શાસ્ત્રી રાજદીપ જોશી
બુધવારે અપાઢ સુદ પુનમ તારીખ ૨૯ જુલાઈ ના દિવસે પ્રીતિ નામના યોગમાં તથા ગોચરમાં ગજ કેસરી યોગ છે આથી ગુરુપૂર્ણિમા ઉત્તમ ગણાશે
ગુરુપૂર્ણિમાનું મહત્વ :
૧. વ્યાસઋષિનો જન્મદિવસઃ
આજે મહર્ષિ વેદવ્યાસ નો જન્મ થયો હતો. એમણે ૪ વેદ, ૧૮ પુરાણ અને મહાભારત લખ્યા. એટલે એમને ‘‘આદિ ગુરુ‘‘ કહે છે. એટલે જ એને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે.
૨. ભગવાન બુદ્ધે પહેલો ઉપદેશ આપ્યો
ગુરુપૂર્ણિમાના દિવસે જ ભગવાન બુદ્ધે સારનાથમાં પોતાના ૫ શિષ્યોને પહેલો ઉપદેશ ‘‘ધર્મચક્ર પ્રવર્તન‘‘ આપ્યો હતો. એટલે બૌદ્ધ લોકો માટે આ દિવસ બહુ પવિત્ર છે.
૩. ગુરુ-શિષ્ય પરંપરાનો સન્માન દિવસ
આ દિવસે શિષ્યો પોતાના ગુરુનું પૂજન કરે. પગે લાગીને આશીર્વાદ લે. ભેટ આપે.
અર્થ એ કે જ્ઞાન આપનાર વ્યક્તિ ભગવાનથી પણ મોટા છે‘‘એ વાત યાદ કરવાનો દિવસ.
૪. આ દિવસથી સન્યાસીના ચાતુર્માસની શરૂઆત થાય છે. સંન્યાસી ૪ મહિના એક જગ્યાએ રહીને તપ, અભ્યાસ અને પ્રવચન કરે. એને ચાતુર્માસ કહે. એટલે શિષ્યોને ગુરુ પાસે જ્ઞાન લેવાનો સૌથી સારો સમય.
૫. આત્મ-શુદ્ધિ અને કૃતજ્ઞતાનો દિવસ
ગુરુ માત્ર ભણાવનાર જ નહીં, માતા-પિતા, મિત્ર, પુસ્તક, અનુભવ – જે કોઈ આપણને સાચો રસ્તો બતાવે એ બધા ‘‘ગુરુ‘‘ છે. એટલે આ દિવસે આપણે જીવનમાં મળેલા બધા ગુરુઓનો આભાર માનીએ. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનના ઉજાસ તરફ લઇ જનાર ગુરૂના આશિર્વાદ મેળવવાનું પાવન પર્વ એટલે ગુરૂપૂર્ણિમા
દેવ ભગવાન તીર્થ મંદિર જ્યોતિષ વૈધ અને ગુરુદેવતા તેમાં જેવી શ્રદ્ધા હોય ભાવના હોય આદર હોય તેટલું તેની પાસેથી વધારે ફળ મળે છે જ્ઞાન મળે છે આથી, માતાપિતા, વડિલો, અને ગુરૂ પ્રત્યે આદરભાવ અને શ્રધ્ધા રાખવી જોઈએ. આથી જ કહેવાયું છે કે ગુરૂ વાક્ય જનાર્દનમ. ગુરૂનો અર્થ થાય છે અંધકારનો નાશ કરનાર. પહેલાના જમાનામા રાજાઓ પણ ગુરૂ આજ્ઞાનું પાલન કરતા હતા. ઈતિહાસમાં મહાન ગુરૂ મા વિશ્વામિત્ર, દ્રૌણાચાર્ય, સંદિપની, મહર્ષિ વેદવ્યાસ, દેવગુરૂ બૃહસ્પતિ, શંકરાચાર્યજી, વલ્લભાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુજી જેવા અનેક ગુરૂઓ એ ભારતીય સંસ્કૃતિ અને ગુરૂ પરંપરાને જાળવવાનું અને માનવ જીવનને સરળ બનાવવાનું કામ કર્યું છે.
ગુરુ પૂજન કેવી રીતે કરવુંઃ
સ્વયં ગુરુ અથવા ગુરૂ પાદુકાનું પુજન કરવું. સૌ પ્રથમ ગુરૂજીને ચંદનનો ચાંદલો કરી કુલહાર અર્પણ કરવો ત્યારબાદ પંચામૃત જમણા પગ ના અંગુઠા ઉપર ચડાવી શુધ્ધ જળ ચડાવી સ્વચ્છ કરી ચોખા, કંકુ તથા ફૂલ અર્પણ કરવા.અને ગુરૂના આશિર્વાદ લેવા.
આપણા જીવનનો કોઈપણ વિકટ હોય મુશ્કેલી હોય તેનો ઉકેલ ગુરૂ પાસે હોય છે.ગુરૂ સંસારના દુઃખો માંથી મુક્ત કરે છે. ભગવાન શ્રી રામચંદ્રજી અને શ્રી કૃષ્ણ ભગવાન પણ ગુરૂ પાસે જ્ઞાન મેળવવા ગયા હતા. આથી ગુરૂ વીનાનો સંસાર નકામો છે જીવનમાં ગુરૂ હોવા જરૂરી છે. પણ આ દિવસે માતાપિતાનું પુજન પણ ગુરૂ તરીકે કરી શકાય છે.
શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન

