New Delhi, તા.5
શેરબજારના નિયામક સેબીએ સ્પષ્ટ કર્યું છે કે, `ક્લોઝિંગ ઓક્શન સેશન’ (CAS) ની નવી પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો, તેની સમીક્ષા કરવાનો કે તેને બંધ કરવાનો કોઈ જ વિચાર નથી. સેબીના સૂત્રો મુજબ, નવી CAS સિસ્ટમની ડિઝાઇન, હેતુ અને તેની કામગીરી સંપૂર્ણપણે યોગ્ય છે અને તેમાં કોઈ સમસ્યા નથી.
આ સાથે જ સેબીએ તમામ સ્ટોક બ્રોકર્સને આગ્રહ કર્યો છે કે તેઓ સામાન્ય (રિટેલ) રોકાણકારોને આ સિસ્ટમ વિશે માહિતગાર કરે જેથી CAS માળખામાં તેમની ભાગીદારી વધારી શકાય.
આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે વાયદા બજાર (FO) ના શેરો માટે લાગું કરાયેલી આ નવી ઓક્શન પદ્ધતિ બાદ નિફ્ટી અને સેન્સેક્સના બંધ ભાવમાં તફાવત જોવા મળ્યો હતો.
મોટા સંસ્થાકીય રોકાણકારો ઓક્શન સમયગાળા દરમિયાન મોટા પ્રમાણમાં ખરીદી કરતા હોવાથી શરૂઆતનાં દિવસોમાં આ ફેરફાર દેખાયો હતો, જેને નિષ્ણાતો શરૂઆતની સામાન્ય મુશ્કેલી ગણાવી રહ્યાં છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જના જણાવ્યાં મુજબ, પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ટ્રેડર્સે અને ગ્રાહકોએ આમાં ભાગ લીધો હતો અને સમય જતાં બજારનાં તમામ ટ્રેડર્સ આ નવી સિસ્ટમથી સંપૂર્ણપણે ટેવાઈ જશે.

