New Delhi,તા.05
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ વધુ એક વખત વ્યાજદરમાં ફેરફાર નહી કરવા નિર્ણય લીધો છે. સોમવારથી પ્રારંભ થયેલી આરબીઆઈની મોનેટરી પોલીસીની દ્વીમાસીક બેઠકમાં રેપોરેટ 5.25% એ યથાવત રાખવા નિર્ણય લીધો છે.
રિઝર્વ બેન્કનો આ નિર્ણય અપેક્ષા મુજબ જ છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ હાલની નેરૂત્યના ચોમાસાની સ્થિતિ, ફુગાવા તથા પશ્ચિમ એશિયામાં જે હજું પ્રવાહી સ્થિતિ છે તેથી વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં હોવાનું પસંદ કરે છે તથા ખાસ કરીને સપ્લાય સાઈડ પ્રેસર- કાચા માલ- ક્રુડતેલ વિ.ના પુરવઠાની અનિશ્ચિતતા હજુ યથાવત છે.
ખાસ કરીને વૈશ્વિક આર્થિક વાતાવરણ પણ અનિશ્ચિત રહ્યું છે તથા ભારત હાલ તેના અર્થતંત્ર માટે `નેચરલ’- સ્થિતિ જુએ છે. જો કે હાલ ફુગાવાની સ્થિતિ રિઝર્વ બેન્કના અનુમાન મુજબ જ છે પણ ખાસ કરીને ચોમાસામાં હવે ઓગષ્ટ-સપ્ટેમ્બર માસની સ્થિતિ જોવી મહત્વની બની રહેશે.
ખાસ કરીને કૃષીક્ષેત્રમાં અનિયમીત તથા તમામ ક્ષેત્રમાં ચોમાસુ સમાન રહ્યું છે. હજુ અલ-નીનો ફેકટર પણ તેટલુ જ મહત્વનું છે. રીઝર્વ બેન્કે ફુગાવાનો દર 5% રહેવાની ધારણા દર્શાવી છે. રિઝર્વ બેન્કે વિકાસ દર 6.6% રહેવાની ધારણા દર્શાવી છે.
સરકારે વિદેશી મુડીરોકાણ તથા સંસ્થાકીય રોકાણકારોને આકર્ષવા જે પગલા લીધા છે તેની અસર આગામી સમયમાં જોવા મળશે તેવો આશાવાદ દર્શાવ્યો છે. જો કે રૂપિયા માટે રિઝર્વ બેન્કે કોઈ અંદાજ આપવાનો ઈન્કાર કરતા જણાવ્યું કે વધુ પડતી અફડાતફડી ટાળવા તથા બજાર સંતુલીત રહે તે રિઝર્વ બેન્ક જોશે.
વિદેશી હુંડીયામણ સામે ખાડીનું યુદ્ધ હજુ જોખમ સર્જી રહ્યું છે છતાં ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રનું સ્થાન જાળવી રાખશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. રિઝર્વ બેન્ક હવે ઓકટોબર માસમાં ધિરાણદરની સમીક્ષા કરશે.

