ઈન્કવાયરી રિપોર્ટ આપ્યા વગર જ કરાયેલ ડીસમિસ હુકમ ‘કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ’નો હાઈકોર્ટે ,નિર્વાહ ભથ્થું ચૂકવવા આદેશ
Rajkot,તા.04
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ચકચાર મચાવનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ખાતાકીય તપાસ બાદ કોર્પોરેશન દ્વારા બરતરફ કરાયેલા છ અધિકારો પૈકી બે એટીપીને હાઈકોર્ટે મોટી રાહત આપ્યા બાદ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરના બરતરફીના હુકમ સામે હાઇકોર્ટે સ્ટેનો હુકમ કર્યો છે. ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને ડિસમિસ ગણવાને બદલે સસ્પેન્શન હેઠળ રાખી નિર્વાહ ભથ્થું ચૂકવવાનો આદેશ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ ટાઉન પ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ રામજીભાઈ મકવાણા અને રાજેશ નરશીભાઈ મકવાણા અને ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસના અંતે કોર્પોરેશન દ્વારા ૮ જુલાઈ ૨૦૨૬ના રોજ કડક પગલાં લેતાં મુકેશ મકવાણાને અને રાજેશ મકવાણા અને ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને નોકરીમાંથી રૂખસદ આપવામાં આવી હતી. બંને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરને ડિસમિસ ગણવાને બદલે સસ્પેન્શન હેઠળ ગણવા અને કાયદા મુજબ મળવાપાત્ર નિર્વાહ ભથ્થું ચૂકવવા હાઇકોર્ટના હુકમ બાદ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર દ્વારા રાજકોટ કોર્પોરેશનના હુકમને હાઈકોર્ટમાં પડકારી રજૂઆત કરવામાં હતી કે તંત્ર દ્વારા તેમને બચાવની યોગ્ય તક આપ્યા વિના અને કાયદાકીય જોગવાઈ મુજબ ઈન્કવાયરી રિપોર્ટ સોંપ્યા વગર જ શિક્ષાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ઇલેશ ખેરના એડવોકેટ દ્વારા હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે ઇલેશ ખેરની રજૂઆતમાં પ્રથમ દ્રષ્ટિએ તથ્ય છે. તપાસ રિપોર્ટ આપ્યા વગર કરાયેલી બરતરફી કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ હોઈ, કોર્પોરેશનના બરતરફી હુકમ પર તાત્કાલિક અસરથી સ્ટે ફરમાવી દીધો હતો. કોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો છે કે કેસનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને ડિસમિસ થયેલા ગણવાને બદલે સસ્પેન્શન હેઠળ ગણવામાં આવે અને મળવાપાત્ર નિર્વાહ ભથ્થું ચૂકવવા કોર્પોરેશનને નોટિસ ઈશ્યૂ કરીને કેસની આગામી સુનાવણી ૭ ઓગસ્ટ પર રાખવામાં આવી છે.

