Rajkot તા.14
મેડીકલના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાયેલ નીટની પરીક્ષામાં ભ્રષ્ટાચાર અને પેપર લીકના મામલે આજે એનએસયુઆઈ દ્વારા કિસાનપરા ચોકમાં નેશનલ ટેસ્ટીંગ એજન્સીની નનામી કાઢી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું.
એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાની હેઠળ યોજાયેલા આ આંદોલનાત્મક કાર્યક્રમમાં નીટના આ પેપર લીક કૌભાંડમાં તમામ દોષીતો સામે કડક કાર્યવાહી કરવા, ભ્રષ્ટ નીતિઓ બદલ નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ) પર તત્કાલ પ્રતિબંધ મૂકવા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી ઉઠાવવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આવી ચડી એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના 20થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ આંદોલન દરમિયાન કિશાનપરા ચોકમાં રસ્તો બ્લોક થતા વાહનોના થપ્પા લાગી જવા પામેલ હતા.
આ અંગે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવેલ હતું કે વર્તમાન કેન્દ્ર અને રાજય સરકારના શાસનમાં દેશની પરીક્ષા પ્રણાલી સંપૂર્ણપણે ભાંગી પડી છે. અને તે હવે અનિશ્ર્ચિતતા તેમજ અરાજકતાનો પર્યાય બની ગઈ છે. નીટ જેવી અત્યંત મહત્વની મેડીકલ પ્રવેશ પરીક્ષામાં વારંવાર થતા પેપર લીક 2016, 2021, 2024 અને હવે 2026માં થયા છે. એ સાબીત કરે છે.
કે કેન્દ્ર સરકાર કરોડો યુવાઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડા કરી રહી છે. વર્તમાન કેન્દ્ર સરકાર પારદર્શી રીતે પરીક્ષા લેવા માટે તદન અસક્ષમ સાબીત થઈ છે. ભ્રષ્ટાચારના અડ્ડા સમાન બની ગયેલી નેશનલ ટેસ્ટીંગ એજન્સી જેવી સંસ્થાઓને તાત્કાલિક અસરથી બેન કરવામાં આવે અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનાર નૈતિક જવાબદારી સ્વીકારી શિક્ષણ મંત્રી તાત્કાલિક રાજીનામુ આપે તેવી એનએસયુઆઈની માંગણી છે.
તાજેતરમાં રાજસ્થાનના સીકરમાં સામે આવેલા પુરાવાઓ અત્યંત આઘાતજનક છે. પરીક્ષા પૂર્વે જ ‘ગેસ પેપર’ના નામે 150 પાનાનો એક દસ્તાવેજ વિદ્યાર્થીઓ વચ્ચે સર્કયુલેટ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 410 પ્રશ્નો હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ દસ્તાવેજમાંથી 135 જેટલા પ્રશ્નો નીટના અસલી પ્રશ્ર્નપત્ર સાથે હુબહુ મેચ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર પ્રશ્નો જ નહીં, પરંતુ પ્રશ્નોની ભાષા, વિકલ્પોનો ક્રમ અને કોમા-ફુલસ્ટોપ સુધ્ધા અસલી પેપર જેવા જ જોવા મળ્યા છે.
જીવવિજ્ઞાનમાં 90માંથી 90 અને રસાયણ વિજ્ઞાનમાં 45માંથી 45 પ્રશ્નોઆ કથીત ગેસ પેપરમાંથી બેઠા પૂછાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આટલી મોટી ગેરરીતિ છતા હજુ સુધી એફઆઈઆર નોંધવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે. તે સરકારની દાનત પર સવાલ ઉભા કરે છે.
આ કૌભાંડમાં આર્થિક વ્યવહારોની વિગતો પણ અત્યંત ગંભીર છે તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે કાઉન્સિલરો દ્વારા આ પેપરની કિંમત શરૂઆતમાં 5 લાખ રૂપિયા રાખવામાં આવી હતી અને પરીક્ષા નજીક આવતા તે 25થી 30 હજાર રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. વધુમાં આ પ્રશ્નો હાથથી લખીને ટેલીગ્રામ મારફતે કેરળ સુધી મોકલવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
આ મામલે તટસ્થ તપાસ, દોષિતો સામે કડક કાર્યવાહી અને પીડિત વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગણી તેઓએ કરી જણાવ્યું છે કે આ પ્રકરણમાં વિદ્યાર્થીઓના હિતમાં ત્વરિત નિર્ણયો લેવામાં નહીં આવે તો એનએસયુઆઈ સમગ્ર રાજયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.

