Goal, તા. 19
ગોલ ખાતે રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનાં ચોથા દિવસની સૌથી મોટી ચર્ચા વિકેટકીપર ધ્રુવ જુરેલના એક વિવાદિત કેચને લઈને શરૂ થઈ હતી. શ્રીલંકન ઇનિંગ્સની 22મી ઓવરમાં સ્પિનર માનવ સુથારે ફેંકેલા બોલ પર બેટ્સમેન લહિતુ ઉદારાએ શોટ માર્યો હતો, જેને ધ્રુવ જુરેલે કેચ કરી લીધો હતો. બેટ્સમેનને શંકા હતી કે બોલ જમીન પર અડી ગયો છે, તેથી નિર્ણય થર્ડ અમ્પાયર રવીન્દ્ર વિમલાસિરી પાસે મોકલવામાં આવ્યો હતો.
થર્ડ અમ્પાયરે રિપ્લે ચકાસ્યા બાદ ઉદારાને આઉટ જાહેર કર્યો હતો, જેનાથી બેટ્સમેન ખૂબ નિરાશ દેખાયો હતો. કેમેરા રિપ્લેમાં એવું લાગી રહ્યું હતું કે જ્યારે જુરેલ આગળની તરફ ડાઇવ લગાવી રહ્યો હતો ત્યારે બોલનો થોડો ભાગ જમીન સાથે અથડાઈ રહ્યો હતો. જોકે, થર્ડ અમ્પાયર કેચથી સંપૂર્ણ સંતુષ્ટ જણાતાં તેમણે આઉટનો નિર્ણય આપ્યો હતો.
કોમેન્ટ્રી પેનલમાં સામેલ શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટર રસેલ અર્નોલ્ડે અમ્પાયરના આ નિર્ણય સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ઓન-એર ચર્ચા દરમિયાન જણાવ્યું કે સ્લો-મોશન રિપ્લેમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે જુરેલની આંગળીઓ પાછળ ખસી ગઈ હતી અને બોલનો આગળનો ભાગ ઘાસ પર ઘસાતો હતો, તેથી બેટ્સમેનને આઉટ ન આપવો જોઈતો હતો. મેચની વાત કરીએ તો, ભારતે બીજી ઇનિંગ્સમાં 193 રન બનાવીને શ્રીલંકા સામે 372 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જવાબમાં માનવ સુથારે 2 વિકેટ તેમજ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1-1 વિકેટ ઝડપીને શ્રીલંકાની બેટિંગ લાઇન-અપને મુશ્કેલીમાં મૂકી દીધી છે.

