Rajkot,તા.૧૭
લાંબા સમયની રાહ જોયા બાદ આખરે રાજકોટ આરટીઓ ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ અદ્યતન ’આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (એઆઇ) આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જ ૩૫ જેટલા અરજદારોના ટેસ્ટ યોજાયા હતા, જેમાં શરૂઆતના બંને ટુ-વ્હીલર ચાલકો પાસ જાહેર થયા હતા. આ નવી ટેકનોલોજીથી હવે કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર સંપૂર્ણ પારદર્શક રીતે રિયલ ટાઇમમાં ડ્રાઇવિંગ ટેસ્ટનું પરિણામ જનરેટ થશે.
રાજકોટ જીલ્લા આરટીઆએ અધિકારી ઈન્દ્રજીત ટાંકનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે નવો છૈં ટ્રેક શરૂ કરી દેવામાં આવ્યો છે. પ્રથમ દિવસે ૩૫ જેટલા વાહન ધારકોનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. વધુમાં ટાંકે જણાવ્યું હતું કે ટેસ્ટના પ્રારંભે પ્રથમ બે ટુવ્હીલર વાહનધારકો ટેસ્ટમાં પાસ થયા હતાં. વધુમાં આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે રાજયની કુલ ૩૭ આરટીઓ/એઆરટીઓ કચેરીઓ ખાતેના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકોને વીડિયો એનાલિટીક ટેકનોલાજી અને આર્ટીફીશીયલ ઈન્ટેલિજન્સ પદ્ધતિથી અધ્યતન કરવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. આ કામગીરીમાં કુલ ૪૨ ફોર વ્હીલ ટ્રેક તથા ૪૩ ટુ વ્હીલર ટ્રેકનો સમાવેશ થાય છે.
આ ટેકનોલોજીમાં એક ટ્રેક લોકેશન પર કુલ ૧૭થી વધુ કેમેરાની મદદથી ટેસ્ટનું મૂલ્યાંકન કરવામાં આવશે અને કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વિના ઓટોમેટીક ટેસ્ટનું રીઝલ્ટ જનરેટ થશે. ટેસ્ટ શરૂ થતા પહેલા ટુટોરીયલની મદદથી ટેસ્ટની સંપૂર્ણ માહિતી અરજદારોને પૂરી પાડવામાં આવશે. અરજદારોને ટેસ્ટની કોમ્પ્રેહેન્સીવ રીઝલ્ટ પૂરું પાડવામાં આવશે જેથી તેઓ દ્વારા ટેસ્ટમાં ક્યા પેરામીટરમાં સુધારો કરવાની જરૂર છે તેની માહિતી મળી શકશે. ટેસ્ટ ટ્રેક પર સ્થાપિત કેમેરા દ્વારા વાસ્તવિક સમયમાં પાથની માહિતી એકત્રિત કરે છે જેનો ઉપયોગ અરજદારની ડ્રાઇવિંગ કુશળતાના મૂલ્યાંકન માટે થાય છે. જેથી ઉમેદવારોની ડ્રાઇવિંગ કુશળતાનું વાસ્તવિક સમયનું મૂલ્યાંકન થઇ શકે છે. અન્ય પેરામેટ્રિક ડેટા સાથે વાહન પાથને રેકોર્ડ કરવા અને સાચવવાની સુવિધા આપે છે. પોલ બેઝડ સિસ્ટમની સરખામણીમાં ઓપરેશનલ મેઇન્ટેનન્સ ઓછું રહે છે. દરેક ટેસ્ટ ટ્રેક માટે નિયત કરવામાં આવેલા પરિમાણોનું વિશ્લેષણ કરીને ડ્રાઇવરની ડ્રાઇવિંગ યોગ્યતા નક્કી કરવા માટે ગણતરીઓ કરે છે.
સિસ્ટમમાં પાવર બેકઅપની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે જેથી અસાધારણ સંજોગોમાં ટેસ્ટ લેવાની પ્રક્રિયા અમુક સમય સુધી ચાલુ રાખી શકાશે. જે તે અરજદારોના લર્નિંગ લાયસન્સના ડેટા એક દિવસ અગાઉથી જ એનઆઇસીના પરિવહનના સર્વરમાંથી ફેચ કરીને રાખવામાં આવનાર છે જેથી જો ટેસ્ટના દિવસે પરિવહનના સર્વરમાં કોઈ ખામી સર્જાય તો પણ ટેસ્ટ લેવાની પ્રક્રિયા ચાલુ રહી શકશે.

