શન બહુ જરૂરી છે, આપણને આખો ગ્રંથ કંઠસ્થ થઈ ગયો હોવાં છતાં, એકવાર એને ખોલી એમાંથી કેટલાક મંત્રનો પાઠ કરી લેવો, નહિતર ગ્રંથ અપરાધ થઈ જાય. વિશ્વમાં સૌથી કંઈ અઘરું હોય તો, એ કૃપાને પચાવવી છે, અહંકાર ગમે ત્યારે સવાર થઈ શકે છે. તુલસી પણ રામચરિત માનસમાં આનો ઉલ્લેખ કરે છે.
દરસ પરસ મજ્જન અરુ પાનાં,
હરઈ પાપ કહ બેદ પુરાના.
આપણાં અપ્રસન્નતા રુપી પાપને દૂર કરે છે, જીવનનાં તમામ સત્કર્મનું ફળ ઉત્તમ શ્લોકનાં ગુણોનું વર્ણન કરવું એ છે! ઉત્તમ શ્લોક એટલે પ્રભુ શ્રીરામ, શ્રીકૃષ્ણ, શિવ, દુર્ગા… કોઈ પણના શુભ ગુણોનું વર્ણન કરવું. એક ભાઈએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે બાપુ અમે કથા નથી કરાવી શકતા! અમારી એવી સાધન સંપન્નતા નથી! એવી ગ્લાનિ ન અનુભવો, તમે કોઈની નિંદા ન કરો, એ કથાનું પુણ્ય છે! બધું છોડી શકાય પણ ઈર્ષા, નિંદા, છૂટતા નથી. કોઈ પ્રત્યે ઈર્ષા, નિંદા કે દ્વેષનો ભાવ છોડી દીધો, તો તમે ચંદ્રમા માં કથા આયોજિત કરી દીધી સમજવી.
વિનય પત્રિકા તુલસીદાસજીનું આખરી સર્જન માનવામાં આવે છે, અને હનુમાન ચાલીસા મારાં મતે સૌથી પ્રથમ લખ્યું. વિનય પત્રિકામાં ગોસ્વામીજી એ સાધકોનાં પ્રશ્નોનાં જવાબ આપ્યા છે. રામનો પ્રેમ પ્રતાપ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? આપણે બધાં જ ઈચ્છીએ કે પરમનો પ્રેમ આપણને પ્રાપ્ત થાય, ઈશ્વર પાસે કંઈ માગવું નહીં, પરંતુ ઈશ્વર પાંચ વસ્તુ આપે તો સમજવું કે આપણું જીવન ધન્ય થઈ ગયું. પરમાત્મા પ્રેમ કરવા લાગે, પરમાત્મા અધિક કરુણા કરે, પરમાત્મા આપણને અનુકૂળ થઈ જાય, પરમાત્મા આપણા પર પ્રસન્ન થઈ જાય, અને પરમાત્મા આપણું પરમહિત જેમાં હોય એવું જ કરે!
સમુજી સમુજી ગુનગ્રામ રામ કે, ઉર અનુરાગ બઢાઉ,
તુલસિદાસ અનાયસ રામપદ પાઈહૈ પ્રેમ પસાઉ.
હ્રદયમાં અનુરાગ વધારો, પસાઉ એટલે કે પ્રેમ પ્રસાદ મળશે, એટલે કે આપણે તેમનો પ્રેમ પ્રાપ્ત થશે.
અન્ય એક પ્રશ્ન ગુરુદ્વાર જવાથી કેવાં કેવાં ફાયદા થાય છે? શીખ ભાઈઓ એ તો પોતાનાં મંદિરનું નામ જ ગુરુદ્વારા રાખી લીધું, પણ આપણાં જે ગુરુ હોય, એનાં દ્વારે જવાથી પાંચ ફાયદા થાય છે. ગુરદ્વારે જવાથી આપણને વિષાદમાંથી મુક્તિ મળે છે. રામચરિતમાનસમાં દશરથ જ્યારે ગુરુદ્વારે ગયાં અને પરિણામ સ્વરૂપે ભગવાન રામ પ્રાપ્ત થયાં, દશરથ વિષાદ મુક્ત બન્યાં. ગુરુદ્વારે જવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે, બ્રહ્મવિદ્યા, વેદવિદ્યા, યોગવિદ્યા, અથવા તો આપણને જે બંધનમાં ન નાખે, મુક્ત રાખે એવી કોઈ વિદ્યા. ગુરુદ્વારે જવાથી વિવેક વર્ધન થાય છે. ગુરુદ્વારે જવાથી આપણો વિશ્વાસ દ્રઢ થાય છે, ભરોસો પરિપક્વ બને છે. ગુરુદ્વારે જવાથી વહેમ અથવા સંશયનો નાશ થાય છે.
અન્ય એક પ્રશ્ન છે સદગુરુ અને શિષ્યની વચ્ચે સંબંધ કેવો હોવો જોઈએ?; હું તો અનુરોધ કરું છું કે, તમારાં તરફથી સદગુરુ સાથેનાં કોઈપણ પ્રકારનાં સંબંધનો પ્રસ્તાવ ન રાખો, એમને નિર્ણય કરવા દ્યો. તમે કહો કે હું તમારો શિષ્ય છું, પણ તમારાં શિષ્યવનું શું ઠેકાણું! આજે અહીં તો કાલે બીજે! ગુરુ આપણો ભગવાન છે, માટે હે ઈશ્વર તારી સાથે મારે અનેક પ્રકારનો નાતો છે, તો તું જ નિર્ણય કરી લે કે તને કયો નાતો પસંદ છે! બાકી સદગુરુ અને શિષ્યનો સંબંધથી મુક્ત સંબંધ છે. હું કોઈનો ગુરુ નથી અને મારો કોઈ ચેલો નથી, બધાં શ્રોતાઓ છે!
ના કોઈ ગુરુ, ના કોઈ ચેલા,
મેલે મે અકેલા,અકેલે મેં મેલા.
બીજી એક ચિઠ્ઠી મળી હતી કે આ કથા શા માટે થાય છે? કેટલો બધો ખર્ચ થાય! સત્સંગનું કોઈ મૂલ હોતું નથી, પણ કથામાં બે-ત્રણ લાખ લોકો ભોજન લે છે, દેશમાં બધા જ લોકોને આ રીતે ભોજન મળતું નથી, કથાનાં પ્રસાદ એ રીતે પણ નિર્વિકાર કરનાર છે. કથા એક નૌકા છે જે ભાવસાગર પાર ઉતારે છે.
ભવ સાગર ચહ પાર જો પાવા,
રામ કથા તા કહં દ્રઢ નાવા.
ઉત્તમ શ્લોકનાં ગુણગાનની સવલત અહીં થઈ રહી છે, સત્સંગથી મૂલ્યવાન બીજું કંઈ જ નથી.
માનસ સુંદરકાંડનાં વિષયમાં પ્રવેશ કરતા કહ્યું કે હનુમાનજીનું સીતા દર્શન ચાલી રહ્યું છે, અને એમણે જાનકી આગળ રામકથા ગાવાનું શરૂ કર્યું,
જાનકીનાં દુખ ભાગ્યા જાનકીજીએ પ્રશ્ન કર્યો, આ મુદ્રિકા પ્રભુ એ મને નિશાની માટે આપી હતી, જેથી આપને ભરોસો થાય. જાનકીજીને વિશ્વાસ બેઠો હનુમાનજીને ભૂખ લાગી હતી. રામકથા ગાયાં પછી ભૂખ લાગવી જોઈએ. વિશેષ સાંભળવાની, ભક્તિના ફળ પામવાની, કે સારી સત્ર છાયામાં રહેવાની ભૂખ. જાનકીએ કહ્યું રઘુવીરને હૃદયમાં ધારણ કરીને મધુર મધુર ફળ ખા! લંકામાં ઘણાં પ્રકારનાં ફળ છે, પરંતુ ફલાહારી કોઈ નથી, બધાં માંસાહારી છે. હનુમાનજી પહેલા ફલાહારી નીકળ્યા! જેણે લંકાનાં ફળ ખાધાં હનુમાનજી વૃક્ષ તોડી રહ્યાં છે, જાણે આખી અશોક વાટિકા ઉજાડી નાખી. બાગનાં રખેવાળો હનુમાનજીને રોકવા ગયાં, પરંતુ હનુમાનજી એમને મુક્કો માર્યો, કેટલાક ભાગીને રાવણની સભામાં જઈને કહેવા લાગ્યાં, માલિક, એક ભયંકર વાનર આવ્યો છે, અને એણે આતંક મચાવ્યો છે. રાવણે અક્ષયને મોકલ્યો, હનુમાનજી એ અક્ષયને જોતાં જ એક વૃક્ષ ઉઠાવ્યું, અને અક્ષયનો ક્ષય કરી નાખ્યો. રાક્ષસો વળી પાછાં રાવણ પાસે આવ્યાં અને અક્ષય નથી રહ્યો ના સમાચાર આવ્યાં, રાવણે કહ્યું મારે એને જોવો પડશે. ઇન્દ્રજીત ઊભો થયો, રાવણે સૂચના આપી કે, એને મારશો નહી, બાંધીને મારી સભામાં લઈ આવો. ઇન્દ્રજીતએ બ્રહ્માસ્ત્ર ઉઠાવ્યું, હનુમાનજીએ વિચાર્યું કે બ્રહ્માસ્ત્રનાં પણ ટુકડા કરી શકું, પરંતુ બ્રહ્માસ્ત્રનો મહિમા ઘટી જશે, એટલે મૂર્છિત થયાં નાગ પાશથી એને બાંધવામાં આવ્યાં, અને હનુમાનજી રાવણની સભામાં પ્રવેશ કરે છે.
કથાનાં ક્રમમાં શિવ પાર્વતીનાં વિવાહ પછી, પાર્વતીએ પુત્રને જન્મ આપ્યો, જે કાર્તિકે પુરુષાર્થનું રૂપ લઈને તારકાસુર નામનાં રાક્ષસને માર્યો. એક દિવસ ભગવાન શિવને પ્રસન્ન જોઈ, પાર્વતીએ કહ્યું કે, પ્રભુ મારા મનમાંથી હજી રામ બ્રહ્મ છે! કે મનુષ્ય? એ ભ્રાંતિ ગઈ નથી,આમ રામકથાની જિજ્ઞાસા કરી. પાર્વતીએ જ્યારે રામત્વ વિશે જિજ્ઞાસા કરી, ત્યારે શિવના મુખમાંથી પ્રથમ ધન્ય શબ્દ નીકળ્યો, અને ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો, આપ સમાન કોઈ ઉપકારી નથી, કારણ કે આપે એવી કથા પૂછી છે, જે સકલ લોક ને પાવન કરનારી ગંગા છે. રામ તત્વ શું છે, એ હું આપને જણાવું. વેદ પણ જેમનું મહિમા ગાન નથી કરી શકતાં, એ તત્વ છે રામ! અને નિરાકાર તત્વ સાકાર કેમ થયું? વ્યાપક એ વ્યક્તિનું રૂપ કેમ લીધું? એના અનેક કારણ છે, પણ છતાં કોઈ કારણ નથી! કેમકે ઈશ્વરને કાર્ય કારણનો સંબંધ લાગુ પડતો નથી. છતાં રામનાં જન્મ માટેનાં પાંચ કારણોની વાત તુલસીદાસજીએ રામચરિત માનસમાં કરી છે જય વિજયનું કારણ, બીજું સતી વૃંદાનો શ્રાપ, ત્રીજું નારદનો શ્રાપ, ચોથું મનુ અને શતરૂપાએ કઠિન તપસ્યા કરી, ઈશ્વર પાસે એમના જેવું સંતાન માગ્યું. પાંચમું પ્રતાપભાનુ, જેમને બ્રાહ્મણોના ભોજમાં માંસ ભેળવવા માટે શ્રાપ મળ્યો હતો. આમ રામ જન્મ કરાવી છઠ્ઠા દિવસની કથાને વિરામ આપ્યો.
સંકલન- ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

