શાસ્ત્રી રાજદીપ જોશી
અષાઢ સુદ તેરસ તા ૨૭ જુલાઈ થી પાંચ દિવસના જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વ્રતમાં પાંચેય દિવસ નમક એટલે કે મીઠા વગરનું એકટાણું વ્રત કરવામાં આવે છે. જયાપાર્વતી વ્રતમાં સવારે વહેલા ઊઠી નિત્યકર્મ કરીને શિવપાર્વતીનું પૂજન કરવું તથા સારા પતિની પ્રાપ્તિ થાય, દાંપત્યજીવન સુખ-શાંતિથી પસાર થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે.
વ્રતના છેલ્લા દિવસે આખીરાતનું જાગરણ કરવામાં આવે છે જે ૩૧ જુલાઇ શુક્રવારે રાત્રિ ના રહેશે. જાગરણમાં ઇષ્ટદેવનું સ્મરણ કરી જાપ કરવા. આમ સતત પાંચ વર્ષ સુધી આ વ્રત રહ્યા બાદ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. જેમાં વ્રતના છઠ્ઠા દિવસે એક, ત્રણ અથવા પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન માટે બોલાવી યથાશક્તિ વસ્ત્ર, સૌભાગ્ય ચિહ્ન ભેટ આપવામાં આવે છે. અગાઉના સમયમાં આ વ્રત માત્ર પરિણીત મહિલાઓ જ રહેતી હતી. પરંતુ હાલના સમયમાં કુંવારિકાઓ આ વ્રત રહે છે. પાંચ દિવસ સુધી કુંવારિકાઓ ગોરમાની પૂજા અર્ચના કરી અલૂણા ઉપવાસ કરશે. છાબડીમાં જવારા વાવશે. પરિણીતાઓ દ્વારા પતિના દીર્ઘાયુષ્ય માટે જયાપાર્વતી વ્રત કરવામાં આવશે. પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે. તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિથાય છે.
પૂજા વિધિ । તુલસી ક્યારે જ્વારા રાખી દીવો કરાય છે, પાંચ દિવસ પાર્વતીજીનું પૂજન કરવુ જેઆ વ્રતની પૂજા કરવા સવારે મંદિરે જઇ જયાપાર્વતીનું પૂજન કરવું. પૂજનનો સંકલ્પ કરે ત્યારબાદ ફૂલ, નાગલા, ચૂંદડી અર્પણ કરવા તથા અબીલ, ગુલાલ, કંકુ અર્પણ કરવા. ત્યાર બાદ કમળકાકડી, સાકર, તજ, લવિંગ, એલચી, નાગરવેલના પાન તથા ફળ અર્પણ કરવા. અગરબત્તી કરી આરતી ઉતારવી અને પ્રાર્થના કરવી. સાથે લાવેલા જવારાનું પણ આ જ રીતે પૂજન કરવું. દરરોજ સવારે ઘરમાં પાણિયારે અથવા તુલસી ક્યારે જવારા રાખી તેની પાસે દીવો કરવો અને પાંચેય દિવસ જવારાનું પૂજન કરવું. પાંચેય દિવસ સુધી મંદિરે પણ પૂજન આવી રીતના કરી શકાય છે.
Shastri Rajdeep Joshi

