Rajkot તા.14
આવતીકાલે સમગ્ર રાષ્ટ્રમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી થશે. આવતીકાલે રાષ્ટ્રભક્તિના દર્શન સાથે ઠેર ઠેર ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થશે. રાષ્ટ્રભક્તિ એટલે પોતાના દેશ પ્રત્યેનો સાચો પ્રેમ, આદર અને સમર્પણની ભાવના. તે માત્ર સરહદ પર લડવા પુરતી મર્યાદીત નથી પરંતુ દેશના વિકાસમાં યોગદાન આપવું, કાયદાનું પાલન કરવું અને સમાજમાં એકતા જાળવણી એ સાચી રાષ્ટ્રભક્તિ છે.
આવતીકાલે 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થશે અને 80માં વર્ષમાં પ્રવેશ થશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં જીલ્લા, તાલુકા, શહેર વાઈઝ સરકારી તંત્ર દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. મેદાનમાં રાજયના મંત્રીઓ, અગ્રણીઓ ધ્વજવંદન કરીને રાષ્ટ્રને વંદના કરશે. આ તકે પોલીસ પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થશે.
રાજકોટ જીલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ આ વખતે ગોંડલ ખાતે યોજાનાર છે તથા રાજયના મંત્રી જીતુભાઈ વાઘાણી ધ્વજવંદન કરશે.
રાજકોટ શહેરમાં ચૌધરી હાઈસ્કુલ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયેલ છે તથા ધ્વજવંદન અધિક કલેકટર શ્રી બારોટના હસ્તે થશે. પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ કમિશ્ર્નર વ્રજેશકુમાર ઝાના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે તેમજ શાળા-કોલેજોમાં ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે. રાષ્ટ્રભક્તિના મહાપર્વમાં લોકો અનેરા ઉમંગથી રાષ્ટ્રને વંદના કરશે.
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઠેર ઠેર ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
► દ્વારકામાં હાથી ગેટથી દ્વારકાધીશ મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઇ
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકા કક્ષાની તિરંગા યાત્રા કલ્યાણપુર ખાતે યોજાઈ હતી. તાલુકા પંચાયત કચેરીથી શરૂ કરીને બજારના મુખ્ય માર્ગ પર થઈને કર્મયોગ વિધાલય સુધી આ યાત્રા યોજાઈ હતી.
જેમાં મામલતદાર આર.એચ. સુવા, તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર સહિત આગેવાનો, ગ્રામજનો, અધિકારી-કર્મચારીઓ, પોલીસ જવાનો અને શાળા-કોલેજના વિધાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહ અને ગૌરવભેર જોડાયા હતા.
આ સાથે દ્વારકા તાલુકા અને નગરપાલિકા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં અંદાજીત મોટી સંખ્યામાં નગરજનો, બાળકો સહભાગી થતા દ્વારકા દેશભક્તિના રંગે રંગાયું હતું. આ ત્રિરંગા યાત્રાનો પ્રારંભ હાથી ગેટથી થયો હતો. ત્યાંથી યાત્રા આગળ વધીને દ્વારકાધીશ મંદિર ખાતે વિરમી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ, મામલતદાર અનિલ ભેડા, તાલુકા વિકાસ અધિકારી રાણા ઓડેદરા સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત તાલુકાની કચેરીઓના અધિકારી-કર્મચારીઓ, નગરજનો, એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ અને શાળાના બાળકો આ યાત્રામાં જોડાયા હતા. જેના કારણે સમગ્ર રૂટ પર દેશપ્રેમનો માહોલ સર્જાયો હતો
આઝાદીના 79 વર્ષ પછી શું આપણે પૂર્ણ રીતે આઝાદ છીએ ખરા ? સ્વાતંત્ર્ય પર્વે આત્મમંથન
આઝાદીના 80માં વર્ષમાં પ્રવેશ : સાચી સ્વતંત્રતા અને આપણી જવાબદારી15 ઓગસ્ટ 1947ના રોજ ભારતે બ્રિટિશ હકુમતમાંથી મુક્તિ મેળવી અને દેશમાં એક નવી આશાનો સૂર્યોદય થયો. આજે આપણે દેશનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ. સ્વતંત્રતાના 79 વર્ષ પૂર્ણ કરીને 80મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતી વખતે, ધ્વજવંદન અને દેશભક્તિના ગીતોના ઉત્સાહ વચ્ચે એક મહત્વનો પ્રશ્ન દરેક નાગરિકના મનમાં જાગવો સ્વાભાવિક છે. શું 79 વર્ષ પછી આપણે દરેક અર્થમાં ખરેખર આઝાદ થયા છીએ?
ભૌતિક પ્રગતિ સામે વર્તમાન પડકારો
આઝાદી પછીના સાતથી વધુ દાયકાઓમાં ભારતે વિજ્ઞાન, ટેકનોલોજી, આર્થિક ક્ષેત્ર અને અવકાશ વિજ્ઞાનમાં અદ્ભુત સિદ્ધિઓ હાસિલ કરી છે. પરંતુ સીમાઓ પરથી વિદેશી શાસકોને હાંકી કાઢવા એ જ માત્ર આઝાદીની અંતિમ વ્યાખ્યા નથી. જો દેશમાં આજે પણ વિષમતા, માનસિક સંકુચિતતા અને નૈતિક અધ:પતન અસ્તિત્વમાં હોય, તો આપણે પૂર્ણ સ્વતંત્રતાનો દાવો કરી શકતા નથી.
આજના સમયમાં આપણા દેશ સામે મુખ્યત્વે આ મુજબના આંતરિક પડકારો રહેલા છે. માનસિક ગુલામી અને કુરિવાજો- વિચારોની સંકુચિતતા, જાતિવાદ, કોમવાદ અને મહિલાઓની સુરક્ષા પર આજે પણ પ્રશ્ર્નાર્થ ચિહ્નો ઊભા થાય છે.
નાગરિક શિસ્ત અને ફરજોનો અભાવ- આપણે પોતાના હકો માટે તો જાગૃત છીએ, પરંતુ સ્વચ્છતા જાળવવી, વાહનવ્યવહારના નિયમો પાળવા કે જાહેર મિલકતોનું રક્ષણ કરવું જેવી પ્રાથમિક ફરજો ભુલાઈ રહી છે.
ભ્રષ્ટાચાર અને સામાજિક અસમાનતા-દરેક છેત્રે ભ્રષ્ટાચાર, નીચલા સ્તર સુધી ન્યાય, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આરોગ્યની સમાન તકો પહોંચાડવી હજુ પણ એક સખત સંગ્રામ છે.
વાસ્તવિક આઝાદી તરફના ઉપાયો
સાચી સ્વતંત્રતા ત્યારે જ સાકાર થશે જ્યારે આપણે આંતરિક બદીઓમાંથી મુક્ત થઈશું.
1. વિચારોની સક્ષમતા- જાતિ, ધર્મ કે લિંગના ભેદભાવ વિના દરેક વ્યક્તિને સમાન તક અને સન્માન મળે તેવું વાતાવરણ ઊભું કરીશું.
2. નાગરિક જાગૃતિ-દેશપ્રેમ એ માત્ર 15 ઓગસ્ટે સ્ટેટસ મૂકવા પૂરતો નથી; રોજિંદા જીવનમાં કાયદાનું પાલન, ઈમાનદારી અને પર્યાવરણનું જતન એ જ સાચી દેશભક્તિ છે.
3. શૈક્ષણિક અને આર્થિક સશક્તિકરણ- શિક્ષણ માત્ર પદવી મેળવવા માટે નહીં, પરંતુ સંસ્કાર, કૌશલ્ય અને રોજગાર આપનારું બનવું જોઈએ.
યુવાનોની ભૂમિકા અને જવાબદારી
ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે. આજે દેશની મોટાભાગની વસતિ યુવાનોની છે, તેથી દેશનું ભવિષ્ય પણ તેમના દ્રષ્ટિકોણ અને કાર્યો પર આધારિત છે.
ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતા- યુવાનોએ માત્ર નોકરી શોધનાર બનવાને બદલે ’સ્ટાર્ટઅપ’ અને નવીન વિચારો દ્વારા નોકરીદાતા અને સમસ્યાઓનો ઉકેલ લાવનાર બનવું પડશે.
ડિજિટલ જવાબદારી-સોશિયલ મીડિયાના યુગમાં અફવાઓ, નફરત અને ભ્રામક પ્રચારથી દૂર રહીને રચનાત્મક અને સકારાત્મક વિચારોનો ફેલાવો કરવો.
સક્રિય નાગરિકતા- દેશના રાજકીય, સામાજિક કે પર્યાવરણીય પ્રશ્નો પ્રત્યે તટસ્થ કે ઉદાસીન રહેવાને બદલે સક્રિયપણે યોગ્ય ઉકેલનો ભાગ બનવું.
આઝાદી એ માત્ર ભૂતકાળનો ઈતિહાસ નથી, પરંતુ વર્તમાનની જવાબદારી અને ભવિષ્યનું વચન છે. 80મા સ્વતંત્રતા પર્વે ચાલો આપણે સહુ સંકલ્પ કરીએ કે આપણે માત્ર દેશ પાસેથી અપેક્ષા રાખનારા નહીં, પરંતુ દેશને કંઈક આપનારા જવાબદાર નાગરિક બનીશું. જ્યારે દરેક વ્યક્તિ પોતાની પ્રાથમિક ફરજ નિષ્ઠાપૂર્વક બજાવશે, ત્યારે જ ભારત સાચા અર્થમાં ’પૂર્ણ આઝાદ’ અને જગતગુરૂ બનવાની દિશામાં આગળ વધશે.

