હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. શાસ્ત્ર મુજબ હજી કળિયુગની પરાકાષ્ઠા નથી, અને છતાં આપણી માટે કળિયુગનાં પ્રભાવને વેઠવો અઘરો થતો જાય છે! હાં એ એક વાત જુદી છે કે, આપણે બધું જાણવાં છતાં જાગૃત રહી શકતાં નથી, અને એને કારણે માયાનાં પ્રપંચમાં સામે ચાલીને ઘેરાતાં જઈએ છીએ. અન્ય સંસ્કૃતિ વિશે તો બહુ ખબર નથી, પરંતુ ભારત પાસે તો આપણી એક એક સમસ્યાનો તોડ નીકળી શકે, એવાં શાસ્ત્રો પડ્યાં છે! અને એનો ઉપયોગ કે પ્રયોગ કરીને આપણે કળિયુગનાં પ્રભાવને આપણી અંદર પ્રવેશતાં રોકી શકીએ છીએ! વેદને કદાચ સૌકોઈ સમજી શકે નહીં, માટે આપણાં ઋષિમુનિઓએ એને સરળ બનાવવાં ઉપનિષદ ની રચના કરી છે. આવાં મુખ્ય ઉપનિષદ વિશે આપણે દર શુક્રવારે ચિંતન કરી રહ્યાં છીએ. ઈશ અને કેન ઉપનિષદ વિશે આપણે ચિંતન કરી ચૂક્યા છીએ, અને એ પછી આવે છે કઠ ઉપનિષદ, જેમાં એક સુંદર કથાનક દ્વારા આત્મજ્ઞાનને દર્શાવામાં આવ્યું છે, અને એને પ્રાથમિક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપણે ભણી ચૂક્યા છીએ. કઠ ઉપનિષદમાં જ દરેકની ક્ષણેક્ષણની જાગૃતિ માટેનો એક શ્લોક છે, કે જેને સ્વામી વિવેકાનંદ યુવાનોને રાષ્ટ્રીય જાગૃતિ માટે આહવાન કરતાં હતાં.
** કઠ ઉપનિષદ**
ૐ ઉશન્ હ વૈ વાજશ્રવસઃ સર્વવેદસં દદૌ,
તસ્ય હ નચિકેતા નામ પુત્ર આસ. ૧|
કઠ ઉપનિષદનો આ પ્રથમ શ્લોક છે, અને
આ ઉપનિષદમાં એક વાજશ્રવસ નામનાં ઋષિએ એક મોટો યજ્ઞ કર્યો, અને પોતાની મોટાભાગની સંપત્તિ દાનમાં આપવાં નક્કી કર્યું! .પરંતું એનાં દિકરા નચિકેતા એ જોયું કે એના પિતા ચાલાકી કરી રહ્યાં છે, અને જે દૂધ નહોતી આપતી અને બિમાર તેમજ દુબળી થઈ ગયેલી નકામી ગાયો હતી, એનું જ દાન કર્યું હતું. એમનો પુત્ર નચિકેતા સત્ય પ્રેમી અને ખૂબ જીજ્ઞાસુ હતો. એમણે એનાં પિતાને પુછ્યું કે પિતાજી આપ મને કોને દાનમાં આપશો? વારંવારનાં પુછવાથી ઋષિ એ જવાબમાં કહ્યું કે યમ રાજાને અને પછી શરૂ થાય છે, નચિકેતાની યમ પાસે જવાની યાત્રા, નચિકેતા ત્યાં ત્રણ દિવસ ભોજન પાણી વગર રોકાઈ રહ્યાં, અને અંતે યમ સાથે મુલાકાત થાય છે, અને ત્યાંથી શરૂ થાય છે તત્વ જ્ઞાનનો બોધ.
યમરાજ પાછાં આવ્યાં, તેઓ નચિકેતની ધીરજ જોઈને ખુશ થઈ ગયાં, અને નચિકેતાને ત્રણ વરદાન માંગવા કહ્યું. નચિકેતા એ પહેલાં વરદાન માં માગ્યું કે,મારા પિતા મારા પર ગુસ્સે રહે નહીં, અને મને પ્રેમથી સ્વીકારી લે.યમરાજે તથાસ્તુ કહી આ વરદાન આપી દીધું. નચિકેતા એ બીજા વરદાન મા માગ્યું કે “મને એવો યજ્ઞ શીખવો જે સ્વર્ગમાં લઈ જાય. યમરાજે તેને અગ્નિવિદ્યા શીખવી, જે વિધિને પછીથી “નચિકેત અગ્નિ” તરીકે ઓળખાય છે. નચિકેતા એ ત્રીજું વરદાન માંગ્યું, જે સૌથી મહત્વનું છે, મૃત્યુ પછી આત્માનું શું થાય છે? એ રહસ્ય મને કહો. યમરાજે વિચાર્યું કે આ પ્રશ્ન બહુ ઊંડો છે, તેથી તેમણે નચિકેતને પરીક્ષા રુપે લલચાવવાનો પ્રયાસ કર્યો, અને કહ્યું કે તું ધન, રાજ્ય, લાંબું આયુષ્ય, સુખ બધું માંગ પણ આ પ્રશ્ન પૂછ નહીં. પરંતુ નચિકેતા અડગ રહ્યો, અને કહ્યું કે હું જાણું છું, કે આ બધું ક્ષણિક છે. મને તો સત્ય જ જાણવું છે. નચિકેતની નિષ્ઠા જોઈને યમરાજે અંતે આત્મજ્ઞાન આપ્યું: આત્મા અમર છે, શરીર નાશવંત છે, અને સાચું સુખ તો આત્માને ઓળખવામાં છે.
કઠ ઉપનિષદનાં અમુક પ્રખ્યાત શ્લોકોને આધુનિક જીવનમાં કેવી રીતે લાગુ કરવો, તે સરળ રીતે સમજીએ. આ શ્લોક કઠ ઉપનિષદમાં યમરાજ દ્વારા નચિકેતાને અપાયેલ માર્ગદર્શન છે, પણ તેનો સંદેશ આજનાં જીવનમાં પણ ખૂબ જ પ્રાસંગિક છે.
**શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ
તૌ સમ્પરીત્ય વિવિનક્તિ ધીરઃ ।
શ્રેયો હિ ધીરઃ અભિ પ્રેયસો વ્રુણીતે
પ્રેયો મંદો યોગક્ષેમાદ્ વ્રુણીતે ॥
ઈન્દ્રિય સુખ પ્રેય અને શ્રેય સાચું કલ્યાણ અલગ છે. જીવનનાં અમુક મુકામે દરેકને બે રસ્તા સામે આવે છે, એક પ્રેય એટલે કે આસાન અને સુખદાયક. બીજો શ્રેય એટલે કે સાચું અને કલ્યાણકારી. પણ આપણી જાગૃતિ ન્હોયને આપણી આળસુ પ્રકૃતિ આપણને પ્રેય આસાન અને સુખદાયી માર્ગ પસંદ કરવા કહે છે. પરંતુ
સમજદાર માણસ હંમેશા શ્રેયનો માર્ગ પસંદ કરે છે.
**ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત ।
ક્ષુરસ્ય ધારા નિશિતા દુર્ગત્યેહા દુર્ગં પથસ્તત્કવયો વદન્તિ ॥
નચિકેતએ જ્યારે ત્રીજા વર્દાનમાં આત્મા શું છે?” એવો ઊંડો પ્રશ્ન પૂછ્યો. તેનાં જવાબમાં યમરાજ આત્મજ્ઞાન, જીવનનો સત્ય માર્ગ અને મુક્તિ વિશે સમજાવે છે. જ્યાં યમરાજ આત્મસાક્ષાત્કાર માટે જાગૃતિ અને પ્રયત્નની જરૂરિયાત બતાવે છે. ઉઠો! જાગો! અને શ્રેષ્ઠ જ્ઞાની પુરુષો પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. એમણે કહ્યું કે મહાન વિદ્વાનો કહે છે કે આ માર્ગ દુર્ગમ અને મુશ્કેલ છે, આ માર્ગ બહુ કઠિન છે, તીક્ષ્ણ છરીની ધાર જેવો. ઉત્તિષ્ઠત એટલે ઉઠો, આળસ છોડો, જીવનમાં સજાગ બનો, એટલે કે માત્ર ઉઠવું પર્યાપ્ત નથી. જાગૃત થઈ સંસાર અને મોહ માયા નાં અજ્ઞાનમાંથી બહાર આવો, વરાન્ પ્રાપ્ય, એટલે કે મહાન ગુરુઓને પ્રાપ્ત કરેલા સાચા માર્ગદર્શક પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરો. ક્ષુરસ્ય ધારા, આત્મજ્ઞાનનો માર્ગ અત્યંત સૂક્ષ્મ અને મુશ્કેલ છે, એટલે કે, આત્મસાક્ષાત્કાર સહેલો નથી, તે માટે સંયમ, સમજ અને માર્ગદર્શન જરૂરી છે.આ શ્લોક ખૂબ પ્રેરણાદાયી છે. ઘણીવાર એવું થાય છે, કે અધ્યાત્મ વિશે જીજ્ઞાસા બહુ હોય, પરંતુ પૂરતી જાગૃતિ ન્હોય કે કોની પાસે જવું, અને આધ્યાત્મિક યાત્રા ઘણી લાંબી ચાલે પણ આત્મ શોધ મુશ્કેલ બને ત્યારે આ શ્લોક બહુ મદદ કરે છે.
**ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિન્નાયં કુતશ્ચિત્ બભૂવ કશ્ચિત્ ।
અજો નિત્યઃ શાશ્વતોઽયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ।।
આ શ્લોક આત્માની અમરતાનો છે, અને એ આત્માની અજર અમર પ્રકૃતિ દર્શાવે છે, જે જન્મ અને મૃત્યુથી પર છે. એટલે કે જ્ઞાની આત્મા ક્યારેય જન્મતો નથી કે, ક્યારેય મરતો નથી. તે ક્યાંયથી ઉત્પન્ન થયો નથી, અને તેનાથી બીજું કઈ ઉત્પન્ન થયું નથી. આ આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને છતાં પુરાણો પણ છે. શરીરનો નાશ થવા છતાં આત્માનો નાશ થતો નથી.
**આત્માનં રથિનં વિદ્ધિ શરીરં રથમેવ તુ ।
બુદ્ધિં તુ સારથિં વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ ।।
આ શ્લોક બુદ્ધિ દ્વારા મન અને ઇન્દ્રિયોને વશમાં રાખવાનું મહત્વ સમજાવે છે.આત્માને રથનો માલિક એટલે કે રથી જાણો, શરીરને રથ, બુદ્ધિને સારથિ અને મનને લગામ જાણવી. જેમ સારથિ લગામ દ્વારા ઘોડાને નિયંત્રણમાં રાખે છે, તેમ બુદ્ધિ દ્વારા મનનું નિયંત્રણ કરવું જોઈએ.
યેન કેન પ્રકારે હવે આત્મ તત્વ માટે જાગવું જરુરી છે! એટલે સંસાર છોડવાની કે સંન્યાસ લેવાની જરૂર નથી! પરંતુ સમયની સાથે સાથે આપણી માનસિકતા એકદમ ભોગી ની થતી જાય છે! અન્ય સંસ્કૃતિમાં તો મૃત્યુ પછીની કે મુક્તિની વાત ન્હોય, કે પછી અન્ય સૌમાં પરમાત્મા દર્શનની વાત ન્હોય, એમનું વિષયી રસમાં રચ્યાં પચ્યા રહેવું એ સ્વાભાવિક છે, પણ આપણે તો “સીયારામ મય સબ જગ જાની” જેમ સૌમાં સીતારામ નાં દર્શન કરનારાં છીએ , અને છતાં સાંસારિક ભાવ વધારતી ભોગ અને વિષય પાછળની આ દોટ આપણને પતન તરફ દોરી રહી છે, પણ સ્વયં ને “હવે બસ” એવું કહેવાં માટે પણ આપણું ઉઠવું અને પછી જાગવું આ બંને જરુરી છે! તો આવો કંઈક બોધ આપણે સૌ લઈ શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

