New Delhi તા.9
ડીએમયુ અને ઈએમયુની જેમ બનાવવામાં આવેલી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન (એચએમયુ) સોનીપતથી જીંદ વચ્ચે પોતાની પહેલી કોમર્શિયલ રન શરૂ કરવા તૈયાર છે. વડાપ્રધાન મોદી આ ટ્રેનને 13 કે 17 જુલાઈએ લીલીઝંડી દેખાડી શકે છે.
17 જુલાઈએ કોમર્શિયલ લોન્ચીંગની વધુ આશા છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ ચલાવવામાં આવશે. દરરોજ બે ફેરા થશે. સપ્તાહમાં એક દિવસ રેસ્ટ ડે હશે. ત્યારે તેનું મેન્ટેનન્સ થશે.
દિવસમાં માત્ર બે ફેરા લગાવવાનું કારણ તેની ફયુલ કેપીસીટી છે. ટ્રેનમાં એકવાર ફયુલ ભરવા પર તે 350 થી 360 કિલોમીટર સુધી જ ચાલી શકશે. આ સામાન્ય પેસેન્જર ટ્રેનોની જેવી જ હશે.
10 કોચની આ ટ્રેનમાં આઠ કોચ યાત્રીઓ માટે હશે. યાત્રી ક્ષમતા લગભગ 2600ની હશે. ટ્રેનમાં આઠ ફયુલ સેલ લાગ્યા છે. ટ્રેનની સ્પીડ 130 કિલોમીટરથી વધુની છે, પરંતુ કોમર્શિયલ રનમાં તે વધુમાં વધુ 75 કિલોમીટર દર કલાકથી ઝડપે જ દોડશે.
હાલ આ ટ્રેનની સોનીપત, જીંદ સેકશનમાં જ ચલાવવામાં આવશે. આવનારા સમયમાં તેને દિલ્હી, હરિયાણા સહિત અન્ય રૂટો પર પણ દોડાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. ટ્રેનોને મેન્ટેનન્સ માટે જયારે સોનીપતથી દિલ્હીના શકુરબસ્તી લાવવામાં આવશે, ત્યારે તે પોતાની હાઈડ્રોજન સીસ્ટમથી નહી, બલ્કે સામાન્ય એન્જિનથી ચાલશે.

