વડાપ્રધાને જન બળ, જન શક્તિને દેશના વિકાસમાં જોડવાની અને સૌના સાથ, સૌના વિકાસની પરંપરા વિકસાવી છે
Palanpur,તા.૩૦
વડાપ્રધાનનરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાનઃ કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે.
વડાપ્રધાનના માર્ગદર્શનમાં શરૂ થયેલા “કેચ ધ રેઈન” અભિયાન અંતર્ગત જળ સંચય જન ભાગીદારી નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત મંત્રીઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતેથી રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી અને મહાનુભાવોએ જે.સી.બી અને ટ્રેકટરને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવીને રિચાર્જ કુવાનું ઉદ્દઘાટન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનબળ એટલે કે, જનશક્તિને દેશના વિકાસમાં જોડવાની અને સૌના સાથ, સૌના વિકાસની પરંપરા વિકસાવી છે. ગુજરાતના આજના સર્વગ્રાહી વિકાસના મૂળમાં વડાપ્રધાનએ જળશક્તિ, જનશક્તિ, ઊર્જાશક્તિ, રક્ષાશક્તિ અને જ્ઞાન શક્તિનો આપેલો વિચાર છે. વડાપ્રધાન હંમેશા કહે છે કે, પાણી એ વિકાસની પહેલી શરત છે. શ્રી નરેન્દ્રભાઇએ જ્યારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે ગુજરાતમાં ન તો પૂરતી વીજળી હતી કે ન પૂરતું પાણી. આપત્તિને અવસરમાં અને પડકારોને તકમાં પલટાવવાનું સામથ્યર્શ્રી નરેન્દ્રભાઇએ આપણામાં કેળવ્યું છે. તેમણે જળ સમસ્યાના નિવારણ માટે જનશક્તિને જળસંગ્રહ, જળસંચય, ચેકડેમ-બંધારાના વિરાટ અભિયાનમાં જોડી. તેના પરિણામે ગુજરાત વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું. વડાપ્રધાનએ આપણને પાણી આવે તે પહેલા પાળ બાંધી લેવાની દિશા આપી છે. એમ પણ મુખ્યમંત્રીએ કહ્યુ હતું.
સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનએ ૨૦૧૯માં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં દેશભરમાં જનભાગીદારીથી જળસંચયના કામો ઉપાડ્યાં છે. બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ ૫૦ હજાર રિચાર્જ કૂવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. એમાં બનાસ ડેરીના સહયોગથી ૨૫ હજાર રિચાર્જ કૂવા બનવાના છે. બનાસ ડેરીની આ પ્રતિબદ્ધતા માટે મુખ્યમંત્રીએ શ્રી શંકરભાઈ ચૌધરી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં’ રહે તેવો મંત્ર આપીને રાજ્યમાં તમામ સ્તરે જળ સંચયના કામો જનભાગીદારીથી શરૂ કરાવ્યા છે.ચોમાસાના વહી જતાં પાણીને જળ સંચય અને જળ વ્યવસ્થાપનના પ્રયાસોથી અટકાવીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા, ખેત ઉત્પાદનમાં વધારો કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે આપણે કૂવા રિચાર્જ નિર્માણ માટેનું અભિયાન શરૂ કર્યું છે. તેમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતુ.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણી સનાતન સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનો પ્રસાદ અને નદીઓને માતાનું સ્થાન મળ્યું છે. એટલું જ નહીં, કૃષિના ઋષિ એવા ખેડૂતો કૃષિક્રાંતિ કરી શકે તે માટે પણ જળસિંચન મહત્વનું અંગ છે. પ્રાકૃતિક ખેતી- સૌ સમસ્યાઓનું સમાધાન છે. રાજ્યમાં પૂરતું પાણી મળવાથી ખેતી અને ખેત ઉત્પાદન પણ વધ્યાં છે. આપણે ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા રાસાયણ ખાતર મુક્ત ખેતી, પ્રાકૃતિક ખેતી પર ફોકસ કર્યું છે. રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન અને માનવી બન્નેનું સ્વાસ્થ્ય બગડે છે. આજે નાની વયે બી.પી, સુગર, હાર્ટઅટેક જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.વડાપ્રધાનશ્રીએ આ સ્થિતિ સુધારવા માટે ‘બેક ટુ બેઝિક’ નો મંત્ર આપ્યો છે. અને પ્રાકૃતિક ખેતીની મૂહિમ ઉપાડી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાનનરેન્દ્ર મોદી તથા દેશની સૈન્ય શક્તિને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, આ ઓપરેશનની સફળતાથી આપણા સૈન્યબળની બહાદુરી અને શૌર્યને દેશભરનું જનબળ તિરંગા યાત્રાથી બિરદાવી રહ્યું છે. ત્યારે આપણે સૌ પણ દેશના જવાનોનું ભારત માતા કી જયના નારાથી સન્માન કરીએ એમ ગર્વભેર જણાવ્યું હતું.