Ahmedabad ,તા.૫
અમદાવાદમાં કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ભરેલા પાર્સલની ચોરીનો મામલો સામે આવ્યો છે. અમદાવાદની સિક્વલ લોજિસ્ટિક્સ કંપનીએ અકાશા એરલાઇન્સ વિરુદ્ધ અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે અકાશા એરલાઇન્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સિક્વલ લોજિસ્ટિક્સ કંપનીના સિક્યુરિટી મેનેજર બલવીર સિંહ રાઠોડે આપેલી ફરિયાદ અનુસાર, ટાઇટન કંપની સાથેના કોન્ટ્રાક્ટ હેઠળ ૧૭ એપ્રિલે અમદાવાદની આરબીજેડ જ્વેલર્સ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા સોના-ચાંદીના ૭ પાર્સલ અકાશા એરલાઇન્સ મારફત બેંગ્લોર મોકલવામાં આવ્યા હતા.
૧૮ એપ્રિલની વહેલી સવારે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય કાર્ગો એરપોર્ટથી અકાશા એરલાઇન્સની ફ્લાઇટમાં આ તમામ ૭ પાર્સલ સોંપવામાં આવ્યા હતા.એરલાઇન્સે પાર્સલ મેળવ્યાની પહોંચ પણ આપી હતી. જેમાંથી એક પાર્સલમાં ૨.૧ કિલોગ્રામ સોના-ચાંદીના દાગીના હતા, જેનું કુલ વજન ૧૩ કિલોગ્રામ હતું અને બજાર કિંમત અંદાજે ૨.૫૮ કરોડ હતી.
બેંગ્લોર એરપોર્ટ પર પાર્સલ લેવા ગયેલી સિક્વલ લોજિસ્ટિક્સની ટીમને માત્ર ૬ પાર્સલ જ મળ્યા. એક પાર્સલ ગુમ હતું. અમદાવાદમાં અકાશા એરલાઇન્સ સાથે સંપર્ક કરતાં તેઓએ કહ્યું કે તમામ ૭ પાર્સલ પહોંચાડી દેવામાં આવ્યા છે, જ્યારે બેંગ્લોર ઓફિસે છ પાર્સલ જ પહોંચ્યાની માહિતી આપી.આ વિરોધાભાસી વલણને લઈને લોજિસ્ટિક કંપનીએ છેતરપિંડી અને પાર્સલ ગુમાવવાના આરોપમાં ફરિયાદ નોંધાવી છે.
બલવીર સિંહ રાઠોડ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા સાનિધ્ય ફ્લોર આપ પ્લેટમાં રહે છે. તેમની કંપની સિક્વલ લોજિસ્ટિક્સ દેશના વિવિધ શહેરોમાં પાર્સલ સેવા આપે છે અને ટાઇટન જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ ધરાવે છે. અગાઉ પણ અકાશા એરલાઇન્સ મારફતે અનેક વખત મૂલ્યવાન પાર્સલ મોકલવામાં આવ્યા હતા, જે સુરક્ષિત રીતે પહોંચ્યા હતા. આ વિશ્વાસને કારણે જ આ વખતે પણ આ એરલાઇન્સ પસંદ કરવામાં આવી હતી.એરપોર્ટ પોલીસે અકાશા એરલાઇન્સના સંબંધિત અધિકારીઓના નિવેદન લેવા શરૂ કર્યા છે.સીસીટીવી ફૂટેજ, કાર્ગો હેન્ડલિંગના રેકોર્ડ અને પાર્સલ ટ્રેકિંગ વિગતોની તપાસ કરવામાં આવી રહી છે.

