(મિલાપ રૂપારેલ) Amreli, તા.14
રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી આ વર્ષે અમરેલી ખાતે થવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનારી રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લામાં વિવિધ સાંસ્કૃતિક, દેશભક્તિપૂર્ણ અને લોકભાગીદારીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે 14 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી બપોરે અમરેલી ખાતે આવી પહોંચશે. અને બાદમાં અમરેલીના વરસડા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.અમરેલી શહેર ખાતે મુખ્યમંત્રી નાગનાથ મહાદેવ મંદિરે પૂજન અર્ચન કરશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે સમારોહ યોજાશે. સમર્થ વ્યાયામ મંદિર ખાતે અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે.
14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં શાંતા બેન હરિભાઈ ગજેરા મેડિકલ કોલેજ ઓડિટોરીયમ ખાતે કાર્યક્રમ યજાશે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા અને પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહેશે.
તા. 14 ઓગસ્ટના રોજ રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને તથા મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં નવી નૂતન સ્કૂલના મેદાન ખાતે સાંજે 4.30 કલાકે `એટ હોમ’ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાંજે 6.30 કલાકથી ફોરવર્ડ હાઈસ્કુલના મેદાનમાં ભવ્ય મેગા કલ્ચરલ કાર્યક્રમ પણ યોજાશે, જેમાં ગુજરાતની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ અને પરંપરાનું મનોહર નિદર્શન કરવામાં આવશે.
રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સમારોહ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલા અમરેલી જિલ્લામાં આશરે રૂ. 403 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિકાસકાર્યો થકી જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે.
આવતીકાલે તા.15 ઓગસ્ટના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડસ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવશે. આ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા ભવ્ય અને દિલધડક પરેડનું આયોજન કરવામાં આવશે, જે અમરેલીવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર અમરેલી જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ રહ્યો છે ત્યારે જિલ્લાના નાગરિકોને આ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.
અમરેલી
ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી આ વર્ષે અમરેલી જિલ્લાના આંગણે યોજાવા જઈ રહી છે, જેને લઈને સમગ્ર જિલ્લામાં ચોતરફ દેશભક્તિ, ગૌરવ અને રાષ્ટ્રીય ભાવનાનો અભૂતપૂર્વ અને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પર્વની ઉજવણીને અત્યંત ભવ્ય, ગરિમાપૂર્ણ અને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સ્તરે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ જ શૃંખલામાં, જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમારના અધ્યક્ષ સ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય કાર્યક્રમનું અંતિમ અને સફળ ફૂલ-ડ્રેસ રિહર્સલ સંપન્ન કરવામાં આવ્યું હતું. પ્રભારી સચિવે રૂબરૂ પરેડ ગ્રાઉન્ડની મુલાકાત લઈને નાગરિકો માટેની બેઠક વ્યવસ્થા, પ્રોટોકોલ, કાયદો અને સુરક્ષા વ્યવસ્થા તેમજ કાર્યક્રમના સુચારૂ સંચાલન માટેની તમામ વહીવટી તૈયારીઓની ખૂબ જ ઝીણવટપૂર્વક અને સઘન સમીક્ષા કરી હતી તથા ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ વર્ષે આઝાદીના આ પર્વે સમગ્ર ગુજરાત દેશભક્તિના અનન્ય રંગે રંગાવા જઈ રહ્યું છે.
સમગ્ર વહીવટી તંત્રના અથાક પ્રયાસો અને રાત-દિવસની મહેનત બાદ હવે અમરેલી જિલ્લો આ ગૌરવશાળી 80મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના યજમાન તરીકે દેશભક્તિના આ અદભુત, ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ મહોત્સવને આવકારવા માટે સજ્જ છે.
સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના પ્રત્યેક કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની ઉણપ ન રહી જાય તે માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એકદમ ચોક્કસ રીયલ ટાઇમ શેડ્યુલ મુજબ આ આખરી રિહર્સલ યોજવામાં આવ્યું હતું.
આ મહત્વપૂર્ણ અંતિમ રિહર્સલ દરમિયાન અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અને નોડલ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

