New Delhi,તા.02
દિલ્હીના ચર્ચિત કશ્મીરી ગેટ બસ સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસને મહત્ત્વના ફોરેન્સિક પુરાવા હાથ લાગ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઘટના સમયે બસમાં લગાવવામાં આવેલો CCTV કેમેરા બંધ હાલતમાં હતો અને આરોપીઓએ આ જ બાબતનો ફાયદો ઉઠાવીને ગુનાને અંજામ આપ્યો હતો. જોકે, ફોરેન્સિક ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં બસમાંથી પીડિતા અને બંને આરોપીઓના ફિંગરપ્રિન્ટ્સ મળી આવ્યા છે, જેનાથી ઘટના સમયે તેમની બસમાં હાજરી હોવાની પુષ્ટિ થઈ ગઈ છે. પોલીસ આ મામલે ટૂંક સમયમાં જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે.આ સમગ્ર મામલો 4 ઓગસ્ટનો છે, જ્યારે એક કિશોરી નોઈડાના પરી ચોક વિસ્તારથી આ બસમાં લિફ્ટ લઈને બેઠી હતી. તે બાદ તેની સાથે બસમાં સામૂહિક દુષ્કર્મની શરમજનક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે તપાસમાં ઝડપ લાવીને સમગ્ર બસની ઊંડાણપૂર્વક ફોરેન્સિક તપાસ કરાવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઘટના સમયે બસનો CCTV કેમેરા બંધ પડ્યો હતો, જેના કારણે ઘટનાનો કોઈ વીડિયો પુરાવો કેમેરામાં રિકોર્ડ થઈ શક્યો નહોતો. પોલીસનું માનવું છે કે આરોપીઓને પહેલેથી જ ખબર હતી કે બસનો કેમેરા ખરાબ છે અને તેમણે આનો લાભ ઉઠાવીને આ કુકર્મ કર્યું હતું.
CCTV ફૂટેજ ન મળવા છતાં પોલીસને અન્ય કેટલાક મજબૂત પુરાવાઓ મળ્યા છે. ફોરેન્સિક ટીમે બસના અંદરના ભાગમાંથી ફિંગરપ્રિન્ટના સેમ્પલ લીધા હતા. તેની તપાસમાં પીડિતા તેમજ બંને આરોપીઓની ફિંગરપ્રિન્ટ બસમાંથી મળી આવી છે, જે સાબિત કરે છે કે ઘટના સમયે બંને આરોપીઓ બસમાં જ હાજર હતા. આ સિવાય પોલીસે બસના ડ્રાઈવર કુલદીપ અને કંડક્ટર સંદીપના કપડાં પણ જપ્ત કરી લીધા છે જેથી તેનાથી સંબંધિત પુરાવાઓની પણ તપાસ કરી શકાય. બસની સીટો અને સ્ટીયરીંગ વ્હીલ પરથી પણ ફોરેન્સિક સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે, જેની હાલ તપાસ ચાલી રહી છે.

