(મિલાપ રૂપારેલ)
Amreli, તા.13
આગામી 15મી ઓગસ્ટના રોજ અમરેલીની પવિત્ર ધરા ઉપર આયોજિત 80માં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ઐતિહાસિક ઉજવણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ રાજ્ય મહોત્સવને ક્ષતિરહિત અને ભવ્ય બનાવવા માટે સત્તાવાર તૈયારીઓનો ધમધમાટ શરૂ છે.
આ આયોજનના ભાગરૂપે અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મુખ્ય પરેડ ગ્રાઉન્ડ સહિતના નિયત સ્થળો પર સમગ્ર કાર્યક્રમનું પ્રથમ રિહર્સલ આયોજનબદ્ધ રીતે યોજવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના આ મુખ્ય ઉત્સવની ગરિમા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા લાઈન ટુ લાઈન મોનિટરિંગ કરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ પ્રથમ સત્તાવાર રિહર્સલ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીએ સંયુક્ત રીતે વિવિધ કાર્યક્રમ સ્થળોની મુલાકાત લીધી હતી.
આ ઉચ્ચ અધિકારીની ટીમે મુખ્ય ધ્વજવંદન સ્થળ, સાંસ્કૃતિક મહોત્સવનું મેદાન તેમજ મહાનુભાવોના પ્રોટોકોલ રૂટ સહિતના દરેક કાર્યક્રમ સ્થળ પર રૂબરૂ જઈને સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અને મલ્ટીમીડિયા સેટઅપની આખરી તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તમામ અધિકારીઓને સુચાં વ્યવસ્થા ગોઠવવા સ્થળ પર જ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને દિશાનિર્દેશો આપ્યા હતા.
આજે અમરેલી શહેરમાં સવારે 10 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ભવ્ય તિરંગા યાત્રા નીકળતા આ યાત્રામાં વિશાળ 300 મીટર લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તિરંગા યાત્રામાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, નગરપાલિકાના પ્રમુખ વૈશાલી બહેન માંગરોળિયા, જિલ્લા કલકેટ્રર, વિકલ્પ ભારદ્વાજ સહિતનાગરિકો, યુવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તા. 13 ઓગસ્ટની રાત્રે 8.30 કલાકથી ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાન ખાતે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા લોકકલાકારો રાજભા ગઢવી, ઉર્વશી રાદડિયા, વિવેક સાંચળા સહિતના કલાકારો દ્વારા સંગીત અને લોકસંસ્કૃતિની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવશે. આ ડાયરો અમરેલીવાસીઓ માટે સાંસ્કૃતિક અને સંગીતમય મનોરંજનનો યાદગાર અવસર બની રહેશે.

